સ્કૂલો ઑનલાઈન પોર્ટલ પર માત્ર સેલ્ફ ડિક્લેરેશન આપી વર્ગ વધારો મેળવી શકશે
વર્ગ વધારા માટેની અડધા વર્ષ સુધી ચાલતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરાયું
- Advertisement -
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને પાંચ ટકા પર લવાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના વર્ગ વધારાની આખા વર્ષ દરમિયાન ગોકળગાયની ગતિએ ચાલતી પ્રક્રિયામાં આમૂલ ફેરફાર કરવામાં આવ્યો છે. અડધુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ વર્ગ વધારાને લઈ લેવાતો નિર્ણય હવે શાળાઓ શરૂ થતાની સાથે જ લેવાઈ જશે. વર્ગ વધારા માટે ગ્રાન્ટેડ શાળાઓએ હવે ઉઊઘ કચેરી અને એ પછી સ્કૂલ ઓફ કમિશનર કચેરીની આખી પ્રક્રિયામાં પસાર થવાના બદલે ઓનલાઈન અરજી કરી વર્ગ વધારો મેળવી શકશે. સ્કૂલોએ વર્ગ વધારા માટે માત્ર સેલ્ફ ડિક્લેરેશન જ રજૂ કરવાનું રહેશે અને 31મી ઓગસ્ટ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.
રાજ્યમાં કુલ 5,300 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે. જોકે આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને પાંચ ટકા લાવ્યો છે. જેના લીધે આગામી વર્ષથી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાના પગલે ગ્રાન્ટેડ શાળાઓએ નવા વર્ગ વધારાની જરૂરિયાત ઉભી થશે. અત્યાર સુધીની જૂની પ્રક્રિયા મુજબ વર્ગ વધારા માટે સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા શિક્ષણ વિભાગમાં બજેટ માટે દરખાસ્ત કરવામાં આવતી હતી. 1લી એપ્રિલના રોજ બજેટ અસ્તિત્વમાં આવે આ દરમિયાન જો અન્ય કોઈ મહત્વની બાબત આવી જાય તો વર્ગ વધારાની દરખાસ્ત વિલંબમાં પડતી હતી.
જોકે બજેટ મંજૂર થયા બાદ તેની વહીવટી મંજૂરી મળવામાં ઓગસ્ટ મહિનો આવી જતો હતો. વહીવટી મંજૂરી આવ્યા બાદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા વર્ગ વધારાની જાહેરાત આપવામાં આવતી. જાહેરાતના પગલે સ્કૂલોએ ડીઈઓ કચેરીમાં અરજી કરવાની રહેતી હતી. એ પછી ડીઈઓ કચેરી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતી એ પછી સ્કૂલ ઓફ કમિશનર કચેરીમાં વિગત આવતી. સ્કૂલ ઓફ કમિશનર કચેરીમાં વિગત આવ્યાં બાદ પરંપરા મુજબ ત્યાંથી મંજૂરી મળવામાં ઘણો સમય લાગતો હોય છે. એટલે કે, ફાઈનલ વર્ગ વધારો સ્કૂલોએ મળતા જાન્યુઆરી માસ પણ આવી જતો હોય છે. આમ આ જૂની પ્રક્રિયાના કારણે રાજ્યની અનેક ગ્રાન્ટેડ શાળાઓના પાટિયા પડી ગયા. જેથી ગ્રાન્ટેડ શાળાઓ બચે અને વર્ગ વધારાની પ્રક્રિયા સરળ બને એ માટે શિક્ષણ વિભાગે માત્ર ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની નવી સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે અને એ અંગેનો સત્તાવાર ઠરાવ પણ પ્રસિદ્ધ કરી દેવાયો છે.