એક દિલધડક લઘુ નવલ
છેલ્લું વાક્ય બોલતી વખતે તર્પણની જીભ થોથવાઈ ગઈ હોય એવું લાગતું હતું, એનો અવાજ ઢીલો થઈ રહ્યો હતો જાણે!
- Advertisement -
જવાહરલાલ નેહરુ એક મહાન બુદ્ધિજીવી હતા, ઉમદા વાચક, લેખક હતા, પરંતુ વડાપ્રધાનપદે તેમનાં કરતા સરદાર પટેલ વધુ યોગ્ય ઉમેદવાર હતા…
ઈતિહાસની બાબતમાં શ્રીકુમાર ચતુર્વેદી એક ઓથોરિટી ગણાતા. જેટલી આકરી ટીકા તેઓ ગાંધીજીની કરી શકતા એટલી જ સખ્ત આલોચના ઝીણા અને નેહરૂની પણ કરવામાં તેઓ કોઈની સાડીબાર રાખતા નહીં
પ્રકરણ : પ
હજુ તો પોણા નવ પણ નહોતા વાગ્યા ત્યાં તર્પણ શર્મા પોતાનાં ગુરુ શ્રીકુમાર ચતૂર્વેદીના ઘેર પહોંચી ગયો હતો. એની આંખોમાં ઉજાગરાનો ભાર વર્તાઈ રહ્યો હતો. આંખો થોડી સૂજેલી અને લાલ દેખાતી હતી. અઢી વાગ્યે ચતૂર્વેદીસાહેબ સાથે વાત થયાં પછી એ પલંગમાં પડયો તો હતો, પરંતુ કલાક-દોઢ કલાક સુધી તેને ઊંઘ આવી નહીં. પોતાનાં મોબાઈલમાં તેણે સવારનાં સાડા સાતનો એલાર્મ સેટ કર્યો હતો પરંતુ મોબાઈલના એલાર્મએ તેને જગાડવાનું કષ્ટ ઉઠાવવું ન પડયું કારણ કે, સાત વાગ્યે તો તર્પણ જાતે જ જાગી ગયો. વિચારોનાં વાવાઝોડાંએ તેનો પીછો છોડયો નહીં. રાત્રે એ નિરાંતે ઊંઘી શક્યો નહીં. વહેલી સવારે ઉઠતાંવેંત જ એ ફટાફટ તૈયાર થઈ ગયો. ગાડી પણ તેણે જાતે જ હંકારી અને ચતૂર્વેદીસાહેબને ઘેર રીતસર ધસી ગયો.
- Advertisement -
શ્રીકુમાર ચતૂર્વેદીનું ઘર નાનું પણ રૂપકડું હતું. નાનકડું ફળિયું, તેમાં થોડાં ફૂલોનાં રોપ અને એક હિંચકો. ડેલીનો અવાજ આવતાંવેંત જ ચતૂર્વેદીસાહેબે ઘરનું બારણું ઉઘાડયું.
‘વેલકમ! માય સન!’ તર્પણને જોતાં જ તેમણે ઉષ્માસભર આવકાર આપ્યો. એ આગળ વધીને પોતાનાં આ જીનિયસ સ્ટુડન્ટને ભેટવા જતા હતા ત્યાં તર્પણએ પ્રથમ તેમના ચરણસ્પર્શ કર્યા. ચતૂર્વેદીસાહેબએ ઝૂકીને તર્પણનાં બેઉ હાથ હળવેકથી પકડી તેને ઉભો કર્યો અને તેને ભેટી પડયા. બેઉમાંથી એકેય ઘટનામાં બેમાંથી એકેય પાત્ર ફોર્માલિટી ખાતર કશું જ કરી રહ્યું નહોતું. તર્પણને પોતાનાં સાહેબ પ્રત્યે પરમ આદરભાવ હતો અને સાહેબને પોતાનાં આ વિદ્યાર્થી માટે ભરપૂર લાગણી. અને હા! ગર્વ પણ ખરો! બેઉ ડ્રોઈંગ રૂમના સોફા પર ગોઠવાયા.
‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય બોય! તે દેશમાં જે પ્રકારનો પરિવર્તનનો પવન ફૂંક્યો છે એ જોઈ મારી છાતી ગજગજ ફૂલે છે! યુ નો! અમે માસ્તર લોકો આવા દૃશ્ય જોવા તરફડિયાં મારતા હોઈએ છીએ! શિક્ષક જ્યારે પોતાનાં વિદ્યાર્થીને પ્રગતિ કરતો જુએ છે, કોઈ ક્ષેત્રમાં ટોચ પર બેઠેલો નિહાળે છે ત્યારે તેની ભિતર જે આનંદનો અનુભવ થાય છે એ અવર્ણનિય હોય છે. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ સાથે કશીક ચર્ચામાં તારો ઉલ્લેખ નીકળે તો મારા મોંમાં પહેલું વાક્ય એ જ હોય કે, ‘એ મારો સ્ટુડન્ટ છે!’
‘અને હું ગર્વભેર બધાંને કહેતો રહું છું કે હું ચતૂર્વેદીસાહેબના હાથ નીચે ભણ્યો છું!’
‘કમ ઓન, તર્પણ! મારા હાથ નીચેથી અગણિત વિદ્યાર્થીઓ નીકળી ગયા. તેમાંથી ‘તર્પણ’ તું એક જ બની શક્યો. એ તારી સિદ્ધિ છે, અમારી નહીં. શિષ્યની માંહે કશુંક પડયું હોય તો ગુરુ એ જગાવી શકે, જે અંદરથી ખાલી હોય તેને ઉલેચવાનાં પ્રયત્નો વ્યર્થ જ જવાનાં. શિષ્યના નામથી ગુરુ ઓળખાય એનાં કરતાં મોટો હરખ સાચા ગુરુ માટે બીજો ન હોય!’
