અમદાવાદમાં લાખો વિદેશી પ્લેયર્સ અને કૉચ તથા દર્શકો આવશે, આ બધાને શું છાશ પીવડાવશો?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશનું મેટ્રો પોલિટન સિટી અને હવે વૈશ્વિક ઓળખ બની ગયેલા અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન પાછળ અંદાજિત 30થી 35 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે ઉપરાંત નવી એક લાખ રોજગારી સર્જાવવાની પણ શક્યતાઓ છે. કોમનવેલ્થ ગેમ્સ 2030માં 72 દેશના ખેલાડીઓ ભાગ લેવાના છે. તેમજ ખેલાડીઓની સાથે સાથે મેનેજમેન્ટ સ્ટાફ, કોચ, ટેક્નિકલ ઓફિસરો સહિતના લોકો મોટી સંખ્યામાં અમદાવાદ આવશે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન અને અગાઉ પણ હજારો-લાખોની સંખ્યામાં અમદાવાદ આવતા દેશી-વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીની જેમ માત્ર ઓળખકાર્ડને આધારે લિકર પરમિટ આપવી જરૂરી છે. અનુસંધાન પાના નં.4 પર
દારૂબંધી હળવી થતા અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટેશન, ટૂરિઝમ, હોટલ ક્ષેત્રને બૂસ્ટ મળશે
2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ દેશ-વિદેશના મહેમાનોને આવકારવા માટે અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ તો ગુજરાતમાં વર્ષોથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, રણોત્સવ જેવી ઈવેન્ટ થતી હોય. અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ લેવલની હોટલ ઉપલબ્ધ છે, પરંતુ કોમનવેલ્થ દરમિયાન દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં ખેલાડી અને લોકો આવવાના હોય અહીં ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર કેટેગરીની હોટલની ડિમાન્ડ વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 2025માં થ્રી સ્ટાર, ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર કેટેગરીની જે હોટલ છે. જોકે મોટાભાગની હોટેલમાં વાઈન શોપ નથી. જેથી અહીં સ્ટે કરનારને દારૂ શોધવા બહાર જવું પડશે અથવા બુટલેગર પાસેથી જેવો-તેવો માલ ખરીદવો પડશે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા 25 ટકા સુધી હોટલમાં વધારો જોવા મળી શકે છે. જે બ્રાન્ડની હોટલ અમદાવાદમાં નથી તે લોકો પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદમાં પોતાની હોટલ ખોલશે. એવું કહેવાય છે કે, લક્ઝરી બ્રાન્ડ જેવી કે ફેરમાઉન્ટ કે અદાણી જેવાં ગ્રુપ પણ અમદાવાદમાં પોતાની હોટલ ખોલશે. આ તકે જો સરકાર તરફથી દારૂબંધી હળવી કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટેશન, ટૂરિઝમ, હોટલ ક્ષેત્રને બૂસ્ટ મળશે.
- Advertisement -
ડ્રાય સ્ટેટમાં કૉમનવેલ્થ ગેમ્સ?
હવે અમદાવાદ-ગાંધીનગરમાં ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર દારૂ પીવાની છૂટ આપવી જરૂરી
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને ટૂંકાગાળામાં ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપ થશે, જેના કારણે ઈન્વેસ્ટમેન્ટ આવશે અને લેબર, એડવાન્સ ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન ઊભી થશે. રમત-ગમતનાં લેટેસ્ટ સ્ટેડિયમ બનશે, હોટલોમાં ઘરાકી વધશે, એરલાઈન્સની ફ્રિક્વન્સી વધશે. આ સાથે જ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગનો ઘણો વિકાસ થશે. આ વખતે બહારની વ્યક્તિઓ ગુજરાત અને ખાસ તો અમદાવાદ આવશે ત્યારે તેમને આસાનીથી લિકર નહીં મળી રહે તો બની શકે તેઓની ફરી અમદાવાદ આવવાની ઈચ્છા ઓછી થઈ જાય. કેમ કે, ગુજરાત કે ભારત બહારની કેટલીક વ્યક્તિઓ માટે આપણા માટે જેટલી ચા મહત્વની છે તેટલી જ તેમના માટે લિકર ઈમ્પોર્ટન્ટ છે. તેથી કાગળ પર રહેલી દારૂબંધી હળવી કરી દેવામાં સરકારથી લઈ કોઈ સામાજિક સંગઠનોને વાંધો-વિરોધ હોવો જોઈએ નહીં.
