અનેક મહાવિદ્યાના જાણકાર, આયુર્વેદ, દવાઓનાં સાધક, યજ્ઞવિદ્યામાં પારંગત, મહાકાલી માતાજીના મંદિરનું નિર્માણ કરનારા મહાન સંતને અશ્રુભરી વિદાય અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમના પૂ.દયાનંદગીરીબાપુ બ્રહ્મલીન થતા ઘેરો શોક છવાયો છે. ગઇકાલે ચરાડવામાં પાલખીયાત્રા અને સાંજે સમાધી અપાઇ હતી. આ તકે ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પુર્વ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિત અસંખ્ય ભાવિકો ઉમટયા હતા અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. પૂ.દયાનંદગીરીજી મહારાજના શિષ્ય પૂ. અમરગીરી મહારાજનું સાનિધ્યમાં વિધિવિધાન કરાયા હતા.
પૂ. દયાનંદગિરી બાપુ અનેક મહાવિદ્યાના જાણકાર, આયુર્વેદ સાધક, યજ્ઞવિદ્યામાં પારંગત અને માતા મહાકાલીનું શાષાોક્ત રીતે મંદિર નિર્માણકર્તા હતા.
દુનિયાના દુખીયાઓના દુ:ખ દર્દ પોતાના માની પી જનારા, મુઠ્ઠીભર હાડ, માંસ અને ચામડાના દેહમાં હિલોળા મારતો કરુણા અને સંવેદનાનો ઘૂઘવતો મહાસાગર, જેના દેહથી જટાનો ભાર દોઢો, આ બેટે.. આ કહી ને પાસે બેસાડે અને આંખોથી અમી વરસાવે તેવા સરળ સંત એટલે પુજ્ય દયાનંદગિરી મહારાજે વિદાય લેતા ઘેરો શોક છે. માનવ માત્રની સાથોસાથ પૂ.દયાનંદગીરીબાપુને પશુ અને પ્રકળતિ પ્રત્યે પણ ખુબ પ્રેમ હતો. બાપુની ઈચ્છા હતી કે તેમનો દેહત્યાગ સૌરાષ્ટ્રની પાવન ધરા ઉપર જ થાય, અને એવું જ થયું છે.મોરબી-હળવદ હાઇવે પર આવેલા ચરાડવા ગામ પાસે શ્રધ્ધાના સ્થાનક એવા મહાકાળી આશ્રમના સ્થાપક પૂ. દયાનંદગિરિબાપુએ 133 વર્ષની વયે મહાપ્રયાણ કર્યું છે. આજે વહેલી સવારે 5.30 વાગ્યે તેઓએ દેહત્યાગ કર્યો હતો. પૂ.બાપુ અપાર લોકચાહના ધરાવતા હતા. અસંખ્ય લોકોના દુ:ખ-દર્દ દુર કર્યા હતા. તેમના માર્ગદર્શનથી અનેક સાધકો આધ્યાત્મીક માર્ગે વિચરી રહ્યા છે. પૂ. દયાનંદગિરિબાપુના પાર્થિવદેહને આજે સવારે ચરાડવાના શ્રી મહાકાળી માતાજીના આશ્રમે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જયાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતા. બપોરે 11 વાગ્યે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતી. આ પાલખી યાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ કરાયું હતું.બાદમાં સાંજે પ.30 વાગ્યે ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે સમાધી આપવામાં આવી હતી.
પૂ. દયાનંદગીરીબાપુ 10 જેટલી મહાવિદ્યામાં પારંગત હતા. બાપુએ આયુર્વેદ થકી હજારો-લાખો દવાઓ શોધી હતી અને આ ઉપરાંત તેઓએ હજારો દર્દીની આ દવાથી સારવાર કરી હતી. જેમાં કેન્સર જેવા રોગનો પણ ઉપચાર કરવામાં આવતો હતો. દેહત્યાગ બાદ બાપુની પાલખી યાત્રા ગામમાં નીકળી ત્યારે બાપુની લોકચાહના અને તેઓ પ્રત્યેનો આદરભાવ દેખાઈ રહ્યો હતો. અઢારેય વરણના લોકો આ વેળાએ ઉમટયા હતા. ગામ સ્વયંભુ બંધ રાખવામાં આવ્યું હતું. હજારો ભાવિકો દૂર દૂરથી અંતિમ દર્શન માટે મહાકાળી આશ્રમ પહોંચ્યા હતા.
બાપુને સમાધિએ જ જગ્યાની નજીક અપાઈ છે કે જ્યાં બાપુએ પતરા નાખી અને ધૂણી ધખાવી હતી.
- Advertisement -
બાપુ 1988થી આ આશ્રમમાં સેવાની સુવાસ ફેલાવી રહ્યા હતા. એક ભક્તના કહેવા અનુસાર બાપુ પોતે જ એવુ માનતા કે એમનો દેહત્યાગ સૌરાષ્ટ્રની ધરતીમાં થાય કેમકે તેમના ગુરુ એ જણાવ્યું હતું કે આ ભૂમિ સંતો અને સુરાઓની છે.આ ઉપરાંત બાપુ અંદ્ધશ્રદ્ધામાં પણ કયારેય માનતા ન હતા. બાપુ એ જીવન પરસ્ત ગૌસેવા – અબોલ જીવોની સેવા અને માનવ સેવાની ધૂણી ધખાવી હતી. પોતે આયુર્વેદ ઉપચાર ના જાણકાર હોય અનેક દર્દી નારાયણને કેન્સર જેવા જટિલ રોગોમાં સારવાર આપી સ્વસ્થ બનાવ્યા હતા. તેઓ અહીં દર વર્ષે મોટા પાયે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરતા હતા. જેમાં નવરાત્રી, શ્રીમદ્ ભગવત કથા, શ્રી દેવી ભાગવત, શ્રી શિવ મહાપુરાણ સહિત કથા દ્વારા ધાર્મિક ઉત્સવનું આયોજન પૂજ્ય બાપુની નિશ્રામાં થતું હતું.
આ આશ્રમમાં 50 ઉપરાંત ગૌવંશ હોય પણ એક પણ રૂપિયાનું દૂધ, દહીં, છાસ, ઘીનું વેચાણ કર્યું નથી. શ્વાન – ઘોડા સહિત નાના મોટા 900 થી વધુ અબોલ જીવોની સેવા આ આશ્રમમાં નિ:સ્વાર્થ ભાવે થઈ રહી છે. એક પણ રૂપિયાનો ફાળો પણ હજી સુધી માંગવામાં આવ્યો નથી. આમ બાપુએ પોતાના જીવન દરમિયાન ધર્મ અને સેવાની જે ધૂણી ધખાવી લોકોના દિલમાં અમરત્વ પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્રના અનેક મહાનુભાવોએ બાપુ સાથેના સંસ્મરણો વાગોળી શ્રદ્ધાંજલિ પાઠવી.
પૂ. દયાનંદગીરી બાપુની ઓચિંતી વિદાયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવકગણો શોકમગ્ન થયા છે. તેવામાં બાપુના નિકટ એવા અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, ધારાસભ્ય કાંતિલાલ અમળતિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બ્રિજેશભાઈ મેરજાએ બાપુ સાથેના જુના સંસ્મરણો વાગોળી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.