પોતાને ભગવાન ગણાવતા કે બીજા ધર્મનો પ્રચાર કરનારા સામે આકરૂં વલણ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અખિલ ભારતીય અખાડા પરિષદે સાધુ-સંતોના વેશમાં ખોટા કામ કરનાર મહામંડલેશ્વર અને સાધુ-સંતોને અખાડામાંથી કાઢી મુકયા છે. આ ઉપરાંત કેટલાક કથિત બાબાઓ કે કથાકારો વિવાદીત નિવેદન કરે છે અને પોતાને ખુદને ભગવાન ગણાવે છે, તેમની વિરુદ્ધ પણ અખાડા પરિષદે કાર્યવાહી કરી છે.
જેમાં ઉજજૈનના પુર્વ મહામંડલેશ્વર મંદાકિની દેવી પણ સામેલ છે. જૂના અખાડાએ 54 સંતો, શ્રી નિરંજની અખાડાએ 24 સંતો અને નિર્મોહી અની અખાડાએ 34 સંતોને નોટિસ આપીને 30 સપ્ટેમ્બર સુધી જવાબ આપવા કહ્યું છે. જો આ કથિત સંતો દ્વારા સંતોષકારક જવાબ નહીં મળે તો મહાકુંભમાં તેમને પ્રવેશ મળશે નહીં. હવે વારો કથાકારોનો છે, જે કથા દરમિયાન પોતાને ભગવાન ગણાવે છે, તેમના પર પ્રતિબંધ લગાવાશે. આવા સંતોને નોટીસ આપવામાં આવશે. જયારે બીજી તરફ સિંહસ્થ મહાકુંભ 2028ને લઈને મધ્યપ્રદેશમાં તૈયારી અત્યારથી શરુ થઈ ગઈ છે.
સંતોને નોટીસ આપવાના મામલામાં અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્ર પુરી મહારાજે કહ્યું કે, જે અમારા કંટ્રોલમાં નથી, જે ખુદને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માને છે. જે મુસ્લિમ ધર્મનો પ્રચાર કરે છે. તેમના માટે 2025માં પ્રયાગરાજના મહાકુંભમાં પ્રતિબંધ રહેશે, આ અમારો નિર્ણય છે. પ્રયાગરાજ કુંભ મેળામાં સંતોની વચ્ચે એવા લોકો ન હોવા જોઈએ, જેમના કારણે વાદ-વિવાદ કે રાગ-દ્વેષ પેદા થઈ જાય. આપણી વચ્ચે કેટલાક એવા સંતો પણ છે, જે ભગવાનનું નહીં, પરંતુ અલ્લાહનું નામ લે છે અને તેમના ધર્મનો પ્રચાર કરે છે, આવા લોકોનો વિરોધ કરવો જરૂરી છે.
100થી વધુ સંતો પાસેથી જવાબો માગવામાં આવ્યા
અખાડા પરિષદની આંતરિક તપાસમાં આ સંતોની કામગીરી સનાતન ધર્મ અને અખાડાના રીતરિવાજો અને નીતિઓ વિરુદ્ધ હોવાનું જણાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સંતો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કેટલાક મહામંડલેશ્વરો પણ સામેલ છે. આ સિવાય 100થી વધુ સંતો એવા છે જેમને નોટિસ ફટકારવામાં આવી છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સંતો તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો તેમને પણ અખાડામાંથી હાંકી કાઢવામાં આવી શકે છે.