નેશનલ હાઇવે પર ગટર બનાવવામાં ન આવતા લોકોને હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
- Advertisement -
રાજુલા તાલુકાના વિકટર ગામેથી ભાવનગરસોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે. જેમાં નેશનલ હાઇવે ફોરલેનની કામગીરી ચાલુ છે. નેશનલ હાઇવે ફોરલેન પર ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. આ ઓવરબ્રિજની બાજુમાં સાઇડ રોડની બાજુમાં ગટર બનાવવામાં ન આવતા વરસાદી પાણી લોકોનાં ઘરોમાં ભરાયા છે. આ અંગે વિકટર ગામના ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભાવનગર તથા નાયબ કલેકટર રાજુલાને લેખિત રજૂઆત કરવામા આવી હતી.
વિકટર ગામે નેશનલ હાઇવે રોડના ઓવરબ્રિજ પાસે ગટર લાઇન માટે માંગ કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. અને નિયમો મુજબ ઓવરબ્રિજ સાઇડ રોડની બાજુમાં જ ગટર લાઇન નાખવામાં આવતી હોય છે પરંતુ અહિયાં વિકટર ગામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગટર લાઇન ન બનાવતા રહીશોના ઘરોમા વરસાદી પાણી ભરાતાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. હજુ ચોમાસામાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આવી સર્જાઇ સર્જાઇ છે. ત્યારે હવે વિકટર ગ્રામજનોના નિરાકરણ કરવામા આવશે કે નહીં તે જોવાનુ રહ્યું છે.