રાજકોટમાં રહેતી દ્વારકાની તરૂણીનો ફાંસો ખાઈ અને યુવતીનો ઝેર પી આપઘાત
માનસરોવર પાર્કમાં યુવતીએ જવાબદારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે શહેરમાં આપઘાતના વધુ બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
જામનગર રોડ પર કલ્યાણ સોસાયટી પાસે અર્પણ હોસ્ટેલમાં રહેતી સાહિસ્તા મહમદ મીલતાની ઉ.17 નામની તરૂણીએ મંગળવારે બપોરે હોસ્ટેલમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના જમાદાર ઇકબાલભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં સાહિસ્તા દ્વારકા પંથકની હોવાનું અને તે બે ભાઇની એકની એક બહેન હોવાનું જાણવા મળ્યું છે તેના પિતા ખાવડીમાં નોકરી કરે છે, સાહિસ્તા રાજકોટમાં અર્પણ હોસ્ટેલમાં રહી ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી, કેટલાક દિવસથી રીડિંગ વેકેશન હોવાથી સાહિસ્તા પોતાના ઘરે ગઇ હતી અને રવિવારે જ હોસ્ટેલે પરત આવી હતી, મંગળવારે બપોરે તેની સાથી વિદ્યાર્થિનીઓ સ્કૂલે પરીક્ષા આપવા ગઇ ત્યારે સાહિસ્તા સાથે ગઇ નહોતી અને પોતાના રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો, સાહિસ્તાએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, પિતા પર બોજ નથી બનવું એટલે અંતિમ પગલું ભરું છું’ અને તે કારણે તેણે અંતિમ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
જ્યારે આજી ડેમ કોકડી નજીક માનસરોવર પાર્કમાં રહેતી કાજલ ભૂપતભાઇ સોલંકી નામની 22 વર્ષીય યુવતીએ મંગળવારે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી કાજલ બે બહેન અને બે ભાઇમાં મોટી હતી, તેના પિતા હયાત નથી, કાજલ કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી, તેની નાની બહેનના લગ્ન કરાવી દીધા હતા પરંતુ બે નાના ભાઇ અને માતા સહિતના ગુજરાન માટે કાજલે લગ્ન કર્યા ન હોતા અને કામ કરી પરિવારના સભ્યોનું ભરણપોષણ કરતી હતી, પરંતુ બંને નાના ભાઇ ક્યારે મોટા થશે, ક્યારે સારા દિવસો આવશે આવા વિચારો કેટલાક દિવસથી તેને આવતા હોય હતાશ થઇ અંતિમ પગલું ભરી લીધું હતું.