રાજ્યભરમાં 2 દિવસ માટે સઘન ચકાસણી ઝુંબેશ : એકત્ર કરાયેલા 290 નમૂનાઓનું કરાશે ઓથોરાઇઝ્ડ લેબમાં ટેસ્ટિંગ
બિયારણ-ખાતર-દવાનો અંદાજે રૂ. 1.68 કરોડની કિંમતનો જથ્થો અટકવાયો
- Advertisement -
ખાસ ખબર રાજકોટ, તા.25
રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તા. 23-05-2024 થી સ્ટેટ લેવલની 19 સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તા યુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા દિશા-નિર્દેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના 32 ઉત્પાદકો તેમજ બિયારણના 417, ખાતરના 268 અને દવાના 378 વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લીધી છે.
- Advertisement -
આ મુલાકાત દરમિયાન બિયારણના 210, ખાતરના 51 અને દવાના 29 એમ કુલ 290 નમૂના લેવામાં આવ્યા છે જેને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવશે. આ જે 290 નમૂના એકત્ર કરવામાં આવ્યા છે તેમાં કપાસના 108 નમૂના લેવાય છે તેમાં 43 નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા છે.
એટલું જ નહીં, સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના આઠ નમૂના પૈકીના પાંચ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાય છે. ખાસ કિસ્સામાં પાંચ દિવસમાં તેનું એનાલિસિસ કરીને પરિણામ જાહેર કરાશે. આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન તા. 23-05-2024 ના પ્રથમ દિવસે એક જ દિવસમાં અંદાજે 1.68 કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો 52,619 કિલોગ્રામ, ખાતરનો 82 મેટ્રિક ટન અને દવાઓનો 600 કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે. આ રાજ્ય વ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન 19 ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા 234 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.