પંજાબના અમૃતસરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર ચઢીને હથોડાથી મારવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ યુવકે ત્યાં રાખેલા બંધારણને પણ આગ લગાવી હતી. જેને લઈને હોબાળો થઇ રહ્યો છે. અમૃતસરથી સ્વર્ણ મંદિર જતા હેરિટેજ સ્ટ્રીટ પર ટાઉન હોલમાં આ ઘટના ઘટી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
એફઆઈઆર નોંધ્યા બાદ આરોપીની ધરપકડ
- Advertisement -
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, એફઆઈઆર નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે વ્યક્તિ સ્ટીલની લાંબી સીડીનો ઉપયોગ કરીને હથોડી સાથે પ્રતિમા પર ચડતો જોઈ શકાય છે.
મુખ્યમંત્રી ભગવંત માને કરી આકરી ટીકા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘આ ઘટના અત્યંત નિંદનીય છે અને કોઈને માફ કરવામાં આવશે નહીં. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેને સખત સજા આપવામાં આવશે. કોઈને પણ પંજાબની ભાઈચારા અને એકતાને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્રને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’
- Advertisement -
અમિત માલવિયાએ આ મામલે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું
આ મામલે અમિત માલવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું, ‘એક તરફ સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને ભારતીય બંધારણને સન્માન સાથે યાદ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પંજાબના અમૃતસરમાં એક વ્યક્તિએ બાબા સાહેબ આંબેડકરની 30 ફૂટ ઊંચી પ્રતિમાને હથોડી વડે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.’
અમિત માલવિયાએ વધુમાં કહ્યું હતું કે, ‘ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના પંજાબમાં બની છે, જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જે પોતાને બાબા સાહેબ આંબેડકરની વિચારધારાના સમર્થક ગણાવે છે. દલિત સમાજના આ અપમાન માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર છે. જે સરકાર બાબા સાહેબ આંબેડકરને માન આપી શકતી નથી તેની પાસેથી દલિત સમાજના કલ્યાણની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?’
તેમણે કહ્યું કે, ‘દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલે છેલ્લા 10 વર્ષમાં દલિત સમુદાયનું શોષણ કર્યું છે. તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના સન્માન અને અધિકારો માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.’