વિવિધ ક્ષેત્રના અગ્રગણ્ય મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
ગત તારીખ 05 મે 2022, રવિવારે શહેરના કાલાવડ રોડ પર આવેલ રત્ન વિલાસ પેલેસમાં ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીના પ્રથમ બેચના સાધુ પ્રબોધસ્વામીના દિવ્ય સાન્નિધ્યમાં આત્મીય સ્નેહમિલનનું સફળતાપૂર્વક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હરિપ્રસાદસ્વામીના સર્જન એવા આત્મીય સમાજના રાજકોટના વડીલો, યુવકો અને બહેનો વિશાળ સંખ્યામાં દર્શન અને પરાવાણીનો લાભ લેવા હાજર રહ્યા હતા. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, જસદણ અને આસપાસના સત્સંગ મંડળોમાંથી પણ ભક્તોએ લાભ લીધો હતો.
પ્રાસંગિક ઉદબોધનમાં સત્સંગી ઉમેશભાઈ યાજ્ઞીકે પોતાના હરિપ્રસાદસ્વામી સાથેના સંસ્મરણો વાગોળતા તેમના જીવનમાં સ્વીમીજીએ જે આત્મીય સ્પર્શ આપ્યો છે તથા પ્રબોધસ્વામીની સાધુતાના પ્રસંગોનું વર્ણન કર્યું હતું. નિર્ગુણ પ્રદેશ – રાજકોટના પ્રાદેશિક સંત સર્વાતીતસ્વામીએ આ પ્રસંગે જીવનમાં સંત શું કાર્ય કરે છે તથા ભગવાનની દિવ્યતાની અનુભૂતિ ઉપર મનનીય ગોષ્ટી કરી હતી.
વિદ્યાનગરના પ્રાદેશિક સંત ગુરુપ્રસાદ સ્વામીએ પ્રબોધસ્વામીની દિવ્યતા, સરળતા, પોતાના ગુરુ સાથેની વફાદારી, ભક્તિ વગેરે ગુણોનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું હતું. તેઓએ પ્રસંગોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે દેશવિદેશમાં ઘણા બધા ભક્તોને પ્રબોધસ્વામીની દિવ્યતાનો અનુભવ થઈ રહ્યો છે અને ભક્તોને જેવી પ્રતીતિ હરિપ્રસાદસ્વામીમાં થતી હતી તેવી જ પ્રતીતિ પ્રબોધસ્વામીમાં પણ થઈ રહી છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, પ્રબોધસ્વામી એવા સાધુ છે કે જેની સાધુતા બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેકના હૃદયને ઠંકડ આપે છે. આ પ્રસંગે વિધ વિધ ક્ષેત્રના મહાનુભાવોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.
- Advertisement -
પ્રબોધસ્વામીના સુવર્ણ દીક્ષા મહોત્સવના ઉપક્રમે સેવા, સ્મૃતિ, સુહૃદભાવ અને સ્વધર્મના સંદેશ સાથે રત્ન વિલાસ પેલેસમાં ભવ્ય આયોજન
અનુસંધાન પાના નં. 3થી ચાલુ…
જેમાં રાજકોટના મેયર પ્રદીપ ડવ, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણી, ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી ચેતન રામાણી, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ લાલજીભાઈ સાવલિયા, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી જય શાહ, રાજકોટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમા, બિલ્ડીંગ મટીરિઅલ એસોસીએશનના પ્રમુખ હર્ષદ ખૂંટ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ એડીકો ગ્રુપના કાન્તીભાઈ પટેલ, બિલ્ડર એસોસીએશનના જાણીતા બિલ્ડર રતિભાઈ પટેલ તથા સુરેશભાઈ હીરપરા, અજીતસિંહ જાડેજા, ઈંઈઊ એકેડમીના ડીરેક્ટર મૌલિક ગોંધિયા, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ લીંબાસીયા, ખાસ-ખબરના ડીરેક્ટર પરેશભાઈ ડોડીયા, રજનીભાઈ પટેલ, અમિતભાઇ માખેચા, ગુજરાત ટીવીના માધવભાઈ જસાપરા, જાણીતા ડોક્ટર્સ ડો. જગદીશભાઈ કપુરિયા તથા ડો. કલ્પેશભાઈ મોર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોતાના ટૂંકા અને પ્રેરક વક્તવ્યમાં રાજકોટના મેયર પ્રદીપ ડવએ યુવાનોને ધાર્મિક માર્ગે વળવાની મહતા વર્ણવતા જણાવ્યું હતું કે, ધર્મ સાથે જોડાયેલ યુવાનોમાં અમુલ્ય સંસ્કારોનું સિંચન થાય છે અને માતા-પિતા પ્રત્યેની તેમની શ્રદ્ધા દ્રઢ થાય છે.પ્રબોધસ્વામીએ પોતાના પ્રવચનમાં રાજકોટ સત્સંગ મંડળના જુના વડીલ સત્સંગીઓના પ્રસંગોને યાદ કરી સ્મૃતિ તાજી કરાવી હતી.. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના ગુરુ હરિપ્રસાદસ્વામીજી અને યોગીજી મહારાજે રાજકોટમાં ખુબ વિચરણ કર્યું છે અને એટલે સ્મૃતિ કરવાનો અને વડીલોને મળવાનો ખુબ આનંદ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે હરિધામથી વિદ્યાનગર આવ્યા બાદ પ્રબોધસ્વામી પહેલી વાર રાજકોટ આવ્યા છે. ચાર દિવસના કાર્યક્રમમાં સત્સંગી ભક્તોના ઘરે પધરામણી કરી અને તેમના ગુરુ હરિપ્રસાદસ્વામીની રીતીનીતિ મુજબ સેવા, સ્મૃતિ, સુહૃદભાવ અને સ્વધર્મનો સંદેશો વ્યાપક બનાવી રહ્યા છે. તેઓશ્રી રાજકોટથી જુનાગઢ જશે અને તેમના સુવર્ણ દીક્ષા દિવસની ઉજવણી જુનાગઢ ખાતે 08 ફેબ્રુઆરીના રોજ ભવ્યતાથી કરવામાં આવશે.
‘અમારી પાસે સંપત્તિ નથી, ગુરૂ ઈચ્છાથી નવા ધામનું નિર્માણ કરીશું’
- Advertisement -
ગુરૂપ્રસાદ સ્વામી અને સુગનેય સ્વામીએ નિવેદન આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ગઇકાલે રવિવારે રાજકોટમાં પ્રબોધસ્વામી જૂથના બે સંતોએ નિવેદન આપ્યા હતા. આજ રોજ ભલે અમારી પાસે આર્થિક સંપત્તિ ન હોય, પરંતુ ગુરુ હરિપ્રસાદ સ્વામીએ આપેલી આત્મીયતાની શીખ નામની સંપત્તિ અમારી પાસે છે. તેમની કૃપા થશે ત્યારે તેમની ઈચ્છા પ્રમાણે નવા ધામનું નિર્માણ થશે.
રાજકોટમાં પ્રબોધસ્વામી જૂથના ગુરૂપ્રસાદ સ્વામી અને સુગનેય સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામી કંકણથી ધજા સુધી સોખડા હરિધામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે.
આજ રોજ ભલે તમારી પાસે આર્થિક સંપતિ ન હોય પરંતુ ગુરુ હરિપ્રસાદ સ્વામીએ આપેલ આત્મીયતાની શીખ નામની સંપત્તિ અમારી પાસે છે. ગુરૂ હરિપ્રસાદ સ્વામીની જ્યારે કૃપા થશે, ત્યારે તેમની ઇચ્છા પ્રમાણે નવા ધામનું નિર્માણ થશે.
સંતોએ ઉમેર્યુ હતું કે, પ્રબોધ સ્વામી અને તેમની સાથે રહેલા સંતોએ ક્યારેય પણ આર્થિક સંપતિ તરફ ધ્યાન આપ્યું નથી. હરિધામ સદૈવ અમારા દિલમાં રહેશે.વર્ષો સુધી અમે હરિધામમાં રહ્યા છીએ. ગુરુ હરિપ્રસાદ સ્વામીની જ્યારે પણ કૃપા થશે ત્યારે નવું ઈશ્વરનું ધામ નિર્માણ પામશે.
આજે સોમવારે ધોરાજી અને ઉપલેટા ખાતે પ્રબોધસ્વામી સહિતના વિચરણ કરશે. ત્યારબાદ જૂનાગઢ અને માણાવદર ખાતે પણ વિચરણ કરશે. ત્યારબાદ આગામી 8 જૂને 50મો દીક્ષા મહોત્સવ યોજાશે.