લ્યો બોલો, દર્દી પર પંખો પડ્યો, પંખો પડતાં દર્દીની આંખ ફૂટી જતાં બચી
હોસ્પિટલમાં આવા અનેક પડતર પંખાઓ દર્દીઓના માથે મોત બનીને લટકી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોય છે, પરંતુ અનેકવાર સિવિલ હોસ્પિટલની બેદરકારીઓ સામે આવી છે ત્યારે આજે વધુ એકવાર સિવિલની બેદરકારી સામે આવી હતી. દર્દી પર ચાલુ પંખો પડી જતાં દર્દીની આંખ ફૂટતા બચી ગઈ હતી. આ દર્દીને આંખ પાસે ઈજા થઈ હતી. આમ ચાલુ પંખો પડતાં સિવિલની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક વખત દર્દીની આંખ બેદરકારીના કારણે ફૂટી જતાં બચી હતી. આ પહેલાં પણ સિવિલ હોસ્પિટલમાં ગંદકી, ખરાબ રોડ-રસ્તા સહિતની બેદરકારીઓ સામે આવી છે. મહત્ત્વનું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલ છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીં આવે છે. સિવિલ સુપ્રિ. આર. એસ. ત્રિવેદીને કેમ આ બેદરકારી દેખાતી નથી અથવા તો આંખ આડા કાન કરવામાં આવે છે તેવા પ્રશ્ર્નો ચર્ચા રહ્યા છે. સિવિલમાં અનેક સુધારાઓની તાતી જરૂર હોય આ પ્રશ્ર્નોનો ઉકેલ ક્યારે આવશે? લોકોની તકલીફને ધ્યાનમાં શા માટે લેવાતી નથી? સિવિલમાં અનેક પડતર પંખાઓ દર્દીઓના માથે મોત બનીને લટકી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે.