31 મેના સ્થાને 15 જૂન સુધી ફોર્મ સ્વીકારાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એમઆઈજી – 1268 આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. જે પૈકી હાલ ખાલી રહેલ 769 આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર્મ વિતરણ માટેની મુદત વધારવામાં આવી છે.
- Advertisement -
ઉક્ત મુદત દરમ્યાન 5217 અરજદારો દ્વારા ફોર્મ મેળવવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલ સુધીમાં 1356 લાભાર્થીઓ દ્વારા ફોર્મ પરત આવેલ છે. જે લોકોએ ફોર્મ ઉપાડેલ છે તેવા લાભાર્થીઓ સંજોગોવસાત ફોર્મ પરત આપી શકેલ ન હોય તેવા લાભાર્થીઓ ફોર્મ પરત આપી શકે અને નવા લાભાર્થીઓ પણ ફોર્મ મેળવી શકે તેવા હેતુથી વિશેષ મુદત વધારો આપવાનું એટલે કે તા. 01-06થી તા.15-06 સુધી લાભાર્થી ફોર્મ મેળવી શકશે અને પરત આપી શકશે. આવાસ યોજનાના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે. એમઆઈજી આવાસની કિંમત રૂ.18 લાખ અને ફોર્મ સાથે રૂ.20,000 ડીપોઝીટ ભરવાની રહેશે અને કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.6.00 લાખ થી રૂ.7.50 લાખ સુધીની હોઈ તેવા લોકો ફોર્મ ભરી શકશે તથા એમઆઈજી પ્રકારના આવાસમાં અંદાજીત 60.00 ચો.મી. કાર્પેટ રહેશે.
જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણ અને પરત આપવાનો સમય સવારે 10:30 થી સાંજે 04:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે 11:00 થી બપોરે 03:00 વાગ્યા સુધીનો રહેશે.