‘તમે આટલાં બધાં વખાણ કરશો તો હું ફૂલાઈને ફાટી જઈશ, સાહેબ!’ મહાપ્રયત્ને તર્પણ એકાદ હળવું વાક્ય બોલી શક્યો.
‘બાય ધ વે, આપણે ‘અહો રૂપમ અહો ધ્વનિ’નો ખેલ બંધ કરીએ. સૌપ્રથમ મને કહે, તારી તબિયત હવે કેવી છે? યુ નો! તારા એ અકસ્માત વિશે સાંભળ્યા પછી મેં વિવેકને ફોન કર્યો હતો. સિક્યુરિટી વ્યવસ્થાનાં કારણે તેણે મને હોસ્પિટલ આવવાની ના કહી પરંતુ દરરોજ બે વખત તેને હું ફોન કરી લેતો હતો. આર યુ ઓલરાઈટ, નાઉ?’
‘એબ્સોલ્યુટલી! રિકવરી ઝડપથી થઈ. પેલું કહે છે ને, દવા કરતાં ક્યારેક દુઆ વધુ કામ કરી જાય છે! દુઆઓ જ! બીજું શું! બાકી, આટલું ઝડપથી સારું ન થાય. એની વે, સાહેબ! આજે હું એક ખાસ કામથી તમારી પાસે આવ્યો છું.’
છેલ્લું વાક્ય બોલતી વખતે તર્પણની જીભ થોથવાઈ ગઈ હોય એવું લાગતું હતું. એનો અવાજ ઢીલો થઈ રહ્યો હતો જાણે!
‘તું કોઈ ટેન્શનમાં લાગે છે, તર્પણ! બોલ બેટા! મારૂં એવું તો શું કામ પડયું તારે?’
‘સાહેબ! મને ગાંધીજી સમજાવો!’
એક વાક્ય બોલવામાં તેને ખાસ્સું કષ્ટ પડયું. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા. ચતૂર્વેદીસાહેબને મામલો સમજાયો નહીં. ‘ગાંધીજી સમજાવો!’ એટલે શું? તર્પણ તો ગાંધીને ઘોળીને પોતાની માંહે ઉતારી ચૂક્યો હતો! હી વોઝ ગ્રેટ એટ હિસ્ટરી! અને ગાંધીજીનો તો એ ચાહક… છતાં એને વળી ગાંધીને સમજવામાં શું બાકી રહી ગયું હશે! ચતુર્વેદીસાહેબે આશ્ર્ચર્યથી પૂછયું :
‘ગાંધી? આર યુ સીરિયસ, ડીયર! આઈ મીન, તું પોતે ક્યાં ઓછો જાણકાર છે? મને યાદ છે, કોલેજના દિવસોમાં તું ગાંધીજી વિશે વાત કરતાં થાકતો નહોતો.’
‘સાચી વાત છે, સાહેબ! પણ મને લાગે છે કે, હું એમના વિશે વાત કરતો ત્યારે પક્ષપાતી બની જતો હતો એવું મને લાગે છે!’
આટલું બોલ્યો ત્યાં તર્પણના દિમાગમાંથી વિચારોનો એક વંટોળ જાણે પસાર થઈ ગયો. પોતાની જાતને જ પૂછી રહ્યો હતો: ‘હું જ મારું મૂલ્યાંકન કેવી રીતે કરું? મારી જાતનું વિહંગાવલોકન કરી શકું એવી શક્તિ નથી મારામાં!’ દરેક જ્યોતિષને એ શ્રાપ હોય છે કે, એ પોતાનાં જન્માક્ષર બહુ સારી રીતે વાંચી શકતો નથી, નાડીવૈદ્ય જ્યારે બીજાનું કાંડુ હાથમાં લે કે તરત દર્દીના નખમાં રોગ હોય તો પણ ખ્યાલ આવી જાય. પરંતુ એ પોતાની નાડી તપાસવામાં થાપ ખાઈ બેસે છે. સ્વયંનું તદૃન તટસ્થભાવે, દૃષ્ટાભાવથી અવલોકન કરવું એ બહુ કપરું કાર્ય છે. બે ઘડી સુધી ડ્રોઈંગ રૂમમાં મૌન પથરાઈ ગયું. ચતૂર્વેદીસાહેબ એકીનજરે તર્પણને તાકી રહ્યાં. એમને તર્પણની વાત થોડી વિચિત્ર લાગતી હતી. પણ, હા! તર્પણના ગાંધીજી તરફના વધુ પડતા ઝૂકાવથી તેઓ વાકેફ હતા. ચતૂર્વેદીસાહેબ પોતાની યુવાનીમાં ગાંધીજીના ચુસ્ત ભક્ત રહી ચૂક્યા હતા. ધીમે ધીમે એમનાં વિચારોમાં ચાળણી લાગી અને કેટલાંક કાંકરા ખરી પડયા. પછી એમને ગાંધીના સ્પષ્ટ દર્શન થયા. ઘણીબધી વાતો એમને સમજાઈ ગઈ.
‘સર, પ્લીઝ! મને કહો કે, એમની ભૂલો શી હતી? હું નિષ્પક્ષપણે એમને સમજવા પ્રયાસ કરું છું પણ દરેક વખતે નિષ્ફળ જઉ છું! પ્લીઝ!’ પોતાની જગ્યાથી ઉભો થઈ તર્પણ હવે ચતૂર્વેદીસાહેબની પડખે બેસી ગયો હતો. એણે સાહેબના ગોઠણ પર હાથ મૂક્યો હતો અને હવે એ તેમનાં ચરણે પડી કાકલૂદી કરવા જઈ રહ્યો હતો. તર્પણની આંખોમાં ભીનાશ હતી. તર્પણની આવી હરકતથી ચતૂર્વેદીસાહેબ જરા અસ્વસ્થ થઈ ગયા. એમને તર્પણની મનોસ્થિતિનો ખ્યાલ ક્યાંથી હોય!
‘પ્લીઝ, તર્પણ! તારે આવી વાત માટે યાચના કરવાની જરૂર નથી. ગાંધીજીની ભૂલો અંગે જાણવાની તારે આવી તાત્કાલીક જરૂરિયાત શા માટે ઊભી થઈ એ તો તને ખબર, પણ, હું એવું માનું છું કે, ભારતનાં દરેક વ્યક્તિએ- ખાસ તો રાજકારણીઓએ તેમને પૂર્ણત: ઓળખવાનો સંન્નિષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. આઈ એમ ગ્લેડ ધેટ યુ આર ડુઈંગ સેઈમ. સી, તર્પણ! ગાંધીજીનું પૂતળું હું ત્યારે જોઉં છું, મને શિવનાં પેલા અર્ધનારિશ્ર્વર સ્વરૂપનું સ્મરણ થાય છે. ગાંધીનું અર્ધુ શરીર જાણે દેવતાનું છે, બાકીનું એક તદૃન પામર મનુષ્યનું. એમનામાં સદ્ગુણોનો તોટો નહોતો, એમની ભૂલોનો કોઈ જોટો નહોતો. વ્યક્તિત્વ એવું જાણે હિમાલય જોઈ લો! આવી પ્રતિભાઓની ભૂલો પણ એવરેસ્ટ જેવી જ હોવાની!’ ચિંતૂર્વેદીસાહેબ જાણે વાતની પૂર્વભૂમિકા બાંધી રહ્યાં હતા. તર્પણ તેમની વાત એકચિત્તે સાંભળી રહ્યો હતો. ઈતિહાસની બાબતમાં શ્રીકુમાર ચતુર્વેદી એક ઓથોરિટી ગણાતા. એમનું જ્ઞાન અગાધ હતું, વિચારો એકદમ સ્પષ્ટ, મહત્વપૂર્ણ વાત એ કે, એમની કોઈ છાવણી નહોતી, જેટલી આકરી ટીકા તેઓ ગાંધીજીની કરી શકતા એટલી જ સખ્ત આલોચના ઝીણા અને નેહરૂની પણ કરવામાં તેઓ કોઈની સાડીબાર રાખતા નહીં. સિકંદરના ભારત પરનાં આક્રમણથી શરૂ થઈ રામ જન્મભૂમિના વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા સુધીનો તમામ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ તેમને મોઢે હતી. એ દરેક બનાવ બાબતે તેમનો અભ્યાસ હતો, ખાસ દૃષ્ટિકોણ હતો. એમની પાસે સૂક્ષ્મ દૃષ્ટિની કુદરતી બક્ષિસ હતી. તર્પણ એમને બરાબર ઓળખતો હતો. ચતૂર્વેદીસાહેબની વાત અધવચ્ચે જ રોકીને તર્પણ બોલ્યો. ‘સાહેબ! સામાન્ય વ્યક્તિ જ્યારે મહાન ભૂલો કરે છે ત્યારે એ તેને ખુદને નડતી હોય છે. શક્ય છે કે, કોઈ કિસ્સામાં આવી ભૂલોની કિંમત જે તે વ્યક્તિના પરિવારજનોને ચૂકવવી પડે. પણ મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશા લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…’ ‘એકઝેટલી, તર્પણ! પરંતુ મહાન માણસોને એ આશીર્વાદ હોય છે કે, તેમનાં સદ્કાર્યોનાં મીઠાં ફળ પણ કરોડો લોકોને ભોગવવા મળે છે! ગાંધીજીના કિસ્સામાં પણ આવું જ છે, દોસ્ત! તેમનાં કેટલાક વિચારોથી ભારતને અનેક ફાયદાઓ થયા છે. બીજી તરફ, તેમની ભૂલો થકી દેશને પારાવાર નુકસાન થયું છે.’
ચતૂર્વેદીસાહેબની વાત હજુ ખતમ નહોતી થઈ. પરંતુ તર્પણ હવે મુદ્દા પર આવવા માટે વધુ રાહ જોઈ શકે એવી તેની હાલત ન હતી. સાહેબની વાત કાપીને તેણે કહ્યું, ‘સાહેબ! એ ભૂલો કઈ, એ કહો.’
