દર્દીઓના અવરજવર માટે આપેલી ઇ-રીક્ષાના લાભથી ગરીબો વંચિત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડે નહીં તે માટે દાતાઓ તેમજ રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી આવેલી 7 જેટલી ઈ-રીક્ષા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલનાં ઙખજજઢ બિલ્ડીંગ ખાતેનાં પાર્કિંગમાં ધૂળ ખાતી હોવાનું સામે આવ્યું છે. આ ઈ-રીક્ષાઓ લાંબા સમયથી પાર્કિંગમાં એક જ જગ્યાએ પડી છે.
જેથી તેનો લાભ કોઈ દર્દીને મળતો નથી અને અન્ય કોઇ કામમાં પણ તેનો ઉપયોગ થતો નથી. જોકે હવેથી આ ઈ-રીક્ષાઓનો સામાન અને દવાઓની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાનું શરૂ કરાયું હોવાનું સિવિલ અધિક્ષક દ્વારા જણાવાયું છે. પણ હોસ્પિટલમાં માત્ર 1 ઈ-રીક્ષા ઉભી હોવાનું જોવા મળ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ઉંદરો-વંદા અને મચ્છરોનો ત્રાસ હોવાનું તેમજ હોસ્પિટલની લોબી અંદર વાહનો પાર્ક થતા હોવાનું સામે આવી ચૂક્યું છે.
ત્યારે હવે હોસ્પિટલમાં આવેલા ઙખજજઢ બિલ્ડીંગનાં પાર્કિંગમાં 7 જેટલી ઈ-રીક્ષાઓ સાવ બિન ઉપયોગી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. દર્દીઓની હેરાફેરી કે અન્ય કોઈપણ કામ માટે આ ઇરીક્ષાઓનો ઉપયોગ કરવામાં આવતો નહીં હોવાથી ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. જેને લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને પણ તેનો લાભ મળતો નથી.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સેવા માટે આપવામાં આવેલી ઈ-રિક્ષાઓની સુવિધા સદંતર બંધ કરી દેવામાં આવી છે. અંદાજિત 7 જેટલી રિક્ષાઓ લાખો રૂપિયાના ખર્ચે દાતાઓ પાસેથી દાનમાં મળેલી છે.
તેમજ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિને દારૂ પરમીટમાંથી થતી આવકમાંથી આ ઈ-રીક્ષા વાહનો અને તેનું મેનેજમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હાલ ઈ-રીક્ષાઓ ધૂળ ખાતી જોવા મળી રહી છે.
- Advertisement -
દર્દીઓની હેરફેર સેફ ન લાગતા બંધ કરવાનો નિર્ણય કરાયો : સિવિલ અધિક્ષક
સમગ્ર મામલે રાજકોટ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, અગાઉ ઈ-રીક્ષામાં દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવતા હતા, પરંતુ તે એટલું સેઈફ નહીં લાગતા દર્દીઓની હેરફેર બંધ કરવામાં આવી હતી. જોકે હવે ઈ-રીક્ષાઓ દ્વારા દવાઓ સહિતના સામાનની હેરાફેરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે. સોમવારથી જ ઈ-રીક્ષાઓનો સામાન ફેરવવા માટે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો.