ગિરનાર પર્વતની વીજ સમસ્યાનો અંત: પ્રથમ નોરતે પર્વત પર ઝળહળાટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
ગિરનાર પર્વત પર વર્ષોથી અનિયમિત વિજળીના કારણે સમસ્યાનો સામનો ધર્મ સ્થાનો કરી રહ્યા હતા. ત્યારે હવે ગિરનાર પર્વત પર વીજ સમસ્યાનો અંત આવ્યો છે અને આજથી અંબાજી મંદિર સહિત ધર્મ સ્થાનોમાં જળહળાટ જોવા મળ્યો છે.
- Advertisement -
આજ રોજ નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે 7.92 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ 11 કેવી વીજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારે ઉર્જા મંત્રીએ ગિરનાર પર આવેલ અંબાજી મંદિરે માતાજીનું પૂજન અર્ચન કરી આર્શીવાદ લીધા હતા. આ તકે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ માતાજીની ચૂંદડી પ્રસદા સ્વરૂપે મંત્રીશ્રીને અર્પણ કરી હતી અને ગિરનારની વીજ સમસ્યા હલ કરવા બદલ રાજ્ય સરકાર અને મંત્રીનો આભાર વ્યક્તિ કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આ કાર્યક્રમની સાથે સુત્રાપાડા પેટા વિભાગીય કચેરીના ભવનનું મંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, તાલાલાના ભગાભાઇ બારડ, પ્રદિપભાઇ ખીમાણી તમેજ પીજીવીસીએલના ભીમાણી, માણાવદરીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.