વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, કિરેન રિજિજુએ કહ્યું-અમે તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે (12 ડિસેમ્બર) ગૃહમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ મુદ્દે અમારા તરફથી કોઈ બ્લેમ ગેમ નહીં હોય, અમે આ ગંભીર પડકારને પાર પાડવા માટે સરકારનો સહયોગ કરીશું. આ સિવાય રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે, વાયુ પ્રદૂષણ મુદ્દે તેનો સામનો કરવા આવનારા પાંચ વર્ષનો શું પ્લાન છે તેને ગૃહમાં રજૂ કરવામાં આવે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, ‘આપણા મોટાભાગના શહેર ઝેરીલી હવાની ચાદરમાં લપેટાયેલા છે. લાખો બાળકોના ફેફસાં બીમારીઓથી ગ્રસ્ત થઈ ચુક્યા છે, તેમનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. લોકો કેન્સરથી પીડિત થઈ રહ્યા છે. આ સિવાય વૃદ્ધોને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ એક મહત્ત્વનો મુદ્દો છે અને મને પૂરો વિશ્ર્વાસ છે કે, આ વિશે સરકાર અને આપણા વચ્ચે પૂર્ણ સંમતિ હશે. આ કોઈ વૈચારિક મુદ્દો નથી. આ ગૃહમાં તમામ એ વાતથી સંમત હશે કે, વાયુ પ્રદૂષણ અને તેનાથી આપણા લોકોને થતા નુકસાન પર આપણે બધાએ સહયોગ કરવો જોઈએ.’ આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે, એ સારૂ રહેશે કે આપણે ચર્ચાને એ પ્રકારે આગળ ન વધારીએ કે, તમે શું નથી કર્યું કે અમે શું નથી કર્યું. પરંતુ, સીધું એ વાત પર ધ્યાન આપીએ કે, આપણે ભવિષ્યમાં ભારતના લોકો માટે શું કરવા જઈ રહ્યા છીએ, આપણે કયા પગલાં લેવા પડશે. તેથી મારૂ માનવું છે કે, આ જોવું ખૂબ રસપ્રદ હશે કે શું આપણે એકબીજા પર દોષારોપણની બદલે આ એક મુદ્દે જેમાં આપણે બધા સંમત છીએ અને કોઈ અસમંતિ નથી તો એવું કહેવાનો પ્રયાસ કરીએ કે, ચાલો આપણે ભારતીયોના ભવિષ્ય વિશે વાત કરીએ.’
રાહુલ ગાંધીની આ ભલામણ પર કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, સરકારે એવી કોઈ પણ જનહિતના મુદ્દે ગૃહમાં સાર્થક ચર્ચા માટે હંમેશા તૈયાર છે. આ વિષય લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં પણ છે. અમે દરેક વિષય પર સ્વસ્થ ચર્ચા માટે તૈયાર છીએ. અમે પ્રદૂષણના મુદ્દે પણ ચર્ચા કરવા તૈયાર છીએ.



