ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો ભરપૂર ભંડાર હોવાથી અહીં ખનિજ માફિયાઓનો ડોળો હંમેશા જિલ્લાની ખનિજ સંપતિ પર રહે છે અને આ ખનિજની ચોરી માટે જિલ્લા સહિત અન્ય જિલ્લાના ખનિજ માફીયાઓ પણ અહીં પોતાનું કિસ્મત અજમાવે છે તેવામાં ધ્રાંગધ્રા પંથકમાં ચાલતા રેતી ચોરીના કારોબારને જાણે તંત્રનો જ પરવાનો હોય તેમ બેફામ વોશ પ્લાન્ટ અને નદીમાંથી રેતી ચોરી કરી લઈ જવામાં આવે છે. તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના થળા ગામથી સુલતાનપુર ગામ વચ્ચે આવેલી નદીમાં બેફામ રેતી ચોરી શરૂ થઈ છે. ખનિજ માફીયાઓ દ્વારા હિટાચી મશીન અને ડમ્ફર વડે દરરોજ હજારો ટન રેતી ચોરી કરી રહ્યા છે. જ્યારે આ નદીનો કેટલોક ભાગ અભયારણ્ય વિસ્તાર હેઠળ છે અને પ્રતિબંધિત વિસ્તાર નજીક આ પ્રકારે હિટાચી મશીન સહિતના વાહનો દ્વારા શરૂ કરેલ રેતી ચોરીના કારોબારને લીધે અહીંના અભ્યારણ્ય વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક પશુઓને ખલેલ પહોંચે છે. ખાસ કરીને આ વિસ્તાર અતિ દુર્લભ ગણાતા ઘુડખરના આશ્રય સ્થાન માનવામાં આવે છે તેવામાં રેતી ચોરી થવાના લીધે પ્રકૃતિની સાથે અભ્યારણ્ય વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓને પણ નુકશાન થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા થળા – સુલતાનપુર ગામની વચ્ચે નદીના થતા ગેરકાયદેસર રેતી ખનનને તાત્કાલિક અટકાવવા માંગ કરાઈ છે.