વડાપ્રધાન મોદી અને ગ્રીસના વડાપ્રધાન વચ્ચે મંત્રણા યોજાઇ
ભારત અને ગ્રીસ વૈશ્ર્વિક શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપવાના પ્રયાસોને જાળવી રાખશે
- Advertisement -
UNSCમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન: ગ્રીક PM
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્રીસના વડાપ્રધાન ક્યારીકોસ મિત્સોટાકિસની વચ્ચે મંગળવારે દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઇ હતી. ગ્રીક પીએમ અને તેના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં વઢાપ્રધાને જણાવ્યું હતું કે આજની બેઠકમાં અમે ઘણા ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમે સહમત છીએ કે તમામ વિવાદો અને ટેન્શનનું સમાધાન વાટાઘાટો અને કૂટનીતિ મારફત જ કરવું જોઇએ.
અમે ઇન્ડો-પેસેફિકમાં ગ્રીસની ભાગીદારી તથા સકારાત્મક ભૂમિકાનું સ્વાગત કરીએ છીએ. ભારત અને ગ્રીસ વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપવાના પ્રયાસોને જાળવી રાખશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આતંકવાદને લઇને ભારત અને ગ્રીસની ચિંતાઓ એકસમાન છે.
તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં બન્ને દેશોના સહયોગને વધારે મજબૂત કરવા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. તેની સાથે બન્ને દેશોએ સંરક્ષણ ઉદ્યોગને પરસ્પર જોડવા પર સહમતી દર્શાવી છે. ગ્રીક પીએમ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે પાછલા વર્ષની મારી ગ્રીસ યાત્રા બાદ તેમની આ ભારત યાત્રા બન્ને દેશ વચ્ચે મજબૂત થઇ રહેલી વ્યૂહાત્મક ભાગીદારીનો સંકેત છે અને 16 વર્ષ બાદ ગ્રીસના વડાપ્રધાનનું ભારત આવવું જ એક ઐતિહાસિક ઉત્સવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને બે ગણો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તેજીથી આગળ વધી રહ્યા છીએ.
આ દરમિયાન પત્રકારોને સંબોધન કરતાં ગ્રીક પીએમ ક્યારીકોસે જણાવ્યું હતું કે અમે 2028-29 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યપદ માટેની ઉમેદવારીને સમર્થન આપીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે ભારત અને ગ્રીસ ઘણી બાબતે એકબીજાના ઘણા નજીક છે. વિશ્વનું સૌથી જૂની લોકશાહી અને સૌથી મોટી લોકશાહી એકબીજાની સાથે સહયોગ અને ભાગીદારી સ્થાપિત કરી રહ્યા છે. પીએમ મોદીની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે મોદીમાં મને એક દૂરંદેશી, ઉત્તમ નેતા અને સાચા મિત્ર દેખાય છે.