જૂનાગઢમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનું મહિલાઓને સંબોધન
ભાજપ કાર્યાલયે ટિફીન બેઠક યોજી, કાર્યકર્તાઓ સાથે ચર્ચા
કાલે કેશોદથી મુંબઇ જવા માટે પ્રથમ વિમાન ઉડાન ભરશે
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જૂનાગઢની મુલાકાતે આવ્યાં હતાં. પહેલા જૂનાગઢમાં ખેડૂત મહિલાને સંબોધન કર્યું હતું. બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો અને ટીફીન બેઠકમાં જોડાયા હતાં. અહીં કેશોદ રવાના થયા હતા અને કેશોદ એરપોર્ટ ઉપર વિમાન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી સપ્તાહમાં બીજી વખત જૂનાગઢનાં પ્રવાસે આવ્યાં છે. જૂનાગઢનાં જિલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂત મહિલા ઉત્કર્ષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જૂનાગઢ કૃષિ યુનિર્વસિટીનાં સભાખંડમાં મહિલા ઉત્કર્ષ સંમેલન યોજાયું હતું. સવારનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંમેલનમાં ભાગ લીધો હતો. અહીં મુખ્યમંત્રીનું ભાજપનાં નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કૃષિ યુનિર્વસિટીમાં યોજાયેલા મહિલા સંમેલનમાં મુખ્યમંત્રીએ મહિલાનોએ સંબોધન કર્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા કરવામાં પ્રયાસની વિસ્તૃત માહિતી આપી હતી. આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીરીભાઇ પટેલ, ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, દિલીપભાઇ સંધાણી,મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગિરીશ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારીયા, જશાભાઇ બારડ તેમજ સહકાર ક્ષેત્રનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.
- Advertisement -
મહિલા સંમેલન પૂર્ણ થયા બાદ જૂનાગઢ બાયપાસ ઉપર આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. ભાજપ કાર્યાલય ઉપર ભાજપનાં હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ચર્ચા કરી હતી. સંવાદ બાદ ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ટીફીન બેઠકમાં પણ જોડાયા હતાં. અહીં કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનાં કેશોદ એરપોર્ટ ખાતે પહોંચ્યાં હતાં. કેશોદ એરપોર્ટ ઉપર કેન્દ્રીય મંત્રી જયોતિરાયદિત્ય સિંધીયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે કેશોદ-મુંબઇ વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હવેથી કેશોદ એરપોર્ટ ઉપરથી સપ્તાહમાં 3 દિવસ કેશોદ-મુંબઇ વચ્ચે વિમાન સેવા કાર્યરત રહેશે. કેશોદથી વિમાન સેવાનો પ્રારંભ થતા સોરઠનાં પ્રવાસનને ફાયદો થશે. જૂનાગઢ, સાસણ અને સોમનાથ આવતા દેશ – વિદેશનાં પ્રવાસીઓને આ વિમાન સેવાનો લાભ મળશે.
2950થી 6050માં કેશોદથી મુંબઇ ફ્લાઈટની ટિકિટ બૂક થઇ
કેશોદથી મુંબઇ જવા માટે રવિવારે બપોરનાં 1:50નાં પ્રથમ વિમાન રવાના થશે. વિમાનમાં 72 સીટ રહેશે. રવિવાર માટે બૂક થયેલી ટિકિટનું ભાડું 2950 થી લઇને 6050 સુધીનું રહ્યું છે. એટલું જ નહી પ્રથમ દિવસે ફૂલ બુકીંગ થઇ ગયું છે. સપ્તાહમાં રવિવાર, બુધવાર અને શુક્રવારનાં વિમાન સેવા કાર્યરત રહશે.
- Advertisement -
પોલીસે તડકામાં લોકોને રોકી રાખ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવવાના હોય પોલીસે જૂનાગઢ બાયપાસ રોકી દીધો હતા. ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક સુધી પોલીસે વાહન ચાલકોને અટકાવ્યા હતા. લોકો રોડ પર તડકામાં શેકાઈ ગયા હતા. પોલીસે રોકી રાખતા લોકોમાં રોષ ફેલાયો હતો.
વ્યાજની રકમ બેંકો ખેડૂતોનાં ખાતામાં જમા કરાવાતી નથી : દિલીપ સંઘાણી
જૂનાગઢ આવેલા દિલીપભાઇ સંઘાણીએ બેંકો ઉપર મોટો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર ખેડુતોને વ્યાજનાં પૈસા જમા કરાવી દે છે. પરંતુ બેંકો ખેડૂતોનાં ખાતામાં જમા કરાવતી નથી. સરકારનાં પૈસા વગર વ્યાજે બેંકો વાપરતી રહે છે. બીજી તરફ સહકારી બેંકો ખેડૂતોને વ્યાજની રકમ તુરંત ચૂકવી દે છે. ખેડૂતોએ સહાકારી બેંકનો ઉપયોગ કરવો જોઇએ.