સાગઠિયાના સાથીદારોના નામ ખૂલવાની શક્યતા
બે દિવસની મંજૂરી અપાઇ, ભ્રષ્ટાચારી સાગઠિયાના સાથીદારોના નામ ખૂલવાની શક્યતા, ગત ગુરુવારે રાજકોટ આવી EDની ટીમે ભ્રષ્ટાચાર મામલે તપાસ માટે અરજી કરી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં ચકચાર જગાવનાર ટીઆરપી અગ્નિકાંડની ઘટનાના મુખ્ય સૂત્રધાર મનસુખ સાગઠિયા સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો કેસ કર્યા બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ પણ તપાસમાં ઝંપલાવ્યું છે અને રાજકોટની સેશન્સ કોર્ટ પાસેથી ભ્રષ્ટાચારના કેસમાં મનસુખ સાગઠિયાની પૂછપરછ માટે મંજૂરી માગતાં અદાલતે બે દિવસની મંજૂરી આપી છે. હવે ઇડીની ટીમ જેલમાં જઇને સાગઠિયાની પૂછપરછ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટમાં ગત ગુરુવારે ઇડીની ટીમના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને સીધા નવી કોર્ટ ખાતે જઇ ટીઆરપી અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ભ્રષ્ટાચાર મામલે પૂછપરછ કરવા દેવા માટે એડિશનલ સેશન્સ જજ સિંઘને અરજી કરી હતી.ઇડીની ટીમની રજૂઆત સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજે તેમને બે દિવસ માટે મનસુખ સાગઠિયાની જેલમાં જઇને પૂછપરછ કરવા મંજૂરી આપી છે. આ પૂછપરછમાં મનસુખ સાગઠિયાએ ભ્રષ્ટાચારના નાણાં કોની પાસેથી મેળવ્યા છે, તેના ટીપીઓ તરીકેના કાર્યકાળમાં બનાવેલી મિલકતો જેવી ઓફિસ, બંગલો, ફ્લેટ, પેટ્રોલ પંપ સહિતની મિલકતોમાં તેના અન્ય કોણ ભાગીદારો છે, આ મિલકતોમાં રોકવા માટે નાણાં ક્યાંથી મેળવ્યા સહિતની તપાસ થાય તેવી પૂરતી શક્યતા છે. ઇડીની તપાસ બાદ સાગઠિયાના અન્ય રાજકીય સાગરીતો અને આકાઓ કોણ છે તેના પરથી પણ પડદો ઊઠે તેવી પૂરતી શકયતા સેવાઇ રહી છે.આ પ્રકરણમાં ઇડીએ ઝંપલાવતા હવે આગામી દિવસોમાં સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઇડીની ટીમને ક્યાં બે દિવસ જેલમાં પૂછપરછ માટે જશે તે બાબતે સસ્પેન્શ ઘેરું બન્યું છે.