અફઘાનિસ્તાનમાં વરસાદથી 31, પાક.માં 13ના મોત આંક ઘણો વધવાનો ભય: અનેક લોકો બેઘર
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ભારતને ધમરોળી વિશેષત: ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં વિનાશ વેરી હવે ચક્રવાતી વરસાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી પહોંચ્યો છે. સમગ્ર ભારતીય ઉપખંડ ઉપર જાણે કે જલપ્રલય ફરી વળ્યો હોય તેમ લાગે છે. આ ભારેથી અતિ ભારે વરસાદને લીધે પાકિસ્તાનમાં 13ના મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા 31 કાળનો કોળિયો બની ગયા હોવાનાં સમાચારો છે. એટલું જ નહીં પરંતુ હવે તો તે આંક વધુ તપાસ કરવામાં આવશે તો આથી પણ ઘણો વધી રહેવાની ભીતિ છે. એ બંને દેશોમાં અસંખ્ય ઘરોનો પણ નાશ થયો છે. અફઘાનિસ્તાનની ’નેચરલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ’ મિનીસ્ટ્રીના પ્રવકતા શફીઉલ્લાહ, રહીપીએ રવિવારે જણાવ્યું હતું કે હજી સુધીમાં 31 લોકોનાં મૃત્યુ નોંધાયાં છે. પરંતુ તે આંક વધી રહેવા સંભવ છે. 74 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 41 લાપત્તા છે.
- Advertisement -
પાટનગર કાબુલ અને મૈદાન વર્દક તથા ગઝની પ્રાંતોમાં અચાનક જ પૂર આવ્યાં હતાં. વધુ મૃત્યુ પશ્ર્ચિમ કાબુલ અને ’મૈદાન-વર્દક’માં નોંધાયા છે. રહીપીએ તેમ પણ કહ્યું હતું કે, ભારે વરસાદ અને તેને લીધે આવેલા પૂરમાં 250 જેટલાં પશુઓ તણાઈ ગયા છે. પાકિસ્તાનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને લીધે રવિવારે 13 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય સાતને ભારે ઈજાઓ થઈ છે. બીજી તરફ અસંખ્ય ઘરો નાશ પામતા અનેક બેઘર બન્યાં છે. ઉત્તર-પશ્ર્ચિમના ખૈબર-પુખ્તુનવા પ્રાંતમાં છેલ્લાં 48 કલાકમાં નવ લોકોનાં મૃત્યુ થયા હતા. આ મૃત્યુ ભારે વરસાદને લીધે નોંધાયા હતા. પોલીસ અધિકારી રાજા મિર્ઝા હસને જણાવ્યું હતું કે ગિલ્ગિટ, બાલ્તીસ્તાન, ક્ષેત્રના સ્કાર્દૂ વિસ્તારમાં ભૂ-સ્ખલનને લીધે એક જ પરિવારનાં 4 લોકોનાં મોત થયા હતા.