ખાસ-ખબર સંવાદદાતા
આ વિધાનસભાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસ માટે કપરા ચઢાણ બની રહેવાની છે. કારણ કે, એક તરફ ભાજપને ટક્કર, બીજી તરફ આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ત્રીજી તરફ પોતાના જ પક્ષના નેતાઓનો વિશ્વાસ ગુમાવી રહ્યુ છે કોંગ્રેસ. કોંગ્રેસ હાલ એકસાથે અનેક મોરચે લડી રહ્યુ છે, પરંતુ પોતાના નારાજ નેતાઓને અન્ય પક્ષમાં જતુ રોકી શક્તુ નથી. નારાજગીનો આ દોર હવે સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ બે નેતા કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર જલ્દી જ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો હાથ પકડી શકે છે.
પક્ષથી નારાજ બે દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસને અલવિદા કરીને 17 ઓગસ્ટ ભાજપનો ખેસ પહેરશે. બંને નેતા બે દિવસમા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. આ બંને નેતા અહેમદ પટેલ જૂથના છે, જેઓ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આ ઘટના ભૂકંપ સમાન છે. કોંગ્રેસના નેતાઓનું ભાજપ તરફી વલણ કોંગ્રેસને ભારે પડી શકે છે. વિશ્વાસ ગુમાવ્યા બાદ અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. સાથે જ કોંગ્રેસ મોવડીઓ પણ ‘જતા હોય તો જવા દો’ એમ કહીને જાણે પોતે જ પક્ષની દશા બેસાડવા બેસ્યા હોય તેવું લાગી રહ્યું છે.
- Advertisement -
અત્યાર સુધી ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. હજી પણ બે દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ પલાયન કરી રહ્યાં છે. છતાં પક્ષને કંઈ પડી નથી. જો આવું ને આવુ ચાલતુ રહ્યું તો કોંગ્રેસ પોતાના જ નેતાઓનો વિશ્વાસ ગુમાવી દેશે.
નરેશ રાવલની નારાજગીનું કારણ શંકરસિંહ વાઘેલા
કહેવાય છે કે, શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાથી આંતરિક વિવાદ ઉભો થયો છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાથી નરેશ રાવલ નારાજ થયા છે.