ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉપલેટા પંથકના જામટીંબડી ગામના મૂળ વતની કડવા પાટીદાર સમાજના રાજકોટ નિવાસી શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા શિક્ષક દંપતિ હસમુખભાઈ ધમસાણિયા અને ભારતીબેન ધમસાણિયા જેના બે બહેનોનો લાડલો એવો નાનો ભાઈ સમગ્ર પરિવારનો લાડકવાયો માત્ર 21 વર્ષીય આશાસ્પદ, ઉત્સાહી, તરવરીયો પુત્ર કિશનનું પાંચ વર્ષ પહેલાં 28મી મેના રોજ માત્ર બે દિવસની ટૂંકી બિમારી બાદ અવસાન થયું હતું ત્યારે પુત્રની સ્મૃતિમાં પ્રતિ વર્ષ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આગામી 28 મે 2025 બુધવારના રોજ સ્વ. કિશનની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સતત પાંચમાં વર્ષે રેડક્રોસ બ્લડ બેંકના સથવારે સવારના 8થી બપોરના 1 વાગ્યા સુધી યુનિવર્સિટી રોડ પર આવેલા રવિરત્ન પાર્ક મેઈન રોડ પર ‘કિશન’ મકાનમાં રક્તદાન શિબિર યોજાશે. સ્વ. કિશનના મિત્રો, શુભેચ્છકો અને સ્વજનો ધમસાણિયા પરિવારના સગા-સંબંધીઓ સૌ કોઈ સાથે મળી 100થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરી ઉમદા નાગરિક ધર્મ બજાવશે. રક્તદાતાઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. સમગ્ર આયોજનની સફળતા માટે હસુભાઈ ધમસાણિયા, ભારતીબેન ધમસાણિયા, નિરાલીબેન, અનોખીબેન, રોનક ધ્રાંગધરિયા, અનુપમભાઈ દોશી, આરદેશણાભાઈ, માલવિયાભાઈ, સાવલીયાભાઈ, છગનભાઈ દેસાઈ સહિત સમગ્ર ધમસાણિયા પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે.