ઉનાળુ પાકની આવકો શરૂ થઇ : જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ઉનાળુ પાકની આવકો શરુ થઇ છે અને અનેક પાકના ભાવ ઘટી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પાસેથી અલગ અલગ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે નાફેડે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે અને ગુજરાતમાં તેની નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા 18 માર્ચથી ખરીદ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. ગુજકોમાસોલ ગુજરાતના ખેડૂતો પાસેથી રૂ. 4,312 કરોડના ચણા, તુવેર અને રાયડાની ખરીદી કરશે.
- Advertisement -
ગુજકોમાસોલના ચીફ્ એક્ઝિક્યુટિવ દિનેશ સુથારે જણાવ્યું હતું કે, ખરીદી માટે ફેડરેશને ફેબ્રુઆરીથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાનું શરુ કર્યું હતું. આ વર્ષે રાયડામાં 82,000, ચણામાં 67,000 અને તુવેરમાં 500-700 ખેડૂતોએ નોંધણી કરાવી છે. માર્કેટના ચઢાવ ઉતાર પ્રમાણે ખેડૂતોને તેમના ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે દર વર્ષે અલગ અલગ જણસીઓની ખરીદી કરવામાં આવે છે. બજાર ટેકાના ભાવ કરતા નીચે જાય તે સંભાવનાને જોતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.
માર્કેટિંગ ફેડરેશનની યાદી મુજબ આગામી 90 દિવસો માટે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી માટે રાજ્યભરમાં 437 કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. ગુજકોમાસોલે તુવેરની ખરીદી માટે 140, ચણાની ખરીદી માટે 187 અને રાયડાની ખરીદી માટે 110 કેન્દ્રો શરૂ કર્યા છે. ખેડૂતો પાસેથી આ વર્ષે ટેકાના ભાવે રૂ. 1,715 કરોડની 2.45 લાખ ટન તુવેર, રૂ. 1,762 કરોડના 3.24 લાખ ટન ચણા અને રૂ. 853 કરોડના1.51 લાખ ટન રાયડાની ખરીદી કરવામાં આવશે.