વ્હાલી જિંદગી…
તારી યાદની સૌમ્યતા અને શીતળતાનો લેપ મને ચારે બાજુથી ઘેરી વળે છે ત્યારે હું હવનકુંડમાં પડેલાં સમિધ જેમ પ્રજળી ઊઠું છું. મારી ભીતર સુગંધનો ડમરો આકાર લઈ તારા તરફ પ્રયાણ કરી, છેક તારા સુઘી પહોંચી, તારામાં ભળી જાય છે. તું મારા ખેડાયેલાં અને વણખેડાયેલાં જીવનવૃક્ષની એક માત્ર મીઠી ડાળ છે જ્યાં રોજ મારાં બધાં જ સપના ટાંગી દઈ હું સાવ બેફિકર બની એ જ ડાળના છાંયડે સુખની પળો માણું છું. તું મને અંદર બહારથી રણકતો રાખનાર મારી ભીતરનો સુમધૂર ઝાલરનો રણકાર છે. અને જિંદગી ! તું મારા આત્માના અજવાળાની એ ધવલરેખા છે જે મને અને મારી આસપાસ ઘેરાયેલાં સઘળાં વાતાવરણને અજવાળે છે. હું તને ભરપૂર ચાહું છું કારણ કે હું મારાં જ આત્માને ચાહનાર પૂજારી છું , મારો આત્મા તું છે એ બહાને મારે ચાહવાના કોઈ બહાના શોધવા પડતાં નથી.
- Advertisement -
જિંદગી ! એક સવાલ કરું? દરેક પળો સુખમાં વીતે એ માટે માણસે શું કરવાનું હોય? મારી સમજ પ્રમાણે તો માણસ સત્યનિષ્ઠા સાથે પૂર્ણ શ્રદ્ધા કેળવી પોતાની સમર્પણવૃત્તિને પ્રબળ બનાવે તો દરેક પળને સુખમાં વીતતા કોઈ જ ના રોકી શકે. હું તો દરેક પળે આ બધી જ ઘટનાઓનો સાક્ષી બની એ પ્રમાણે તને જીવવા પ્રયત્નશીલ છું, છતાં તને ઓછપ લાગે તો મારામાં જ ખામી હોવી જોઈએ. ” ભગવાનના દરેક સર્જનમાં એક તિરાડ હોય છે.” એવું કોઈ મહાપુરુષનું વિધાન છે. હું પ્રત્યેક ક્ષણે મારામાં રહેલી તિરાડને પૂરી દેવા મહેનત કરું. તું મારી દરેક શિરાઓમાં પૂરપાટ વહેતું ધગધગતું લોહી છે. અને એનો રંગ લાલમાંથી ગુલાબી થઈ રહ્યો છે. ઘણી વાર એવા વિચાર આવે કે સમયની અજાયબ ચાલમાં એકબીજાથી દૂર થઈ જઈશું તો શું થશે? પણ બીજી જ ક્ષણે એ વિચારને મનમાંથી કાઢી નાખવાની કોશિશ કરું છું. જિંદગી! તારા વિના હું મારાં અસ્તિત્વની કલ્પના પણ નથી કરી શકતો. તું નહીં તો??? કશું જ નહીં. ધબકતા હૃદયનું અટકી જવું, જોવાતી દૃશ્યાવલિમાં ઉતરી આવતાં અંધારા, અને આખા અસ્તિત્વનો હાસ… તારાં માટે એક ગીત ગાવાનું મન થઈ આવ્યું. સાંભળને.
તું નહીં તો કશું નહીં…
મારામાંથી જરા અમસ્તી નીકળશે તું બહાર પછી હું મારી ભીતર વસું નહીં…
રોજ ભરાશે મારાં મનમાં ખાલીપાના મેળા,
છાતીમાં પડઘાશે ભરચક તું નહીંની વેળા.
સન્નાટાનું પાદર, એમાં ડુમાં, ડૂસકાં, આંસુ હ, ત્યાંથી તલભાર હું ખસું નહીં…
તું નહીં તો કશું નહીં…
સમયનામનું પંખી થોભે ખંખેરીને પાંખ,
દરિયાનો પર્યાય પછીથી ભીની ભીની આંખ,
ડૂબતો ચાલું શ્વાસનદી મઝધાર, મૂકી હું સપનાનો શણગાર, મને હું શ્વસું નહીં…
તું નહીં તો કશું નહીં…
જગતના સૌ આનંદનો મહિમા ગાવો હોય તો હું એટલું જ કહીશ કે જિંદગી તું મારું સર્વસ્વ છે. હું ક્ષણે ક્ષણે તારા વહાલથી ભીંજાઉં છું… પળે પળે તારામાં જીવીને નવજીવિત થઈ ખીલી ઊઠું છું કારણ કે પ્રેમની ચરમસીમા અને હૈયાની પવિત્ર હાટ મારી અંદર સ્થિર થઈ રહી છે.
તને અહર્નિશ ચાહતો…
તારો જીવ.
(શીર્ષકપંકિત:- દિલીપ જોશી)