મને ટ્રોફીની ચિંતા નથી. મારા માટે ટીમના 14 સાથીઓ જ સૌથી મોટી ટ્રોફી છે: સૂર્યકુમાર
હારની સાથે સાથે પાકિસ્તાન ટ્રોલ પણ થયું
- Advertisement -
ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને હરાવતા ઈતિહાસ રચી દીધો. જોકે આ ખુશી વધારે ન ટકી કેમ કે ટ્રોફીને લઇને મોટો વિવાદ થઇ ગયો. ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી જ નહીં કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ પાકિસ્તાની મોહમ્મદ નકવી છે અને ટીમ ઈન્ડિયા તેમના હસ્તે ટ્રોફી સ્વીકારવા નહોતી માગતી. જેને લઈને લગભગ બે કલાક સુધી ડ્રામા ચાલ્યો અને પછી નકવી ટ્રોફી અને વિજેતા ટીમના મેડલ્સ લઇને હોટેલ નીકળી ગયાની માહિતી મળી.
સૂર્યકુમારે શું કહ્યું?
હવે આ મામલે ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જોરદાર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘મને ટ્રોફીની ચિંતા નથી. મારા માટે ટીમના 14 સાથીઓ જ સૌથી મોટી ટ્રોફી છે. મારા મતે હું જ્યારથી ક્રિકેટ રમું છું મેં એવું ક્યારેય નથી જોયું કે કોઈ વિજેતા ટીમને ટ્રોફી એનાયત ન કરાઈ હોય અને તેને વંચિત કરી દેવામાં આવી. મારો મતલબ એ છે કે અમે ઘણી મહેનત કરી હતી. અમે ટ્રોફી સરળતાથી નહોતા જીત્યા.’
- Advertisement -
ભારતીય કેપ્ટને હસતા મોઢે કહ્યું કે, ‘અમે 4 સપ્ટેમ્બરથી અહીં દુબઈમાં છીએ. અમે આજે શાનદાર રમ્યા. સતત બે દિવસમાં બે મેચમાં જોરદાર પરફોર્મ કર્યું. મને લાગે છે કે અમે ટ્રોફીના હકદાર હતા. બસ હું વધારે નથી કહેવા માગતો. મને લાગે છે કે મેં સારી રીતે મારી ભાવના વ્યક્ત કરી દીધી છે. જો તમે મને ટ્રોફી વિશે પૂછશો તો હું એટલું જ કહીશ કે મારી ટ્રોફી તો મારા ડ્રેસિંગ રૂમમાં છે. મારા તમામ 14 સાથી ખેલાડી, સંપૂર્ણ સ્ટાફ જ મારી અસલ ટ્રોફી છે.’
સલમાન અલી આગાએ કર્યું રિએક્ટ
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ આ મામલે હાર બાદ કહ્યું કે, ‘ભારતે જે અમારું સાથે કર્યું તે અયોગ્ય હતું. તેણે મોહમ્મદ નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારી અમારું નહીં પણ ક્રિકેટનું જ અપમાન કર્યું છે. જો અન્ય ટીમો પણ આવું કરશે તો આ ક્યાં જઇને અટકશે? મોહમ્મદ નકવી એસીસીના ચેરમેન છે, જો તમે એમના હસ્તે ટ્રોફી નથી લેવા માગતા તો પછી કોણ આપશે તમને ટ્રોફી? ક્રિકેટર રોલ મોડેલ હોય છે, બાળકો આવું વર્તન જોઇને શું શીખશે. આ ટુર્નામેન્ટમાં જે કંઇ થયું તે અયોગ્ય હતું.’ હેન્ડશેક વિવાદ પર સવાલ ઊઠતાં તેમણે કહ્યું કે આ વિવાદ અંગે તો તમારે ભારતીય ટીમને જ સવાલ કરવા જોઈએ.
બુમરાહે 18મી ઓવરમાં યોર્કર ફેંકી રઉફનું સ્ટમ્પ ઉડાવી દીધુ હતું. રઉફની વિકેટ લેતાં બુમરાહે રઉફની પ્લેન ક્રેશની નકલ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
પીચ પર રઉફ પોતે હાથ વડે પ્લેન ક્રેશનો ઈશારો કરતો જોવા મળ્યો હતો, ત્યારે બુમરાહે તેની વિકેટ લેતાં તેનો જ ચાળો કરતાં પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો. જેને ચાહકોએ વધાવી લીધો હતો. સ્ટેડિયમમાં ભારતીય ચાહકો ઝુમી ઉઠ્યા હતાં. સોશિયલ મીડિયા પર પણ તેની આ પળ ઝડપથી વાઈરલ થઈ હતી.
ઈરફાન પઠાણે પણ કર્યા વખાણ
બુમરાહના હાવભાવના પૂર્વ ભારતીય ઓલ-રાઉન્ડર ઈરફાન પઠાણે પણ વખાણ કર્યાં હતાં. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, ‘ફ્લાઈટ લેન્ડ કરા દી બુમરાહ ને’. ભાજપે પણ બુમરાહના વખાણ કર્યા હતાં. રઉફએ રમત દરમિયાન 6-0 અને પ્લેનનો ઈશારો કર્યો હતો. તેણે 2019માં સરહદ પર ભારત-પાકિસ્તાન અથડામણ દરમિયાન છ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને પ્રતિબિંબ કરતાં આ ઈશારો કર્યો હતો. જો કે, બુમરાહે રઉફની જ વિકેટ લેતાં તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો અને પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો.
અબરાર અહેમદને ટ્રોલ કર્યો
આ મેચમાં અબરાર અહેમદે સંજુ સેમસનને આઉટ કર્યા બાદ અબરારે પેવેલિયન તરફ ઈશારો કરતાં ઉજવણી કરી હતી. તે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આઉટ કર્યા બાદ વારંવાર પેવેલિયન તરફ જવાનો ઈશારો કરતો જોવા મળ્યો હતો. જો કે, ટીમ ઈન્ડિયાએ મેચ જીત્યા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને ભારે ટ્રોલ કર્યા હતાં. હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને જીતેશ શર્માએ સંજુ સેમસન સામે ઊભા રહીને અબરારની પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.