ચોરીના ગુનામાં વોરંટ નીકળ્યાં બાદ પોલીસે ચુનારવાડના વિજય પરમારને પકડી ત્રણ દિવસ પહેલાં જેલ હવાલે કર્યો ’તો: ગઈ રાતે બેભાન થઈ ગયાં બાદ સારવારમાં દમ તોડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી વિજય પરમારની રવિવારની રાતે તબિયત લથડયાં બાદ બેભાન થઈ જતાં તેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું.
- Advertisement -
કેદીના મોત બાદ દોડી આવેલ પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતાં કે તેમના પુત્રનું મોત શંકાસ્પદ છે અને માર મારવાથી તેનું મોત થયાની શંકા છે. પરિવારને ન્યાય અપાવવાની ઉગ્ર માંગ કરી હતી. હાલ પ્ર. નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, સેન્ટ્રલ જેલમાં કેદ વિજય રાયચંદ્ર પરમાર (ઉ.વ.34) (રહે. ચુનારાવડ) ગઈકાલે રાતે પોતાની બેરેકમાં હતો ત્યારે રાતના નવ વાગ્યાની આસપાસ અચાનક બેભાન થઈ ઢળી પડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતાં અને આક્રંદ મચાવ્યો હતો.
વધુમાં યુવાન પુત્રના મોતથી પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતાં. મૃતકના બનેવી સંજયભાઈ અને બહેન શ્રધ્ધાબેને જણાવ્યું હતું કે, તેને કોઈ ચોરીનો માલ વેંચ્યો હશે તે ગુનામાં કોર્ટની તારીખ નિયમિત ભરતો હતો.
પરંતુ બે-ત્રણ તારીખ ચુકી જતાં તેના નામનું વોરંટ નીકળ્યું હતું અને તેને પોલીસ પકડી ગયાં બાદ જેલ હવાલે કર્યો હતો. દરમિયાન ગઈ રાતે તેમને પોલીસનો ફોન આવ્યો હતો કે, વિજય બેભાન થઈ જતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ છે તમે ઇમરજન્સી વોર્ડમાં આવો, જેથી તેઓ પરીવાર સાથે ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા તો વિજય ત્યાં હતો નહિ અને બે કલાક હોસ્પિટલમાં તેમની શોધખોળ કર્યા બાદ પોલીસને ફોન કરતાં જણાવ્યું કે તેમની લાશ પીએમ રૂમમાં પડી છે.
વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, વિજયને કોઈ બીમારી ન હતી છતાં તેમનું મોત કેવી રીતે થાય. પોલીસે મારમાર્યો હોવાની શંકા દર્શાવી ન્યાય આપવાની માંગ કરી હતી. વધુમાં પ્ર.નગર પોલીસે તપાસ યથાવત રાખી છે.
- Advertisement -
સેન્ટ્રલ જેલના કાચા કામના કેદી વિજય પરમારનું શંકાસ્પદ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક મજૂરીકામ કરતો અને સંતાનમાં તેમને ત્રણ પુત્રી અને એક પુત્રી છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરીવારમાં આક્રંદ છવાયો હતો. સેન્ટ્રલ જેલમાં કાચા કામ કેદિનું બે ભાન હાલતમાં મોત થતા પરીવારજનોએ આક્રંદ મચાવ્યો હતો અને મૃતકના બહેન-બનેવીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતાં નજરે પડે છે.