ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
નાગરિકોને નિ:શુલ્ક યોગ અભ્યાસનો લાભ મળી શકે તે માટે રાજય યોગ બોર્ડ દ્રારા જૂનાગઢ જિલ્લામાં 200 થી વધુ જગ્યાએ યોગ શિબિર કાર્યરત છે. આ તમામ સ્થળોએ યોગ નિષ્ણાંત સેવા આપી રહ્યા છે, સાથો સાથ નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
જેમાં શહેરની વાત કરીએ તો 160 જેટલા યોગ ક્લાસ શરૂ છે. ટીંબાવાડી, ઝાંઝરડા રોડ, જોશીપરા, દોલતપરા ,ખલીલપુર રોડ,કૃષિ યુનિ. સહિતના વિસ્તારોમાં યોગ ચાલી રહ્યા છે. કેટલીક જગ્યાએ સવારે અને સાંજે એમ બે વખત એક એક કલાકના યોગ વર્ગ હોય છે. આ ઉપરાંત ભેંસાણ, વંથલી, માળીયાહાટીના, મેંદરડા, વિસાવદર, માણાવદર અને જૂનાગઢ તાલુકામાં પણ યોગ કલાસ કાર્યરત છે. આ અંગે જિલ્લા કોર્ડીનેટર ચેતનાબેન ગજેરાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકોમાં સભાનતા વધી રહી છે. લોકો યોગ પ્રત્યે જાગૃત થયા છે. કાયમી ફક્ત એક કલાક યોગ માટે ફાળવવાથી લોકોના હજારો રૂપિયાની બચત થઈ રહી છે. યોગ થકી કમરનો દુખાવો, ઘૂંટીનો દુખાવો, પેટનો દુખાવો, ઉપરાંત ચાનું વ્યસન, નકારાત્મક વિચારો થી પણ મુક્તિ મળી છે.