ભાવનગરમાં લવજેહાદના નામે સ્પષ્ટ મંતવ્ય: ખાખી પાસે આવતા નાગરિકો નહીં – ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગરમાં લવ જેહાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવે તો પોલીસ ભાઈ બની ન્યાય અપાવે. તેમણે પ્રેમના પવિત્ર સંબંધને બદનામ કરનારાને સબક શીખવવા પોલીસને આહવાન કર્યું હતું. ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે શરદોત્સવ નિમિત્તે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નીતરતી નભની ચાંદની કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
- Advertisement -
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રેમ કરવાનો હક બધાને છે પરંતુ પ્રેમના પવિત્ર સંબંધને બદનામ કરનાર – લોકોને સબક શીખવાડવાની જવાબદારી પોલીસની છે. કોઈ સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને મારા રાજ્યની ભોળી દીકરીને ફસાવે તો એવી દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી દીકરીના ભાઈ તરીકે દીકરીની બહેન તરીકે ગુજરાત પોલીસની છે.
હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, આવા કિસ્સાઓને ખૂબ જ ગંભીરતાથી લઈને તેને પ્રાયોરિટીમાં લઈને તેના પર કામ કરવું જોઈએ. સમાજમાં આ પ્રકારના લોકો પર આવા કિસ્સામાં પોલીસની લાલ આંખ પડવી જોઈએ.
આ સાથે તેમણે જણાવ્યું કે, સામાન્ય માણસ સાથે પોલીસનો વ્યવહાર અવ્યવહારિક થશે તો જરૂરથી તમારી ખાખી વરદી પર ડાઘ લાગશે. મારી ગૃહમંત્રી તરીકે અપેક્ષા છે કે, આ વિસ્તારના નાગરિકોનો પગ તમારી પાસે આવતા ધ્રુજવા ન જોઈએ અને આરોપીઓનો પગ તમારા સુધી આવતા ધ્રુજવો જોઈએ તો જ સાચું પોલીસિંગ છે. હર્ષ સંઘવીએ ભાવનગર રેન્જના મહિલા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરીને શરદોત્સવનો રાસ કાર્યક્રમ માણ્યો હતો. આ પ્રસંગે ગૃહમંત્રીએ વ્યાજખોરો સામે દાખલારૂપ કામગીરી કરનાર અને અસામાજિક તત્વો સામે આકરા પગલાં લેવા બદલ ભાવનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.