સરદાર પટેલના 151માં જન્મજયંતી વર્ષમાં જળસંચય કામગીરીનો ગીરગંગા પરિવારનો સંકલ્પ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કુદરતે આપેલા સંસાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે.પાણીનો અવિવેકપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે જળસંચય અને જનજાગૃતિ અનિવાર્ય છે. પાણીના વેડફાટને પરિણામે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉતર ગુજરાતની પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે ત્યારે જળસંચય માટે 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 151માં જન્મ જયંતી વર્ષના ભાગરૂપે 151 ચેકડેમો- તળાવોનું નિર્માણ કરવામાં આવનાર છે.
એક સમયે સૌરાષ્ટ્રની જમીનમાં 50 ફુટ ઊંડે પાણી હતા તે પાણીના તળ હવે એક થી બે હજાર ફૂટ ઊંડે જતા રહ્યા છે. ત્યારે દરિયામાં વહી જતા પાણીનો સંચય કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને અંજલી રૂપે 151 ચેક ડેમી-તળાવ તૈયાર કરવામાં આવનાર છે.
જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઊંડા તેમજ નવા ચેક ડેમો બનાવવા, બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 જળ સ્ટ્રકચર તૈયાર કરવાના ગીરગંગાના સંકલ્પ પૈકી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 8,150 જેટલા સ્ટ્રકચરો કાર્યાન્વિત થઈ ચૂક્યા છે. આ અભિયાનની સાથે સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર 151 તળાવો-ચેક ડેમો સરદાર વલ્લભભાઈની 151માં જન્મ જયંતીના એક જ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. દરમિયાન, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આ નવા પાણીના સ્ટ્રકચરો તૈયાર કરવા માટે સમાજ શ્રેષ્ટિઓ અને દાતાઓને તન, મન અને ધનથી આર્થિક સહયોગ માટે આગળ આવવા અપીલ કરી હતી. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક કંપનીઓ છે. તે પણ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વિરાટ કાર્યમાં આર્થિક રૂપે મદદરૂપ બનશે.
જળસંચય માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા સ્વીકારવામાં આવેલ ચાર મોડેલોમાંથી ગીરગંગાનું જળસંચય મોડલ અગ્રસ્થાને છે. વાસ્તવિક્તા એ છે કે, ધનથી પાણી નહીં બચાવી શકાય પાણી બચાવવા માટે જળસંચય અનિવાર્ય છે ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય ઝુંબેશમાં તમામ નાગરિકોએ સહયોગ કરવો એ સમયની માંગ છે. આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, જેન્તીભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, પ્રકાશભાઈ ભાલાળા, આશિષભાઈ વેકરીયા, શૈલેશભાઈ ભીમાણી, સંજયભાઈ ટાંક, સુરેશભાઈ દેસાઈ, ડો. દેવાંગીબેન મૈયડ, ગીરીશભાઈ દેવળિયા, કૌશિકભાઈ સરધારા વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.



 
                                 
                              
        

 
         
        