મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મનપાની વિવિધ શાખાની કામગીરી બાબતે મ્યુ. કમિશનરને પત્ર લખવાનો સિલસીલો જારી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ પોતે શાસક પક્ષમાં છે તે વાત અવારનવાર ભૂલી જતાં હોય અને શાસકને બદલે વિપક્ષની ભૂમિકા નિભાવતા હોય તેમ સસ્તી પબ્લિસીટી મેળવવા મહાપાલિકાની વિવિધ શાખાઓ કે કર્મચારીઓ બાબતે પોતે જ મ્યુનિસિપલ કમિશનરને અવારનવાર રજૂઆત કરતાં રહે છે. ડે. મેયર દર્શિતાબેન શાહે તાજેતરમાં મ્યુ. કમિશનરને એક પત્ર પાઠવી રાજકોટ કોર્પોરેશન હસ્તકની જૂની આવાસ યોજના જેવી કે હુડકો આવાસ યોજના, ધરમનગર આવાસ યોજના, બીએસયુપી આવાસ યોજના લાંબા ગાળાના હપ્તાથી જે-તે સમયે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. લાભાર્થીના હપ્તા પૂર્ણ થયા બાદ દસ્તાવેજ બનાવી આપવાના રહે છે. આ માટે આવાસ યોજનામાં લાભાર્થી અરજી કરે બાદમાં આવાસ યોજના ફાઈલ બનાવી અભિપ્રાય માટે ટી.પી. શાખામાં મોકલે જેની ચકાસણી બાદ ટી.પી. શાખામાં નકશો બનાવ્યા બાદ નિયમ અનુસાર ફી લીધા બાદ લાભાર્થીનો દસ્તાવેજ બને છે. આ બાબતે ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહની રજૂઆત મુજબ ટી.પી. શાખા ચકાસણીમાં વિલંબ કરતી હોવાથી લાભાર્થીઓના દસ્તાવેજો બની શકતાં નથી જેથી ટી.પી. શાખા સ્થળ તપાસ કરી ઝડપભેર કામગીરી પૂર્ણ કરે તે જરૂરી છે. ડે. મેયરની આ રજૂઆત જનતાના લાભાર્થે છે કે સ્વયંના તે મોટો સવાલ છે. કારણ કે પોતે જ શાસક પક્ષના જવાબદાર નેતા છે ત્યારે મીડિયામાં આવા પત્રો મોકલીને સ્વપ્રસિદ્ધિ કરાવવાના બદલે સીધા જ જે-તે શાખામાં જઈને કામગીરી કરવાનો ઓર્ડર આપી શક્યા હોત. તેમની આવી પ્રવૃત્તિથી તો ભાજપ પક્ષનું પણ ખરાબ લાગે અને કર્મચારીઓનું પણ મોરલ ડાઉન થાય. આ બાબતે મનપાના કર્મચારીઓમાં એવી વાતો પણ ચર્ચાય છે કે વાસ્તવમાં આ કામગીરી આવાસ યોજના વિભાગની જ છે. 15-20 વર્ષ પહેલાં આપવામાં આવેલ કવાર્ટરના દસ્તાવેજોની કામગીરી ટાઉન પ્લાનીંગ શાખાના ગળામાં શું કામ ભરાવી દેવામાં આવે છે? ટી.પી. શાખા જાણે બધાની ‘ભાભી’ હોય તેવો ઘાટ જોવા મળે છે પણ સવાલ એ છે કે આ વાત ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહને સમજાવે કોણ?
- Advertisement -
કર્મચારીઓના મોરલ તોડવાના આવા પ્રયાસો પક્ષની આબરૂને પણ બટ્ટો લગાડશે?
આવાસ યોજનાની કામગીરીનો ટી.પી. શાખાના ગળામાં ગાળિયો નાંખવાની કોશિશ?
મીડિયામાં ચમકવાના અભરખા કે ધારાસભાની ટિકિટ માટે હવાતિયાં?
કોર્પોરેશનના ડે.મેયર અને ભાજપના વગદાર નેતા હોવા છતાંય વારંવાર અધિકારીઓ- કર્મચારીઓના મોરલ તોડવા સમાન પત્રો લખવાની ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહની માનસિકતાથી એવુ પણ ચર્ચાય છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને મીડિયામાં ચમકીને પોતે જાણે જનતાના પ્રશ્ર્નો માટે સતત દોડતા રહે છે તેવા માહોલ બનાવવા પાછળ ડૉ. દર્શિતાબેન શાહનો આશય આગામી ધારાસભામાં ટિકિટ મેળવવાનો છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની દોડમાં ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ પોતે વિપક્ષી નેતા નહીં પણ શાસક પક્ષના છે અને આવા પત્રો લખવાના ન હોય સીધા જ એકશન લેવાના હોય તે વાત ભૂલી ગયા લાગે છે. આવી પ્રવૃત્તિથી પક્ષની ઈમેજ પણ ખરડાઈ શકે છે.