મેયરની મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચનાને ઘોળીને પી જતા કોર્પોરેટરો
મોબાઈલમાં મસ્ત ત્રણ કોર્પોરેટરોને ખુલાસો પૂછાશે
- Advertisement -
હું પોતે એક કલાક મોબાઈલનો ઉપયોગ કરતો નથી: મેયર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપામાં આજે મળેલી જનરલ બોર્ડમાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોને જાણે પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ ન હોય તેમ મોબાઈલમાં મશગૂલ નજરે પડ્યા હતા. તાજેતરમાં જ આવી ઘટના બની હતી. ત્યારબાદ મેયર દ્વારા મોબાઈલ ન વાપરવા પર સુચનાં આપવામાં હતી. તેમ છતાં આ સુચનાને આજે ઘોળી પીનારા વધારે ત્રણ કોર્પોરેટરો મોબાઈલમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેમાં કોઈ ઇન્સ્ટાગ્રામ પર તો કોઈ વોટ્સએપ અને મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતા. આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા બધાએ પોતાના વિસ્તારની સમસ્યાઓના જવાબ આપતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
- Advertisement -
વોર્ડ નંબર 1ના હિરેન ખીમાણીયા મોબાઈલમાં વ્યસ્ત હતા, તેમને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, હું સોશિયલ મીડિયા નહીં પરંતુ પોતાના વિસ્તારમાં પાણી પ્રશ્ર્ન અંગે જવાબ આપતો હતો. વોર્ડ નં. 5નાં કોર્પોરેટર હાર્દિક ગોહિલ અને વોર્ડ નંબર 13નાં નીતિન રામાણીએ પણ પોતે પ્રજાના પ્રશ્નોનાં જવાબ આપતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જોકે, જનરલ બોર્ડમાં જ બધા કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નો માટે મેસેજ કેમ આવે છે? તેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ મનપાનાં ચાલુ બોર્ડ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત કોર્પોરેટરો અંગે મેયર ડો. પ્રદીપ ડવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અગાઉ સૂચના આપ્યા છતાં આજે વધુ ત્રણ કોર્પોરેટર મોબાઈલમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામે ખુલાસો પૂછવામાં આવશે. જનરલ બોર્ડમાં એક કલાક પ્રજાના પ્રશ્નો માટે જ હોવી જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ બોર્ડમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. આગામી સમયમાં ફરીથી દરેકને સૂચના આપવામાં આવશે કે, એક કલાક મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું. હું પોતે પણ આ એક કલાક મોબાઈલનો ઉપયોગ કરતો નથી. આ બાબતનો ગંભીરતાથી અમલ કરવાની ખાતરી તેમણે આપી હતી.