ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલો કિસ્સો જેમાં રૂા. 3,26,69,830 પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરવા ફરિયાદી તથા તેના માતા-પિતાએ આરોપીને આપી તેની સામે ચૂકતે અવેજની પહોંચ, પ્રોમિસરી નોટ, કબજારહિત સમજૂતી કરાર લખાવી લીધા બાદ જે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરેલું તેનું પઝેશન ન આપી રકમ ઓળવી જઈ બનાવટી લખાણો લખી આપી બનાવટી લખાણનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી તથા વિશ્ર્વાસઘાત આચરનાર આર્યન ડેવલોપર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર સંજયભાઈ ડોબરીયાને રેગ્યુલર જામીન પર મુક્ત કરતો હુકમ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરમાવેલો છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે રહેતા ફરિયાદી અર્જુન ભગવાનભાઈ મઠીયાએ આરોપી સંજયભાઈ ડોબરીયા તથા તેની પત્ની વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ મતલબનો ગુનો દાખલ કરાવેલો કે ફરિયાદી તથા સાહેદ તેના માતા-પિતાએ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકથી આગળ આર્યન ડેવલોપર્સ ભાગીદારી પેઢીના આર્યન એવન્યુ નામના ચાલતા કોમ્પલેક્ષના પ્રોજેકટ બાબતે ખોટી હકીકતો જણાવી વિશ્ર્વાસમાં લઈ પ્રોજેકટમાં રોકાણ કરવાની લાલચ આપી આર્યન એવન્યુ પ્રોજેક્ટમાં આરોપીઓની કોઈ સ્વતંત્ર મીલકત ન હોવા છતાં ફલેટ તથા દુકાનોમાં રોકાણ કરવાના બહાને ફરિયાદી તથા સાહેદો પાસેથી રૂા. 3,26,69,830ની રકમ મેળવી લઈ તેના બદલાની આરોપીઓની કોઈ સત્તા ન હોવા છતાં ફરિયાદી તથા સાહેદોને નોટરાઈઝ ચૂકતે અવેજની પહોંચ, નોટરાઈઝ પ્રોમીસરી નોટ, નોટરાઈઝ કબજારહિત સમજૂતી કરારના બનાવટી લખાણ કરી આપી રકમ ભાગીદારી પેઢીમાં જમા નહીં કરાવી ફલેટો તથા દુકાનોનો કબજો નહીં સોંપી કે પૈસા પરત નહીં કરી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત સંબંધેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપી પતિ-પત્નીને અટક કરવામાં આવેલ હતી.
નોંધાયેલ ગુનાના કામે આરોપી સંજય લાલજીભાઈ ડોબરીયાએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં કરેલ જામીન અરજી નામંજૂર કરતા તે હુકમ એડવોકેટ સુરેશ ફળદુ મારફત નામદાર હાઈકોર્ટમાં પડકારવામાં આવેલો હતો અને દલીલ કરવામાં આવેલી કે વ્યાજ વટાવના વ્યવહારને ટવીસ્ટ કરી બળજબરીથી ત્રણેય લખાણો લખાવી લીધેલ તે લખાણો માંહેની સ્ટોરી મુજબ ફરિયાદની હકીકતો ઉભી કરવામાં આવેલી હોય વ્યાજે લીધેલા નાણા ભાગીદારી પેઢીના પ્રોજેક્ટ માટે લેવામાં આવેલા હોવાથી પેઢીના અન્ય ભાગીદારો પણ સરખા હિસ્સે જવાબદાર હોવા છતાં અરજદારની મીલકમાંથી હિત ડુબાડવા ભાગીદારો તથા હાલના ફરિયાદી અને રાજકીય અગ્રણી ભેગા મળી આરોપી તેનો હિસ્સો જતો કરે વિકલ્પે સસ્તામાં મીલકત આપી દે તેવું દબાણ લાવવા આખી સ્ટોરી ઉભી કરવામાં આવેલી હોય રોકડ રકમનો કોઈ જ વ્યવહાર થયેલો ન હોવા છતાં કરોડોનો રોકડનો વ્યવહાર થયેલનો બતાવનાર ફરિયાદી અને માતા-પિતા વિરૂદ્ધ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને જાણ કરવા અને વિગત મેળવવા પોલીસને લેખિત પણ આપવામાં આવેલુ હોય અને બેંક ટુ બેંક રકમનો જે વ્યવહાર થયેલુ તેનું માસીક 5 ટકા વ્યાજ પણ ફરિયાદી અને તેના માતા-પિતાએ વસુલેલ તે વ્યવહાર પૂર્ણ થઈ ગયા બાદ ચેકો પરત ન કરી ત્રણેય લખાણો રદ ન કરી વધુ રૂપિયા પચીસ લાખની ગેરકાયદેસર માગણી કરી તે ન સંતોષાતા આરોપીને ઘરે આવી મારઝૂડ કરી રાતના ત્રણ વાગ્યા સુધી ઘરે બેસી રહી 100 નંબરમાં ફોન કર્યા બાદ ઘરેથી જનાર ફરિયાદપક્ષ ખરા ગુનેગાર હોવા છતાં પૈસા અને રાજકીય વગના જોરે ખોટો ગુનો કરાવેલ સંબંધે લંબાણપૂર્વકની રજૂઆતો કરવામાં આવી હતી.
બંને પક્ષની રજૂઆતો તથા રેકર્ડ લક્ષે લેતાં તપાસ પૂર્ણ થઈ ગયેલી છે, ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલી છે, નામદાર સુપ્રીમ કોર્ટના ત્રણ પેરા મીટર્સ જેમાં પ્રથમ દર્શનીય કેસ, ટ્રાયલ સમયેની અરજદારની હાજરી તથા સાહેદોને હેમ્પર- ટેમ્પર કરવાની શકયતા લક્ષે લેતાં સાથે આરોપીની કસ્ટડી ઉપરાંત રજૂ કરવામાં આવેલ રેકર્ડ સાથે કેસની ફેક્ટ, આક્ષેપનો પ્રકાર, ગુનાની ગંભીરતા તથા ગુનાના કામેનો અરજદારનો રોલ લક્ષે લીધેલ ઉપરાંત એફ.આઈ.આર. અને પોલીસ પેપર્સ ઉપરાંત સેશન્સ જજ દ્વારા કરવામાં આવેલ હુકમ પણ લક્ષે લેવામાં આવેલા અરજદારની તરફેણમાં અંતર્ગત સત્તાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદારને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
- Advertisement -
ઉપરોક્ત કામમાં આરોપી સંજયભાઈ ડોબરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, જસ્મીન દુઘાગ્રા તથા અભય સભાયા તથા હાઈકોર્ટમાં પ્રતીકભાઈ જસાણી રોકાયેલા હતા.