પરંતુ સજ્જન વ્યક્તિ પ્રલય સમાન ભયંકર આપત્તિ અને કષ્ટ સમયે પણ પોતાની મર્યાદામાં જ રહે છે.
કથામૃત: એક વખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો. આ પથ્થર ચળકતો હતો, આથી એ રાજાને ભેટ તરીકે આપવામાં આવ્યો. આ ચળકતો પથ્થર હીરો છે કે પથ્થર છે તે નક્કી કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું. રાજાએ આ માટે સમગ્ર દુનિયામાંથી આ બાબતના નિષ્ણાતોને બોલાવ્યા. એક પછી એક નિષ્ણાત વ્યક્તિએ આવીને એ પથ્થરને તપાસ્યો પણ કોઈ નક્કી ન કરી શક્યું કે આ પથ્થર છે કે હીરો છે. છેવટે એક અંધ વ્યક્તિ આવી અને એણે પેલા પથ્થરને હાથમાં ઉપાડ્યો. બધાં નિષ્ણાતો હસવા લાગ્યા કે, ‘આ આંધળો કેવી રીતે નક્કી કરી શકશે.
- Advertisement -
જેને ભગવાને બે આંખો આપી છે, એવા લોકો પણ આ પથ્થરને નથી ઓળખી શક્યા; તો આ માણસ શું ઓળખવાનો હતો ?’ પેલી અંધ વ્યક્તિએ રાજાને વિનંતી કરતા કહ્યું, રાજા સાહેબ, આ પથ્થરનું પરિક્ષણ કરવા માટે મારે એને ખુલ્લા મેદાનમાં લઈ જવો પડશે. રાજાએ આ માટે મંજૂરી આપી. અંધ માણસે પેલા વિશિષ્ટ પથ્થરને ઘોમઘખતા તાપમાં ખુલ્લો રાખીને મૂકાવ્યો. બધાં લોકો આ માણસ શું કરી રહ્યો છે તે જોઈ રહ્યા હતાં. એકાદ કલાક પછી એ અંધ માણસ ખુલ્લા રાખેલા પથ્થર પાસે ગયો. પથ્થર હાથમા લઈને ફેરવ્યો અને તુરંત જ કહ્યું, આ પથ્થર નથી પણ હીરો છે. બધાંએ એક સાથે આશ્ચર્યથી પૂછ્યું, તમે તો આંખોથી જોઈ પણ નથી શકતા. તો પછી તમે કેવી રીતે નક્કી કર્યું કે આ હીરો જ છે ! એણે સ્પષ્ટતા કરતા કહ્યું, અત્યારે ઉનાળાની ભર બપોર છે, અને સાવ ખુલ્લામાં આ પદાર્થ રાખેલો છે. આટલો બધો તાપ એના પર પડવા છતાં એ ગરમ નથી થયો. એમ જ ઠંડો છે. જે બતાવે છે કે એ પથ્થર નથી પણ હીરો છે. કારણ કે હીરો ગરમીથી ગરમ ન થાય અને ઠંડીથી ઠંડો ન થાય. બહારના વાતાવરણની કોઈ અસર તેના પર ન થાય.
બોધામૃત: જીવનમાં સમસ્યાઓ અને સંઘર્ષોનો સૂર્ય બરોબરનો તપતો હોય, છતાં તેના આકરા તાપની જેના પર અસર ન થાય; અને જે ઠંડો રહી શકે એ જ સાચો હીરો છે, જે અમૂલ્ય છે. અને જે તપી જાય એ પથ્થર છે, જેનું કોઈ મૂલ્ય નથી.