આખા ગુજરાતમાં દૂધનો સવારથી જ કકળાટ, પિતૃઓનું શ્રાદ્ધ કરવા દૂધ માટે લોકોનાં વલખાં: દૂધ પાર્લરોને તાળાં, સપ્લાય ખોરવાયો
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા કેટલાક સમયથી ઢોર નિયંત્રણ બિલને લઇને સરકાર અને માલધારી સમાજ વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. આ બીલના વિરોધમાં આજે માલધારી સમાજ દ્વારા સમગ્ર રાજયમાં દુધ વિતરણ બંધ રાખીને પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે દરમ્યાન આજે મળેલા વિધનસભઆના સત્ર દરમ્યાન ઢોર નિયંત્રણ બિલ બહુમતિના આધારે રદ કરવામાં આવતા માલધારી સમાજની લડતનો વિજય થયો છે. રસ્તા ઉપર રઝળતા પશુઓના કારણે કાયમ નાના- મોટા અકસ્માતો સર્જતા હોય લોકોની સતત માંગણી અને સમયાંતરે કોર્ટની ફટકારના કારણે અંતે સરકારને ઢોર નિયંત્રણ બિલ લાવવાની ફરજ પડી હતી પણ આ બિલની જોગવાઇઓ, માલધારીઓને આફનાર વિકલ્પો અને દંડ- સજાની વાતને લઇને પણ સરકાર અને માલધારી સમાજ વચ્ચે વિવાદ ચાલતો હતો. સંભવિત કાયદાના વિરોધમાં માલધારી સમાજે આક્રમણ વલણ અપનાવતા કે પછી આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં લઇને સરકારે પીછેહટ કરી હાલ ઢોર નિયંત્રણ બિલને રદ કર્યું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આજથી બે દિવસનું ટુંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું નવું સત્ર છે. જો કે ચૂંટણી બાદ બનનારી સરકારનું સત્ર મળશે. પરંતુ આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત ઘેરી હતી. બીજી તરફ ઢોર નિયંત્રણ બિલ બહુમતિના આધારે રદ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વિધાનસભામાં 10 કૉંગી ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા
ગૃહમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં જીગ્નેશ મેવાણી, કનુ બારૈયા, ગેની ઠાકોર, પ્રતાપ દુધાત, વિજયભાઈ, અમરીશ ડેર, બાબુ વાજા,પૂના ગામિત,ચંદનજી ઠાકોર, નૌશાદ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. શૈલેષ પરમારે કહ્યું હતું કે, આપનો આદેશ અમે માનીએ છીએ અને માનીશું. પરેશ ધાનાણી વેલમાં હતા નહિ પરંતુ તેઓ તેમની જગ્યા પર જ હતા. સરકાર જે પ્રસ્તાવ લાવી છે એ અમે માનીશું. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે તમને શરમ આવવી જોઈએ.શૈલેષ પરમારે સામે જવાબ આપતાં કહ્યું કે, શરમ તમને આવવી જોઈએ. આટલા બધા કર્મચારીઓ આંદોલન કરે છે.જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આંદોલન કરી રહેલા કર્મચારીઓ કોંગ્રેસનો હાથો નહીં બને. કોંગ્રેસને મુદ્દાઓના ઉકેલમાં રસ નથી.
માલધારીઓની દૂધ-હડતાળ સફળ
- Advertisement -
માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે મંગળવારે મોડી સાંજથી શરુ થયેલી દૂધની અછત બુધવારે સવારે તો રીતસર દૂધના કકળાટમાં તબદિલ થઈ ગઈ છે. આખા રાજ્યમાં ઠેર-ઠેર ‘દૂધ નથી’નાં પાટિયાં લાગી ગયાં છે. એટલું જ નહીં, રાજકોટ, સુરત સહિત ઘણાં ઠેકાણે દૂધ સપ્લાય કરતાં વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધમાં દૂધપાક માટે દૂધ મેળવવા લોકોને રીતસર વલખાં મારવાં પડ્યાં છે. દૂધનો સપ્લાય ચાલુ રહેશે એવી વાતો પોકળ સાબિત થવા વચ્ચે દૂધની આખો દિવસ તંગી રહેશે એ નક્કી છે.
અમદાવાદમાં તો ગઈકાલ રાતથી જ દૂધનો સ્ટોક ખલાસ!
અમદાવાદ શહેરમાં તો ગઈકાલ રાતથી જ દૂધનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. લોકોએ ગઈકાલ સાંજથી જ દૂધની બલ્કમાં ખરીદી કરવા માંડી હતી. જે લોકોને સામાન્ય દિવસોમાં ચાર થેલી જોઈએ તેઓ 12-15 થેલી લઈ જતા હતા. સુપરમાર્કેટમાં તો ગઈકાલે બપોરનો જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. આ સ્થિતિમાં આજે દિવસભર અમદાવાદમાં દૂધનો કકળાટ રહેશે. ત્યારે અમૂલ પાર્લર પર દૂધ મળી ગયું હોવાનું કેટલાક લોકો જણાવી રહ્યા છે. દૂધનો સપ્લાય જારી રહેશે એવી અમૂલ ડેરીના સત્તાવાળાઓએ કરેલી વાત પણ પોકળ સાબિત થઈ હતી. તો સુરતમાં ડભોલી રોડના માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ નહીં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ માલધારીઓનું હજારો લિટર દૂધ એક જ જગ્યાએ એકત્રિત કરવામાં રહ્યું રહ્યું છે. માલધારીઓએ હજારો લિટર દૂધનું પીલાણ કરવા માટે મશીનની વ્યવસ્થા કરી છે. દૂધ પીલાણ દરમિયાન મલાઈ કાઢી ઘી બનાવાશે અને આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવીને સરકાર સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવશે.