વીજ કરંટ લાગતા યુવકને સારવાર માટે ખસેડાયો, હોસ્પિટલમાં જ હોવા છતાં જતો રહ્યાનું કહેવાયું: સારવાર દરમિયાન મોત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી એક મૃતદેહ કલાકો સુધી રઝળ્યો હતો. મોટી ટાંકી ચોક નજીક આવેલા જૈન ઉપાશ્રય ખાતે લિફ્ટ રિપેરિંગ સમયે વીજ કરંટ લાગતા એક યુવક બીજા માળેથી પટકાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કર્યા બાદ ડામા (દર્દી પોતાની રીતે હોસ્પિટલમાંથી જતો રહ્યો હોવાનું) જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ ચોપડે નોંધ કરવાનો સમય આવતા પોલીસે દર્દી ડામા ડિકલેર થઈ ગયો હોવાથી નિયમ મુજબ મૃત્યુનોંધ કરવા ઇનકાર કર્યો હતો. જેને લઇને રાત્રે 8 વાગ્યે મૃત્યુ પામનાર દર્દીને મોડી રાત્રે 12:30 વાગ્યે સત્તાવાર મૃત જાહેર કરાયો ત્યાં સુધી એટલે કે 4.30 કલાક તેનો મૃતદેહ રઝળ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ 41 વર્ષીય સુરેશ ઉર્ફે સૂર્યા રામકિશોર નિષાદ લિફ્ટ રિપેરિંગની મજૂરીનું કામ કરતો હતો. ગઈકાલે સાંજે 6:30 વાગ્યે લીમડા ચોકથી મોટી ટાંકી ચોક વચ્ચે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ સામેની શેરીમાં જૈન ઉપાશ્રય ખાતે લિફ્ટ રિપેરિંગનું કામ કરી રહ્યો હતો. જે દરમિયાન તેના હાથમાં રહેલું કોઈ સાધન બહારથી પસાર થતી વીજ લાઈનને અડી જતા સુરેશને વીજ કરંટ લાગ્યો હતો અને તે બીજા માળેથી પટકાઈને જમીન પર પડ્યો હતો. તેને માથે પગે અને શરીરને ઈજા થઈ હતી. તેની સાથેના શ્રમિકોએ સુરેશને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
- Advertisement -
ડોક્ટરે એમએલસી જાહેર કરતા રાજકોટ સિવિલ પોલીસ ચોકીમાં નોંધ થઈ હતી. આ પછી સાંજે 7:30 વાગ્યે ડોક્ટરે દર્દીને ડામા ડિકલેર કર્યો એટલે કે દર્દી પોતાની રીતે હોસ્પિટલમાંથી જતા રહ્યા હોવાનું જાહેર કર્યું હતું. જોકે, સુરેશ તેના ખાટલા પર બેભાન હાલતમાં હતો. આ તરફ ડોક્ટરે ડામા ડિકલેરની નોંધ પણ કરાવી દીધી હતી. બાદમાં અચાનક સુરેશને બીજી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી લઈ જવાયો પરંતુ તે ઇમર્જન્સી વિભાગમાં જ દાખલ છે અને મૃત્યુ પામ્યો છે. તેવી જાણ થતા ડોક્ટરોમાં દોડધામ મચી ગઈ હતી. સુરેશના સાથી શ્રમિકોનું કહેવું હતું કે, તેઓ સુરેશને અન્ય કોઈ હોસ્પિટલમાં લઈ ગયા નહોતા અથવા લઈ જવા માટે ડોક્ટરને કહ્યું પણ નહોતું. સુરેશના સાથી શ્રમિકે માત્ર બીજી હોસ્પિટલમાં લઈ જવા વાત કરી હતી. જેને લઈને ડોક્ટરે પોતાની રીતે જ ડામા કરી દીધું હતું. મૃત્યુ જાહેર થતાં પોલીસ ચોપડે નોંધ કરવાનો સમય આવતા પોલીસે દર્દી ડામા ડિકલેર થયું હોવાથી નિયમ મુજબ મૃત્યુ નોંધ કરવા ઇનકાર કર્યો હતો. જોકે બાદમાં સિવિલ હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મોડી રાત્રે 12:30 વાગ્યે સત્તાવાર રીતે મોત જાહેર થયું હતું. સુરેશે રાત્રે 8:00 વાગ્યા આસપાસ દમ તોડી દીધો હતો. પરંતુ મૃત્યુ ડિકલેર રાત્રે 12:30 વાગ્યે કરવામાં આવ્યું હતું.
જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: ડો. મહેન્દ્ર ચાવડા
સિવિલ હોસ્પિટલનાં ઇન્ચાર્જ મીડિયા કો-ઓર્ડીનેટર ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલો રાત્રે 9 વાગ્યા આસપાસ મારી સામે આવ્યો હતો. જેને લઈને મેં આરએમઓ ડો. દૂસરા સહિતનાને ફોન કર્યા હતા. પરંતુ કોઈએ ફોન રિસીવ કર્યા નહોતા. બાદમાં સિવિલ ચોકી ખાતે ફોન કરીને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આ સમગ્ર બનાવમાં દર્દીનો મૃતદેહ રઝળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે તપાસ કરી જે કોઇપણની જવાબદારી હશે તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અને ફરીવાર આવું ન બને તે માટે તમામ સ્ટાફને સૂચના આપવામાં આવી છે.