તર્પણના અવાજમાં થોડી રૂક્ષતા આવી ગઈ હતી. સામાન્ય રીતે એ શ્રીકુમાર ચતુર્વેદી સાથે આવી રીતે ક્યારેય વાત કરતો નહોતો. આ વાક્ય મોંમાંથી જે ટોનમાં સરી પડયું હતું એ તર્પણને ખુદને પણ ગમ્યું નહીં. વળતી જ પળે તેણે ભૂલ સુધારી લીધી! ‘આઈ મીન, સર… હું કંઈક વધુ પડતો જ ઉતાવળો થઈ રહ્યો છું. આઈ એમ સોરી…’ પણ પ્લીઝ મને એ સમજાવો કે, ગાંધીજીની સૌથી મહાન ભૂલો કઈ? એવી કઈ ભૂલો હતી જેની કિંમત આજે પણ દેશ ચૂકવી રહ્યો છે? ‘વેલ, માય સન… મારી દૃષ્ટિએ તેમની સૌથી મહાન ભૂલ એ હતી કે, તેમણે આ દેશને પોચટ બનાવ્યો. જ્યારે જ્યારે તેમને સ્ટ્રોન્ગ સ્ટેન્ડ લેવાનો, આકરાં નિર્ણયો લેવાની તક મળી ત્યારે તેમણે એ લીધા નહીં. જુઓ દોસ્ત! જવાહરલાલ નેહરુ એક મહાન બુદ્ધિજીવી હતા, ઉમદા વાચક, લેખક હતા. પરંતુ હું માનું છું કે, વડાપ્રધાનપદે તેમનાં કરતા સરદાર પટેલ વધુ યોગ્ય ઉમેદવાર હતા. દોસ્ત, મેં દુનિયા જોઈ છે અને વિશ્ર્વદર્શન પછી મને લાગ્યું છે કે, એક શાસકમાં બુદ્ધિમતા કરતાં પણ વધુ જરૂરી કોઈ બાબત હોય તો એ છે : પ્રતિબદ્ધતા. નિષ્ઠા. નેહરૂવિયન ફિલોસોફીએ આ દેશની ઘોર ખોદી છે. આ નબળી- લકવાગ્રસ્ત વિચારધારાની અસરથી દેશ હજુ મુક્ત થઈ શક્તો નથી. એક પરિવારમાં પણ તમે બધાને રાજી રાખીને ચાલી શકતા નથી. મારવાનું પણ નહીં, ભણાવવાનું પણ નહીં… એ મુત્સદીપણું નથી, નેતાગીરી નથી પરંતુ કાયરતા છે. ગાંધી જે આ દેશને કાયરતા શીખવી. એક તો પહેલેથી જ દેશ કંઈ વીર નરબંકાઓની ભૂમિ નહોતો. જો આ દેશમાં શૌર્ય અને સાહસ ઠાંસી-ઠાંસીને ભર્યા હોય તો અહીં ગાંધી જેવો માણસ નાયક કેવી રીતે બની શકે?’
આજે પણ આપણે ત્યાં રાષ્ટ્રીય સ્તરે એવા નેતાઓ છે જે શેતાન લાદેન માટે ‘ઓસામાજી’ જેવો શબ્દપ્રયોગ કરે છે અને દૈત્ય એવા હાફીઝ સઈદ માટે ‘શ્રી’ અને ‘જનાબ’ જેવાં વિશેષણોનો પ્રયોગ કરે છે…
તર્પણ સ્તબ્ધ હતો. એ એકચિત્તે ચતૂર્વેદીસાહેબની વાત સાંભળી રહ્યો હતો. ઓફ કોર્સ, એ વાતો તેનાં માટે કડવી સાબિત થઈ રહી હતી, સાહેબની વાતોમાંથી કેટલાક મુદ્દાઓ તેને શૂળની માફક ભોંકાયા હતા. પરંતુ તેને ખ્યાલ હતો કે, શ્રીકુમાર ચતુર્વેદીએ કોઈની કંઠી ધારણ કરી નથી, તેઓ તટસ્થ છે અને તેમનાંથી વધુ સારી રીતે ગાંધીનું મૂલ્યાંકન કરનાર બીજી કોઈ વ્યક્તિ તર્પણની જાણમાં નહોતી. ચતૂર્વેદીસાહેબ એકદમ મૂડમાં આવી ગયા હતા. ઈતિહાસ તેમનો ફેવરિટ સબ્જેક્ટ હતો અને ઈતિહાસ સાક્ષી છે કે, ઈતિહાસ જેમનો પ્રિય વિષય હોય તેમને વર્તમાનમાં પણ એટલો જ રસ હોય છે અને ભવિષ્યની પણ પૂરી ચિંતા હોય છે. જેને ઈતિહાસનું જ્ઞાન હોય છે તે વર્તમાનનું પણ સારી પેઠે અવલોકન કરી શકે છે અને ભવિષ્ય વિશે પણ સ્વપ્નો સેવી શકે છે.
વાતનો દૌર આગળ ચાલ્યો. ચતૂર્વેદીસાહેબ આજે રોક્યા રોકાય એમ ન હતા. આજીવન જેમણે વિદ્યાર્થીઓને ભણાવ્યા હોય, એવા પ્રાધ્યાપકોની હાલત નિવૃત્તિ પછી બહુ કફોડી હોય છે. તેઓ શ્રોતા શોધતા હોય છે. કહેવા જેવું તેમની પાસે ઘણું હોય છે પરંતુ સાંભળનરું તેમની પાસે કોઈ હોતું નથી. સાહેબને આજે શ્રોતા મળ્યો હતો. એક ઉમદા શ્રોતા. શ્રાવક કહી શકાય એવો શ્રોતા. એક જમાનાનો તેમનો સૌથી પ્રિય વિદ્યાર્થી.
‘તર્પણ! ભારતની દુનિયાભરમાં બનાના રીપબ્લિક તરીકેની જે છાપ છે તેમાં મૂળિયાં ઘણાં અંશે ગાંધીવિચારમાં રહેલા છે. બહુ વિચિત્ર દેશ છે આ. અર્થતંત્રથી લઈ ત્રાસવાદ, કરપ્શન, બ્લેક મની અને વિદેશનીતિ સુધીની દરેક મહત્વની બાબતમાં તેનું સ્ટેન્ડ ઢીલુંઢફ છે. એટલે જ જગત તેને કેળા જેવું પોચટ રાષ્ટ્ર ગણે છે. પડોશી દેશ આપણને સમૂળગા ખતમ પણ કરી નાંખે તો પણ તેની સમક્ષ ભાઈચારાનાં ભજન ગાવાની કૂટેવ ગાંધીજીની આપણને વારસામાં મળેલી નબળાઈ છે. ગાંધીએ ખિલાફત આંદોલન સમયે લીધેલા સ્ટેન્ડ વિશે તો તું જાણે છે ને, તર્પણ! આજે પણ આ જ દૂષિત વિચારધારાને પોષવાવાળા લોકો આપણે ત્યાં નેતા અને બુદ્ધિજીવી બનીને ફરતા રહે છે. આજે પણ આપણે ત્યાં રાષ્ટ્રીય સ્તરે એવા નેતાઓ છે જે શેતાન લાદેન માટે ‘ઓસામાજી’ જેવો શબ્દપ્રયોગ કરે છે અને દૈત્ય એવા હાફીઝ સઈદ માટે ‘શ્રી’ અને ‘જનાબ’ જેવાં વિશેષણોનો પ્રયોગ કરે છે. ગાંધીજીએ ઝીણાને ‘મિસ્ટર ઝીણા’ કહ્યાં અને આજે એમનો વારસો સંભાળતા લોકો હાફિઝને ‘મિસ્ટર હાફિઝ’ કહેતા રહે છે ! હું ફરી વખત કહું છું : વાત બુદ્ધિમતાની નથી, નિષ્ઠાની છે. સરદારને વડાપ્રધાનપદ આપીને જગતને એ સંદેશ આપી શકાય એમ હતું કે, માઈનોરિટીને ખરીખરી સંભળાવ્યા પછી પણ હિન્દુત્વને વરેલો માણસ આ દેશના સર્વોચ્ચ સિંહાસન પર બેસી શકે છે. અહીં સર્વોચ્ચ સ્થાને બેસવા માટે લઘુમતિઓની આળપંપાળ જરૂરી નથી, એ મેસેજ આપવાનું બહુ જરૂરી હતું. દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે એક હાર્ડલાઈનર, સ્પષ્ટ વક્તા, આખાબોલા, શિક્ષિત, કોઠાસૂઝ ધરાવતા વ્યક્તિની પસંદગી થાય તો તેમાંથી દેશને છેવટે ફાયદો જ હતો. યુ નો, તર્પણ ! જગતનાં અન્ય મહાન લોકશાહીના લઘુમતિઓ કરતાં ભારતના લઘુમતિઓ અનેક દૃષ્ટિએ અલગ છે. વિશ્ર્વમાં અન્ય દેશોમાં માઈનોરિટી હંમેશા શોષિત, પીડિત, દબાયેલી- કચડાયેલી રહે છે. ભયમાં જીવે છે. અન્યાયબોધમાં શ્ર્વસે છે. આપણે ત્યાં ઉલટું છે. અહીં બહુમતિ ભયમાં જીવે છે અને સેક્ધડ ક્લાસ સિટિઝનનું સ્ટેટસ વેઠે છે. તેને પ્રતિક્ષણ એવું લાગે છે કે, તેમનાં હક્ક-હિસ્સાનું છિનવીને અન્ય કોઈને અપાઈ રહ્યું છે. આ દેશનો વડાપ્રધાન જ્યારે એમ કહે છે કે, દેશની સંપદા પર સૌપ્રથમ અધિકાર લઘુમતિનો છે… તને ખ્યાલ છે, દોસ્ત ! એવા સમયે બહુમતિની માનસિક પીડા કેવી હોય છે!’
તર્પણ આંખ બંધ કરીને સાહેબની વાતો સાંભળી રહ્યો હતો. તેમણે કહેલા દરેક વાક્ય પછી તર્પણના મનમાં વિચારનો એક નવો વંટોળ સર્જાઈ રહ્યો હતો. શું આ જ ભારતની મેં કલ્પના કરી હતી? શું આ જ મારું ધ્યેય હતું ? શું આ જ મારું સ્વપ્ન હતું ? બિલકુલ નહીં. મારું સ્વપ્ન તો એ જ હતું કે, દેશ આધિ-વ્યાધિ- ઉપાધિથી તો મુક્ત હોય, સુખાકારી હોય, પ્રામાણિકતા હોય, શાંતિ અને સદભાવ હોય… લોકોને શાસકોમાં શ્રદ્ધા હોય અને શાસન જેમનાં હાથમાં હોય તેમને લોકોની ચિંતા હોય. આમાં ક્યાં કશું અટપટું હતું ! સાવ સરળ વાત હતી. લોકોને આજે શાસકો તો શું, શાસન વ્યવસ્થા પર જ શ્રદ્ધા રહી નથી, લોકશાહી સામે પ્રશ્ર્નાર્થો છે. આપણે આપણી જાત માટે જ સર્ટિફિકેટ ફાડી દીધું છે! ‘વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી !’ વાસ્તવિકતા એ છે કે, આ દેશ દુનિયાની સૌથી નિષ્ફળ લોકશાહી બનીને રહી ગયો છે. એક જ દિમાગ અને તેમાં આટઆટલાં વિચારો. તર્પણની મનોસ્થિતિ એવી હતી કે કોઈને કહેવાય પણ નહીં અને રહેવાય પણ નહીં. જો કે આટલા બધા વિચારો વચ્ચે પણ એક વિચાર તેને મન વારંવાર ઝબકી જતો હતો. એ હતો : ‘મારી ભાવના શુદ્ધ હતી તો પણ આવું કેમ થયું? મારો શું વાંક?’
આ જ પ્રશ્ર્ન તેમાંથી ચતૂર્વેદીસાહેબને પૂછાઈ ગયો: દેશની આવી સ્થિતિ માટે ગાંધીજી પર આપણે દોષનો ટોપલો કેવી રીતે ઢોળી શકીએ? એમની નિષ્ઠા પર તો કોઈને શંકા નથી…
‘બિલકુલ શંકા નથી…’ ચતૂર્વેદીસાહેબ જાણે આ પ્રશ્ર્ન માટે અગાઉથી જ તૈયાર હોય તેમ તેમણે ત્વરિત જવાબ આપ્યો. એમની વાત આગળ ચાલી…
‘…દેશનાં લોકો જેનો પડયો બોલ ઝીલવા તૈયાર હોય એવો લોકનેતા ગાંધી પછી કોઈ આવ્યો નથી. એમની પાસે પ્રચંડ શક્તિ હતી : જનસમર્થનની, લોકોના વિશ્ર્વાસની તાકાત. એમનું એ સામર્થ્ય હતું કે તેઓ દેશને જે દિશામાં લઈ જવાનું ધારે એ તરફ લઈ જઈ શકે એમ હતા. એમણે ટેકનોલોજીને બદલે રેંટિયોનો માર્ગ પસંદ કર્યો, મેડિકલ સાયન્સના નિતનવા આવિષ્કારો કરવા યુવાનોને આહવાન આપવાને સ્થાને તેમણે કહ્યું કે, હોસ્પિટલો એ અધોગતિની નિશાની છે અને દર્દ મટાડવા રામનામ જપવું, ના મટે તો મરી જવું! દેશને સુપરફાસ્ટ બુલેટ ટ્રેઈનની જરૂર હતી પરંતુ ગાંધીએ કહ્યું કે, જ્યાં જ્યાં રેલવે પહોંચી છે ત્યાં દૂષણો વધ્યા છે, રોગચાળો ફેલાયો છે! જો દોસ્ત! હું માનું છું કે, સર્વોદયની પ્રવૃત્તિઓ બહુ ઉપકારક નિવડી શકે પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે ઔદ્યોગિક ક્રાન્તિની અવગણના કરવી. નિરોગી શરીર એ આદર્શ સ્થિતિ ગણાય પરંતુ કોઈ ગંભીર વ્યાધિ હોય તો તેનો આધુનિક ઈલાજ એ પણ અનિવાર્યતા છે. ટ્રેઈન સ્વયં ખરાબ નથી, હા ! એ ચોકખી, સ્વચ્છ હોવી જોઈએ, તેનું ફુડ હાઈજીનિક હોવું જોઈએ. કારણ કે, ભારત જેવાં વિશાળ દેશમાં ઘણી વખત એક ગામથી બીજે ગામ જતા મુસાફરોએ ત્રણ-ત્રણ દિવસ તેમાં પસાર કરવાનાં હોય છે. એમનાં કેટલાંક વિચારો બહુ ઉમદા હતા. ક્ધયા કેળવણી, સ્ત્રી સ્વાતંત્ર્ય, વિધવા વિવાહ, શિક્ષણ અને ધર્મ પર તેમણે એવું ચિંતન કર્યું હતું કે, આજે પણ એમનાં એ વિચારો આધુનિક લાગે. પણ લોકોની ફિતરત હોય છે : એ ખરાબ બાબતો બહુ જલ્દી ગ્રહણ કરી લે છે. ગાંધીજીના લગડી જેવા વિચારો આપણે સગવડપૂર્વક ભૂલી ગયા અને તેમની વાહિયાત વાતો છોડતા નથી. કારણ કે, નક્કામી વાતોથી આપણું કમ્ફર્ટ ઝોન અકબંધ રહે છે, આપણી સ્મૂથ- સરળ જિંદગીમાં ખલેલ પડતી નથી. વિદેશી શોધ-સંશોધનનો ઉપભોગ- ઉપયોગ કરવામાં જબરી સરળતા છે, પરંતુ શોધ-સંશોધન કે આવિષ્કાર કરવાની જફામાં શા માટે પડવું ! આ આપણી માનસિકતા છે.
