સિંગર મીરા આહીરના ભાઈને ઇમર્જન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કર્યો, ફાઇલ છુટ્ટી ઘા કરી: વિડીયો બનાવી જવાબ માગ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. પાંચ મહિના પહેલાં લોકસાહિત્યકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો હતો, હવે જાણીતા સિંગર અને લોકસાહિત્યકાર મીરા આહીરને પણ સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું છે. મીરા આહિરના ભાઈ કાનાનો પારેવડી ચોક આસપાસ અકસ્માત થયો હતો. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેને ઇમર્જન્સી કેસ હોવાછતાં 50 મિનિટ સુધી એડમિટ કરવામાં આવ્યો નહોતો.
View this post on Instagram- Advertisement -
આ મામલે સિંગર મીરા આહીર સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું અને તેમના ભાઈને ઈમર્જન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કરી ફાઈલ માગતાં છુટ્ટો ઘા કર્યાનો આક્ષેપ કર્યો છે, સાથે જ મીરા આહીરે વીડિયો બનાવી આ મામલે તંત્ર પાસે જવાબ પણ માગ્યો છે.
મીરા આહીરે સમગ્ર ઘટનાને લઈને તંત્ર પાસે જવાબ માગતાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું છે કે તેઓ તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતાં. ઇમર્જન્સી વિભાગમાં 45થી 50 મિનિટ સુધી રાહ જોયા છતાં કોઈપણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં આવ્યો નહોતો. આટલું જ નહીં, મીરા આહીરે ઇમર્જન્સી વિભાગમાં ફરજ પર હાજર ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન કરવાનો અને અભદ્ર ભાષાના ઉપયોગનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
મીરા આહીરે વીડિયોમાં જણાવ્યું છે કે સ્ટાફ દ્વારા તેમને ‘નથી દાખલ કરવો, તારાથી જે થાય એ કરી લે’ જેવા અયોગ્ય શબ્દો પણ કહેવામાં આવ્યા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને મીરા આહીરે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા સિવિલ હોસ્પિટલ પાસે આ મામલે સ્પષ્ટતા અને જવાબ માગ્યો છે. તેમણે સિવિલ તંત્રની બેદરકારી અને દર્દીઓ પ્રત્યેના અસંવેદનશીલ વલણ સામે પણ અવાજ ઉઠાવ્યો છે.
આ ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા કરે છે. અગાઉ અનેક વખત સિવિલ હોસ્પિટલ તેની બેદરકારી અપૂરતી સુવિધાઓ, સ્ટાફના ગેરવર્તન જેવી બાબતે વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ત્યારે વધુ એકવાર આ પ્રકારની ઘટના સામે આવતાં લોકોમાં પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી હોસ્પિટલમાં જો આવા કલાકારોને પણ કડવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એ ચિંતાનો વિષય છે.
તપાસ બાદ વિડીયો-દસ્તાવેજો જાહેર કરીશું: સિવિલ અધિક્ષક
આ મામલે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, દર્દીને સંપૂર્ણ સારવાર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ દર્દીના સગાના અસહયોગને કારણે તેઓ ખાનગી સારવાર માટે દર્દીને લઈ ગયા હતા. ઇમરજન્સી વિભાગમાં આવેલા દર્દીને તાત્કાલિક સારવાર માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. તેમને દાખલ થવા માટે કહેવામાં આવ્યું હતું અને સ્ટ્રેચર પર ચોથા માળે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. સર્જરી માટે જરૂરી તમામ સારવાર પ્રક્રિયા અને પ્રોસિજર પણ હાથ ધરવામાં આવી હતી. જોકે, મેડિકલ રજિસ્ટરમાં ફોર્મલ નોંધણી કરાવવા માટે દર્દીના સગાઓને કહેવામાં આવ્યું, ત્યારે તેઓએ સહયોગ આપવાની ના પાડી હતી. વધુમાં ઉમેર્યું કે, દર્દીના સગાઓએ ડોક્ટર સાથે માથાકૂટ કરી અને દર્દીને લઈને હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હતા. તબીબોએ દર્દીને દાખલ કરવા જરૂરી હોવાનું કહ્યું હતું, પરંતુ સગાઓએ સિવિલમાં દાખલ કરવાને બદલે ખાનગી સારવાર માટે લઈ જવાનું પસંદ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માટે કમિટી જે નિર્દેશ આપશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ નિવેદન દ્વારા તેમણે ડોક્ટરોનો બચાવ કર્યો અને હોસ્પિટલ દ્વારા દર્દીને સંપૂર્ણ સહયોગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ આ તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી વીડિયો અને દસ્તાવેજો જાહેર કરવાની ખાતરી પણ આપી હતી.
મીરા આહીરની વ્યથા શબ્દશ:
વાઇરલ વીડિયો પ્રમાણે…. જય દ્વારકાધીશ, હું છું મીરા આહીર. આજનો એક અનુભવ તમને જણાવવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે, કારણ કે આ જવાબ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા, કોઈએ કેસ ન લખ્યો. આટલા આંટા માર્યા પછી પણ માણસ એમ કહી દે કે અમારો ટાઈમ થઈ ગયો છે જમવાનો, બે વાગી ગયા છે, હવે આમને ન લઈ જઈએ, મારો બ્રેક છે, આવો જવાબ મળે અમને. પછી અમે અમારી રીતે બીજે લઈ ગયાં.
બીજે લઈ ગયા તો તેને ચોથા માળે શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ, સર ઈમર્જન્સી સ્ટાફનું બહુ ગેરવર્તન. મન ફાવે તેવી અભદ્ર ભાષામાં વાત કરે. મન ફાવે તેવા જવાબ આપે અને મન ફાવે એવું બોલે કે નથી દાખલ કરવો જા, તારાથી થાય એ કરી લે, આવા શબ્દો વાપરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તેનું આજ કામ છે? આવો સ્ટાફ સામાન્ય માણસો સાથે આવું વર્તન કરે તે ક્યાં સુધી વાજબી છે? નોર્મલ માણસો સાથે ક્યાં સુધી આવું થશે? આજે અમારા પર છે, કાલે તમારા પર આવશે. બધા પર આવશે, ત્યારે કોણ જવાબ દેશે?
અભદ્ર ભાષામાં બોલવું, નિરાંતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? કોઈએ તો જવાબ દેવો પડશે આનો કે પછી ચાલે છે એ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે છે ખરું કઈ દુનિયામાં? રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે આ વસ્તુનો મારે જવાબ જોઈએ છે, જે તમારો સ્ટાફ બહુ જ ગેરવર્તન કરે છે અને મન ફાવે એવા જવાબ આપે છે તેનો…