ધારાસભ્ય સહિતના અગ્રણીઓની હાજરીમાં રબારીવાસમાં વિનામૂલ્યે સારવારનું દવાખાનું ખુલ્લું મુકાયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં નાત જાતના ભેદભાવ મિટાવીને હમ સબ એક હૈ ની ભાવના સાર્થક કરવા સદાય દરેક વર્ગના લોકો માટે સામાજિક, શૈક્ષણિક, તેમજ દરેક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરી સર્વધર્મ સમભાવને ચરિતાર્થ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ હવે દર્દી નારાયણની સેવા કરવા માટે આગળ આવ્યું છે અને દર્દી નારાયણને સામાન્ય તાવ શરદી, ઉધરસ, ઝાડા ઉલ્ટી સહિતના રોગોની સારવાર માટે ખાનગી દવાખાના કે મોંઘી હોસ્પિટલમાં તગડી ફી ચૂકવવી ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપે આરોગ્ય સેવા શરૂ કરવાનો દ્રઢ સંકલ્પ કરીને આ દિશામાં આગળ વધીને રવિવારે તા.13 ના રોજ સવારે 9-30 કલાકે જેલ રોડ ઉપર આવેલ રબારીવાસના ક્રિષ્ના પાન સામે અમૃતમ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
આ ક્લિનિકમાં રબારી વાસ, વણકરવાસ, વાલ્મિકી વાસ, મતવાવાસ, જેલ રોડ, બોરીચા વાસ, લીલાપર રોડ પરના તમામ વિસ્તારો, મકરાણીવાસ, વજેપર, લખધીરવાસ સહિતના આસપાસના તમામ વિસ્તારોના લોકોને નાત જાતના કોઈપણ ભેદભાવ વગર વિનામૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરવામાં આવશે તેમજ આ હોસ્પિટલમાં શ્રેષ્ઠ તબીબની સારી સારવાર અને દવા મળી રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, વોલ ક્લોક એસોસિએશનના અગ્રણી શશાંકભાઇ દંગી અને નિવૃત પી.એસ.આઈ. જેમલભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનોએ યંગ ઇન્ડિયા ગ્રુપની આ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી.