ડીમોલિશનને લઈ સોશિયલ મીડિયામાં શાંતિ ડહોળવા પ્રયાસ કરનાર 8 લોકોને ડીટેઈન કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
ગત સાંજે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી ખેંગાર, એલસીબી પીઆઈ એ.બી. જાડેજા, પીએસઆઈ સિંધવ, એસઓજી પીઆઈ ચૌહાણ મોટા પોલીસ કાફલા તથા એસઆરપી જવાનો સાથે જોડીયા શહેરના સોમનાથ ટોકીઝ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં પોલીસવડાએ ભાલકા ચોકી ખાતે પોલીસ સ્ટાફને બંદોબસ્તને લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે ગત સાંજે પ્રેસ કોન્ફરન્સમાં એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ડીમોલિશન બાદ જોડીયા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિનો માહોલ છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોશિયલ મીડિયામાં વોચ રાખવામાં આવી હતી. જેમાં શાંતિ ડહોળાઈ તેવી પોસ્ટ કોમેન્ટો કરનાર આઠેક શખસને ડીટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ ઉપર આમ તમામ સ્તરો ઉપર જુદી જુદી રીતે ખાસ વોચ રાખી રહી છે. જેથી કોઈપણ ગેરકાયદેસર કૃત્ય કરશે તો તે પોલીસની નજરથી બચી શકશે નહીં. જેથી લોકોએ કોઈપણ જાતની અફવામાં આવવું નહીં અને અફવા ફેલાવી નહીં. જે લોકોમાં કાયદામાં માની પાલન કરે છે એમને ડરવાની જરૂરી નથી. જે લોકો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને કાયદામાં ભરોસો નથી તેઓએ ચોક્કસ ડરવાની જરૂર છે. કારણ કે, તેઓ સામે ગમે ત્યારે જે જરૂરી લાગશે તેવા પગલા લઈશું.