એકદમ આવેગમાં આવી શ્રીકુમાર ચતૂર્વેદી કેટલીક નક્કર વાતો કરી રહ્યાં હતાં. તર્પણ શર્મા વાડ પર બેસેલો એક મધ્યમમાર્ગી, આકરાં સ્ટેન્ડ વગરનો કૂણો માણસ હતો. સાહેબની ઘણી વાતો અગાઉ પણ તેને રુચતી નહોતી, આજે પણ એ ઝટ બધું સ્વીકારી શકતો નહોતો. પરંતુ આજે તેણે આખી વાત સાંભળવાનું નક્કી કર્યું હતું. ચતૂર્વેદીસાહેબની વાત આગળ ચાલી :
સરદારને વડાપ્રધાનપદ આપીને જગતને એ સંદેશ આપી શકાય એમ હતું કે, માઈનોરિટીને ખરીખરી સંભળાવ્યા પછી પણ હિન્દુત્વને વરેલો માણસ
આ દેશના સર્વોચ્ચ સિંહાસન પર બેસી શકે છે
‘વર્ષે છ-સાત બોમ્બ બ્લાસ્ટ સહન કરવા પડે તો કરી લેવા, આતંકવાદી છાવણીઓ પર હૂમલો કરી તેને નેસ્તનાબૂદ કરવાનું દુ:સાહસ શા માટે કરવું? વોટબેન્ક સાચવવાની છે, ભાઈ ! અહીં એક મસ્જિદની ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ તોડવા બદલ આઈ.એ.એસ. કક્ષાનાં અધિકારી સસ્પેન્ડ થઈ જાય છે. મુંબઈ હૂમલાનું રક્ત પણ સૂકાયું ન હોય ત્યાં દેશનાં રાજ્યનો મુખ્યમંત્રી પાકિસ્તાનની યાત્રાએ જાય છે અને કોઈ તેને પૂછતું પણ નથી કે, ભાઈ! તમારો એજન્ડા શું હતો આ યાત્રા પાછળ? દેશનાં ચિફ જસ્ટિસ, સૈન્યનાં વડા કે રાષ્ટ્રપતિ જેવાં પદ ભોગવતા લોકોને જ મળે તેવી એરપોર્ટ સિક્યુરિટી ચેકમાંથી મુક્તિ અહીં રાષ્ટ્રીય જમાઈઓને અપાઈ જાય છે. કોઈ બોલનારું નથી. ભાઈ! ભ્રષ્ટ રાજકારણીઓ, લુચ્ચા કોર્પોરેટ હાઉસ અને શઠ-બદમાશ બ્યુરોક્રસીની ત્રિપૂટીએ દેશનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે. આ પાપી ઠગબંધન તોડવું અનિવાર્ય છે.’
‘એક મિનિટ, સાહેબ! કબૂલ કે, ચોમેર હાહાકાર છે આ દેશમાં… કબૂલ કરું છું. આમઆદમી બેહાલ છે. તમને શું લાગે છે, આવી સ્થિતિમાં ગાંધી અત્યારે હયાત હોય તો તેમણે શું કરવું જોઈએ? રાધર, આઈ શુડ આસ્ક : તેઓ આવી હાલતમાં શું કરે?’ શ્રીકુમાર ચતૂર્વેદીની વાત પર અલ્પવિરામ મૂકતા તર્પણથી પૂછાઈ ગયું.
‘તને શું લાગે છે : શું કરે તેઓ ! દોસ્ત તર્પણ! હું માનું છું કે, તેઓ ચરખાને બદલે કમ્પ્યુટર્સની હિમાયત કરતા હોત! તેઓ કહે કે, લેટેસ્ટ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલો ગામેગામ ખુલવી જોઈએ! તેઓ કહે કે, આતંકવાદ અને ભ્રષ્ટાચારને મૂળથી ખતમ કરવા પડે, ડાળીઓ અને પાંદડા ખેરવીએ તો તેમાંથી વટવૃક્ષ કદી ધરાશાયિ ન થાય. આ દેશને અત્યારે ગાંધી, સાવરકર, ભગતસિંહ, બોસ અને સરદારનાં મિશ્રણ જેવાં એક ડિઝાઈનર સરમુખત્યારની આવશ્યકતા છે. એક એવો નેતા- જેનામાં ગાંધીની નિષ્ઠા હોય, સુભાષ જેવી આક્રમકતા હોય, સાવરકર જેવી હિંમત હોય, ભગતસિંહ જેવું ઝનૂન હોય અને સરદાર જેવું તેજ દિમાગ તથા નિર્ણયશક્તિ હોય. ગાંધી આવી જ વ્યક્તિ તરીકે બહાર આવે. કારણ કે, તેમની નિષ્ઠા સો ટચની હતી, તેઓ પોતાની ભૂલો સ્વીકારવામાં શરમ રાખતા ન હતા, તેમનો ભારતપ્રેમ અજોડ હતો અને સત્ય માટેનો તેમનો આગ્રહ વિરલ હતો. હાલની સ્થિતિ જુએ ત્યાં જ તેમને ખ્યાલ આવી જાય કે, હવે માત્ર ગાંધીવાદ નહીં ચાલે. એક પરફેક્ટ મિક્સ બનાવવું પડશે જો આ દેશને તારવો હશે તો. છૂટકો નથી. આપણે અગણિત ઉપાયો અજમાવી જોયા. હવે આવું પણ કરવું પડશે. મને ખ્યાલ છે કે, કોઈ એક શાસકથી રાતોરાત કશું બદલાઈ જવાનું નથી. પરંતુ તે પેલી કહેવત સાંભળી જ હશે કે, ઊંચામાં ઊચા શિખર સુધી પહોંચવાની યાત્રા પણ એક નાના કદમથી શરૂ થતી હોય છે. ગાંધી એક અસલી બૌદ્ધિક હતા, ‘મેઈડ ઈન ચાઈના’ પ્રકારનાં બુદ્ધિજીવી નહોતા. દેશનાં બૌદ્ધિક બેવકૂફોને જે વાત સમજતાં યુગો લાગવાનાં છે એ વાત તેઓ પળભરમાં પામી જાય. આ દેશનું ડીએનએ બદલવા માટે પ્રથમ ડગલું માંડવાનો સમય ક્યારનો થઈ ગયો છે. ઈન ફેક્ટ : એ સમય વીતી ચૂક્યો છે. દેર આયે, દુરસ્ત આયેની જેમ કોઈ મોરચો સંભાળી શકે તો દેશના સદનસીબ ! નહિંતર અહીં કીડી-મંકોડા જેવી જિંદગી પસાર કરી એક દિવસ પોઢી જવાનું આપણાં લમણે લખાયેલું જ છે !’
