▪એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીનાઆક્ષેપો સંદર્ભે સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડાશે નહીં: કસૂરવાર સામેકડક કાર્યવાહી કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા
▪ઘટનાની ન્યાયિક તપાસ માટે સ્થાનિક કક્ષાએ કમિટિ બનાવી તપાસ કરવાના આદેશો આપતા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી
- Advertisement -
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ ( ASP) અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજય ભરમાં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહી અને કોઇને પણ છોડશે નહી. કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો પણ કરી દેવાયા છે.