આતંકી સંગઠન લિબરેશન ફ્રંટની ધમકી : અનેક મજૂરો બિહાર અને અન્ય રાજ્યોમાં પરત ફર્યા
ખાસ-ખબર સંવાદદાતા
કાશ્મીરમાં બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આતંકીઓ ખુલ્લેઆમ તેમની હત્યા કરી રહ્યા છે. અને હવે આતંકી સંગઠનોએ ધમકી આપી છે કે જે પણ બિનકાશ્મીરીઓ અહીં રહેતા હોય તે નિકળી જાય નહીં તો ભારે પડશે અને હુમલા કરતા રહીશું. આ ધમકી હાલમાં જ રચાયેલા આતંકી સંગઠન યૂનાઇટેડ લિબરેશન ફ્રંટ દ્વારા આપવામાં આવી છે.
હાલમાં જ ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરોની કાશ્મીરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા શ્રીનગરમાં થઇ હતી, જેની જવાબદારી આ સંગઠન દ્વારા લેવામાં આવી હતી અને સાથે જ બધા બિનકાશ્મીરીઓને કાશ્મીર છોડી દેવાની ધમકી આપી હતી. લિબરેશન ફ્રંટ આ પ્રકારના હુમલા કરીને કાશ્મીરમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યું છે અને દાવો કરી રહ્યું છે કે બિહારમાં અનેક મુસ્લિમોની હત્યા કરવામાં આવી રહી છે જેનો બદલો લેવા માટે તેઓ કાશ્મીરમાં વસતા બિહારીઓને નિશાન બનાવશે.
- Advertisement -
આ સંગઠનના પ્રવક્તા ઉમર વાનીએ કહ્યું હતું કે અમે પહેલા જ ચેતવણી આપી હતી કે બહારના લોકો અમારી ધરતી પરથી જતા રહે. નહીં તો તેઓએ પરીણામ ભોગવવું પડશે. બીજી તરફ આ હુમલાઓને પગલે કાશ્મીરમાંથી અગાઉ પંડિતો દ્વારા પલાયણ કરવામાં આવ્યું હતું હવે બિહારીઓ અને અન્ય રાજ્યના લોકો પણ કાશ્મીર છોડવા લાગ્યા છે જ્યારે કેટલાક જમ્મુ વિસ્તારમાં જઇ રહ્યા છે. દરમિયાન આવી ધમકીઓ આપનારા અને હુમલા કરનારા આતંકીઓની શાન ઠેકાણે લાવવા માટે કાશ્મીરમાં સ્પેશિયલ ઓપરેશન ટીમ પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ હુમલાખોર આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. જે મજૂરો કાશ્મીરમાંથી પલાયણ કરવા લાગ્યા છે તેમાંથી મોટા ભાગના બિહાર અને ઉત્તર પ્રદેશના છે. ખાસ કરીને શ્રીનગરમાં રોજગાર માટે ગયેલા આ મજૂરો હવે પોતાના વતન પરત ફરવા લાગ્યા છે. આતંકીઓ તેમનામાં ડરનો માહોલ પેદા કરી રહ્યા છે.