‘એક કપ કડક કોફી મળી શકશે, સાહેબ?’ અચાનક જ તર્પણએ સવાલ કર્યો. ચતૂર્વેદીસાહેબ પણ સ્હેજ ડઘાઈ ગયા. તર્પણએ એકદમ અચાનક જ, સાહેબની વાત કાપીને કોફી માંગી હતી. કદાચ એ સાહેબની વાત કાપવા જ માંગતો હતો, કોફી તો એક બહાનું હતું.
તર્પણની ભીતર બિરાજતા ગાંધી સુધી જેમ તેને ચાર-ચાર દાયકા લાગી ગયા, ‘દુર્ઘટના સે દેર ભલી’ એ મનોમન બબડયો અને પોતાની વૈભવી કાર હંકારતો સડસડાટ ત્યાંથી નીકળી ગયો
‘બિલકુલ ! મળી શકશે?’ એવું તારે પૂછવાનું ન હોય, હૂકમ જ કરવાનો હોય. સાહેબ જાતે જ ઉભા થયા અને કિચનમાં ગયા. થોડી વાર પછી એ જ્યારે કોફીનાં બે કપ લઈ બહાર આવ્યા ત્યારે તર્પણની આંખો બંધ હતી. એ કોઈ ઊંડા વિચારોમાં માથાબૂડ હતો. સાહેબએ તેને ઢંઢોળ્યો અને કોફીનો કપ હાથમાં પકડાવ્યો. થોડીવાર સુધી ડ્રોઈંગ રૂમમાં કોફીની ચુસ્કી સિવાયનો કોઈ જ અવાજ આવતો નહોતો. ખામોશી જાણે આખા રૂમમાં છવાઈ ગઈ હતી. તર્પણ અહીં ત્રણેક કલાકથી બેઠો હતો. સમય ક્યારે વિતી ગયો તેનો બેઉમાંથી કોઈને ખ્યાલ ન રહ્યો. ઘણાં વખતે આ બેઉ ગુરુ-શિષ્ય આજે નિરાંતે ભેગા થયા હતા. ફટાફટ કોફી ખતમ કરીને તર્પણે ખાલી કપ ટિપોઈ પર મૂક્યો.
‘સાહેબ ! આજે તમે ન મળ્યા હોત તો મારી હાલત ખરાબ થઈ જાય એમ હતું !’ ગળગળો થઈ તર્પણ બોલ્યો. તેનું દિમાગ એકદમ સ્પષ્ટ થવા લાગ્યું હતું. વિમાસણના વાદળોને જાણે સાહેબની સ્પષ્ટ વાતોનો ઝંઝાવાત તાણી ગયો હોય એમ તેને લાગ્યું. સવારે એ ઘેરથી નીકળ્યો ત્યારની તેની મનોસ્થિતિ અને અત્યારની માનસિક હાલત વચ્ચે મસમોટો તફાવત હતો. સાહેબ કોફી બનાવવા ગયા અને પાછા આવ્યા ત્યાં સુધીમાં તેણે અનેક દૃઢ નિશ્ર્ચય કરી લીધા હતા. તેને લાગ્યું કે, ચતૂર્વેદીસાહેબએ જાણે તેના સાત ચક્રો ભેદી નાંખ્યા છે અને તેનું કુંડલિની જાગરણ થઈ ચૂક્યું છે. તેણે સાહેબની રજા માંગી અને સમય આપવા બદલ આભાર પણ માન્યો.
‘કમ ઓન, માય સન! ગાંધી પર હજુ ગોષ્ઠિ કરવી હોય તો કહેજે. તું ઈચ્છે ત્યારે આવી શકે છે અહીંયા. યુ હવે ઓલ ધ રાઈટસ. એ તારો હક્ક છે!’
તર્પણે આદરભેર સાહેબના ચરણસ્પર્શ કર્યા. અગાઉ પણ એ સાહેબને અનેક વખત પગે લાગી ચૂક્યો હતો. પણ આજના ચરણસ્પર્શમાં ભાવ કંઈ અલગ હતો. મંદિરની મૂર્તિમાં એક વખતે જેને સાક્ષાત્ ઈશ્ર્વરના દર્શન થાય તેનાં નમસ્કારમાં પણ પછી એટલી જ તીવ્રતા અને ભાવ હોવાનાં. ચતૂર્વેદીસાહેબએ આજે તેને તંદ્રાવસ્થામાંથી જગાડયો હતો. જાત સાથે તેની મુલાકાત કરાવી હતી. કોઈ લોકસાહિત્યકારનાં મોઢેથી સાંભળેલી એક વાત તેને યાદ આવી ગઈ. ઘરની સાવ પડખે જ મંદિર હોય તો શું થયું, ત્યાં જવાનો ભાવ મનમાં આવતાં ક્યારેક દાયકાઓ પસાર થઈ જાય છે! તર્પણની ભીતર બિરાજતા ગાંધી સુધી જેમ તેને ચાર-ચાર દાયકા લાગી ગયા. ‘દુર્ઘટના સે દેર ભલી’ એ મનોમન બબડયો અને પોતાની વૈભવી કાર હંકારતો સડસડાટ ત્યાંથી નીકળી ગયો.
ક્રમશ :