શૈલવાણી: શૈલેષ સગપરિયા
પોતાને પડતા દુ:ખોથી પરેશાન એક માણસ ભગવાનને રાત્રે સૂતા પહેલા ફરિયાદ કરી રહ્યો હતો કે, પ્રભુ મને જ કેમ દુ:ખ આપે છે. મારા ગામના બાકીના લોકો કેવા આનંદમાં જીવન વિતાવે છે. એ રાત્રે સૂતા પછી આ ભાઈને એક સપનું આવ્યું. સપનામાં એણે જોયું કે એક બહુ જ મોટા મહેલમાં એના ગામના તમામ લોકો ભેગા થઈ રહ્યા છે. તમામ લોકોને પોતાના દુ:ખોની પોટલી સાથે લઈને આવવાની સૂચના મળી હતી આથી બધાં પોતાની સાથે દુ:ખોની પોટલી પણ લાવ્યા હતાં. પરંતુ સપનું જોઈ રહેલા આ માણસને આશ્ચર્ય થયું કે તે જેને સુખી ગણતો હતો, તે બધાં પાસે પણ દુ:ખોની પોટલી હતી. અને વળી બધાંના દુ:ખોની પોટલી સરખી જ હતી. વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એમણે મંદિરના પૂજારી, મસ્જિદના મૌલવી, ચર્ચના પાદરી, ગામના સૌથી અમીર નગરશેઠ વગેરેને પણ પોતાની દુ:ખની પોટલી સાથે ત્યાં આવેલા જોયા. બધાં ભેગા થઈ ગયા એટલે આકાશવાણી થઈ કે, ‘હવે તમે બધાં તમારા દુ:ખની પોટલી દીવાલમાં લગાવેલી ખીંટી પર ટાંગી શકો છો.’ બધાં જ પોતાનું દુ:ખ ટાંગવા માટે દોડ્યા અને ખીંટી પર પોતાના દુ:ખની પોટલી ટાંગી આવ્યા. થોડા સમય પછી ફરી આકાશવાણી થઈ કે, ‘હવે તમારે જે કોઈની પણ દુ:ખની પોટલી ઉપાડવી હોય, તે ઉપાડી શકો છો. બધાંને પોતાના દુ:ખની પોટલી બદલવાની છૂટ છે.’ સપનું જોઈ રહેલા માણસને થયું કે, ‘નગરશેઠની પોટલી જ ઉપાડી લઉં !’ પણ તુરત વિચાર આવ્યો કે, ‘એ પોટલીમાં કેવા પ્રકારનું દુ:ખ છે એ મને ક્યાં ખબર છે ? મારી પોટલીમાં રહેલા દુ:ખથી કમસેકમ હું પરિચિત તો છું. અને મારા પોતાના દુ:ખ સાથે ઘણા લાંબા સમયથી પરિચિત હોવાના કારણે હવે એનો બહુ ડર પણ નથી લાગતો પોતાપણું લાગે છે….’ લાંબું વિચાર્યા વગર જ એ દોડ્યો અને બીજા કોઈ પોતાના દુ:ખની પોટલી લઈ જાય એ પહેલા એ જાતે જ પોતાની પોટલી ઉપાડીને માથે ચડાવી ચાલતો થયો. અને હા ! બાકીના બધાં લોકોએ પણ એમ જ કર્યું. આપણે બીજાના હસતાં ચહેરા જોઈને વધુ દુ:ખી થઈએ છીએ પણ દરેક હસતાં ચહેરાની પાછળ પણ વિષાદ હોય છે. એ દેખાતો નથી. ચહેરો તો આપણો પણ હસતો જ હોય છે, પણ ભગવાને કરામત એવી કરી છે કે આપણો હસતો ચહેરો આપણે જોઈ નથી શકતા.
- Advertisement -
હું એટલા માટે હસું છું, ક્યાંક પેલું સંતાડી રાખેલું આંસુ ગફલતમાં ટપકી પડે નહીં
-ઉમાશંકર જોશી