2030માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે ત્યારે એક સંયોગ એવો પણ છે કે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. આથી હર વખત કરતા વધુ રમતપ્રેમીઓ આ ઈવેન્ટમાં ભાગ લેવા અને નિહાળવા આવી શકે તેમ છે. હજુ આ ઈવેન્ટને ચારેક વર્ષની વાર હોય છતાં તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અત્યારથી જ અહીં રાજ્ય અને દેશ બહારના લોકો આવી રહ્યા છે ત્યારે તેમને અહીં વધુને વધુ આકર્ષવા દારૂબંધીમાં છૂટછાટ આપવી અનિવાર્ય બની જાય છે તેવું એક્સપર્ટનું માનવું છે. સ્થાનિક જાણકારોના મતે નકલી બનાવટી દારૂની હેરફેર અટકાવવા સરકાર માન્ય વાઈન શોપમાંથી દારૂ ખરીદવા-પીવાની છૂટ મળવી જોઈએ. આ કારણે સરકારને ટેક્સની આવકમાં વધારો થશે અને નકલી બનાવટી દારૂનું વેંચાણ-સેવન અટકશે.
ગિફ્ટ સિટીની જેમ હવે અમદાવાદ-ગાંધીનગરમાં પણ ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર દારૂ પીવાની છૂટ આપવી જરૂરી બની જતી હોવાનો બિઝનેસ એક્સપર્ટનો પણ ઓપિનિયન છે. નિષ્ણાતોના મતે વિશ્ર્વના નાણાકીય કેન્દ્રો જેમ કે દુબઈ અને સિંગાપોર સાથે સ્પર્ધા કરવા માટે આ પ્રકારની નીતિગત છૂટછાટ જરૂરી છે. આ પ્રકારના નિર્ણયથી અમદાવાદમાં કોર્પોરેટ ઈવેન્ટ્સ, કોન્ફરન્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને નોંધપાત્ર વેગ મળશે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા પણ દેશ-વિદેશથી આવતા મહેમાનો, પ્રવાસીઓ માટે અમદાવાદમાં દારૂબંધીમાં છૂટછાટ આવે એ આર્થિક, રાજકીય, પ્રવાસન, વેપારઉદ્યોગ વગેરે ક્ષેત્રમાં ફાયદારૂપ બાબત ગણવામાં આવી રહી છે.
બુટલેગરો બને છે માલામાલ, સરકાર ગુમાવે છે કરોડોની રેવન્યુ, પ્યાસીઓને થાય છે ગંભીર રોગ
ગુજરાતની દારૂબંધી એ દેશનું સૌથી મોટું કૌભાંડ હોઈ શકે છે. લગભગ વીસથી ત્રીસ હજાર કરોડ રૂપિયા પ્રતિવર્ષ દારૂબંધીને કારણે ગુજરાત ગવર્નમેન્ટ રેવેન્યુ ગુમાવી રહી છે. હવે જ્યારે દેશમાં વન નેશન વન ટેક્સ, વન નેશન વન આધારકાર્ડ, વન નેશન વન રાશનકાર્ડ, વન નેશન વન ઇલેક્શનની વાતો થતી હોય ત્યારે એક રાજ્યમાં દારૂબંધી અને અન્ય રાજ્યોમાં દારૂમુક્તિ શા માટે?દારૂબંધી જ કરવી હોય તો સમગ્ર દેશમાં કેમ નહીં? ગુજરાતમાં ગેરકાયદે પકડાયેલા દારૂનો રોલરનાં પૈંડાં ફેરવીને કરવામાં આવતા નાશનો મૂર્ખામીભર્યો નમૂનો તો જગતભરમાં બેમિસાલ સાબિત થાય એમ છે. વળી, પ્યાસીઓને પણ જોઈએ તેવો ચોખ્ખો દારૂ પીવા મળતો નથી. છાશવારે નકલી દારૂ બનાવતી ફેક્ટરીઓ ઝડપાવી એ બાબત સાબિત કરે છે કે, બુટલેગરો પાસેથી મળતો મોટાભાગનો દારૂ બનાવટી નકલી હોય છે જેના સેવનથી લીવર, હાર્ટ, કિડનીના ગંભીર રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
કાગળ પર રહેલી દારૂબંધી હળવી કરવાનો સમય પાકી ગયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાંથી 200 કરોડનો વિદેશી દારૂ, 2.87 કરોડનો દેશી દારૂ, અને 15 કરોડનું બિયર પકડાયું છે. આ આંકડા ગુજરાતમાં દારૂના બેફામ વેપારની હકીકત દર્શાવે છે. ગુજરાતમાં છાનેખૂણે કદાચ ભારતનો સૌથી વધુ દારૂ પીવાઈ છે જેમાં સોથી વધુ ફાયદો બુટલેગરોને થાય છે, સરકાર ટેક્સની રકમ ગુમાવે છે અને સૌથી વધુ નુકસાન દારૂ પીનારાઓને થાય છે. કારણે અહીં બનતો અથવા બહારથી આવતો દારૂ મોટાભાગે બનાવટી નકલી હોય છે. સરકારે આ દિશામાં વિચારીને પણ દારૂબંધી હળવી કરવાનો સમય પાકી ગયો છે.



