શાહિન વાવાઝોડાંએ માર્ગ બદલ્યો, પાકિસ્તાન તરફ ફંટાયું
આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દિવમાં 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા : ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાત- ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતાં વધી હતી. હવામાન વિભાગ મુજબ શાહીન વાવાઝોડું ફંટાઈને કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના મકરાન કોસ્ટ સુધી પહોંચશે. આમ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ઘટી ગયો છે. વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે, સાથે સાથે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે. આજે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને દાદરા નગર હવેલીમાં 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.
આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 2 ઓક્ટોબરે શાહિન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.