ગુજરાતના 65% ખેતી આધારિત વસ્તીના વિકાસ માટે સમાન સુવિધાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરૂએ તા. 28/07/2025 ના રોજ “ખેતી, ગામ અને નગરના સમાન અધિકાર માટે કૃષક આંદોલન” ની હાકલ કરી છે. તેમનું કહેવું છે કે ઉદ્યોગ જેટલો ખેતીને, અને મહાનગર જેટલો નગર અને ગામડાઓને અધિકાર મળવો જોઈએ. ગામ અને નગર સુવિધા વિહોણા શા માટે છે અને ધંધા-ઉદ્યોગ જેવી નફાકારક ખેતી શા માટે નથી, તેવા પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે. રાજગુરૂએ જણાવ્યું હતું કે, ગુજરાતના 65% લોકો ખેતીની આવક પર નિર્ભર છે. તેમ છતાં, જી.એસ.ટી. અને ટેક્સ બધાને સરખો ભરવાનો હોય, પરંતુ સુવિધા આપવામાં અસમાનતા જોવા મળે છે. ખેતી માટે વીજળી, પાણી, ખાતર, દવા જેવી જરૂરી ચીજો માટે ખેડૂતોને “ફાફા મારવા પડે” છે, જ્યારે અન્ય વેપાર-ઉદ્યોગોને તાત્કાલિક સુવિધાઓ મળે છે.
- Advertisement -
તેમણે મહાનગરના વિકાસને જ ગુજરાતનો વિકાસ ગણવાની માનસિકતા સામે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે ગામ અને નગર તથા ખેતીની આવકો ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ. અમદાવાદનો રિવરફ્રન્ટ, રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરતના ઓવરબ્રિજ, ગાંધીનગરનો મહાત્મા કોન્ફરન્સ હોલ, ગિફ્ટ સિટી જેવા શહેરોનો વિકાસ થાય છે, પરંતુ નર્મદા કેનાલ સમયસર પૂર્ણ કરી ખેતર સુધી પાણી પહોંચાડવાને અગત્યતા આપવામાં આવતી નથી. આ “દેખાડાના વિકાસથી ગ્રામજનોએ પ્રભાવિત ન થવું જોઈએ”.
રાજગુરૂએ આરોપ લગાવ્યો હતો કે ખેતીને મજબૂત કરવા કરતા ઉદ્યોગ અને ધંધામાંથી ભ્રષ્ટાચારની આવક વધારે શક્ય બનતી હોવાથી ભાજપની સરકાર ઉદ્યોગ-ધંધા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. આવા અનેક મુદ્દાઓને લઈને ખેતી, ગામ અને નગરની અવગણના સામે લોક આંદોલન જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીમાં મોટી સંખ્યામાં લોકો અધિકાર માંગે તો ભલભલી સરકારને પણ ઝૂકવું પડે. ગાંધીજીએ દેશને આઝાદ કરી આપણને દેશના માલિક બનાવ્યા છે અને સરકાર ફક્ત વહીવટદાર છે. જો ખેતીની આવક વધે અને ખેત આધારિત લોકોની ખર્ચ શક્તિ વધે, તો ગામડાઓમાં પણ મોટી હોસ્પિટલો, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ફંક્શન હોલ, મોલ-મલ્ટીપ્લેક્સ જેવી સુવિધાઓ આવી શકે છે. તેમણે વ્યક્તિગત રીતે દરેક લોકોને આ આંદોલનમાં જોડાવા હાકલ
કરી છે.