કોરોનાની ત્રીજી લહેરના દાવા વચ્ચે આવતા મહિને દેશમાં 12-18 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરૂ થશે. સમાચાર એજન્સી રોયટર્સે સૂત્રોએ જણાવ્યું હતું કે કેડિલા હેલ્થકેર આવતા મહિને બાળકોની વેક્સિન ઝાયકોવ-ડી લોન્ચ કરશે.
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)એ ગયા મહિને તેના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. રોયટર્સના અહેવાલ મુજબ ઝાયડસ કેડિલા ઓક્ટોબરથી દર મહિને 10 મિલિયન ડોઝ બનાવવાનું શરૂ કરશે.
કોવેક્સિનનો થર્ડ ફેઝ ટ્રાયલ પણ પૂરો
બીજી તરફ ભારત બાયોટેક પણ બાળકો પર કોવેક્સિન ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ કરી ચૂક્યું છે. કંપનીએ કહ્યું છે કે તે આવતા અઠવાડિયે ડીજીસીઆઈને ત્રીજા તબક્કાનો ડેટા સોંપશે. ડેટાના ત્રીજા તબક્કાનું હાલમાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા 2થી 12 વર્ષની વયના બાળકો પર કોવાવેક્સ ટ્રાયલનો બીજા-ત્રીજા ફેઝનું ટ્રાયલ કરી રહી છે.
- Advertisement -
ગંભીર બિમારીઓથી પીડિત બાળકોને પહેલા ફાયદો મળી શકે છે
કોવિડ-19 વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપનારી સમિતિએ ગયા મહિને અભિપ્રાય આપ્યો હતો કે શરૂઆતમાં 12 વર્ષથી વધુ વયના બાળકોને ગંભીર રોગો હોય તેમને વેક્સિન આપવી જોઈએ. સમિતિએ જણાવ્યું હતું કે દેશમાં 400 મિલિયન બાળકો છે અને જો વેક્સિનેશન શરૂ કરવામાં આવશે તો પહેલેથી જ ચાલી રહેલા 18+ વેક્સિનેશનને અસર થશે. સમિતિના અધ્યક્ષ એન કે અરોરાએ કહ્યું હતું કે સંપૂર્ણ તંદુરસ્ત બાળકોને વેક્સિનેશનની રાહ જોવી પડશે. સમિતિની સલાહ મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જન્મ કેન્સર અથવા હૃદયરોગથી પીડાતા બાળકો માટે સૌ પ્રથમ વેક્સિનેશન કરવામાં આવશે.
બાળકોને વેક્સિન અપાવી કેમ જરુરી?
ભારત જેવા ગીચ વસતિવાળા દેશમાં બાળકો઼નું વેક્સિનેશન વહેલી તકે થવું જરૂરી છે. આને વધુ સારી રીતે સમજવા માટે મહારાષ્ટ્રનું ઉદાહરણ સામે છે. મુંબઈમાં કોરોનાની પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં બાળકોમાં ચેપ વધ્યો હતો. બીજી તરફ માઇક્રોબાયોલોજિસ્ટ પ્રોફેસર ડો.ગગનદીપ કંગ કહે છે કે વેક્સિન લગાવ્યા બાદ માત્ર બાળકો જ એવા રહેશે કે જે પ્રોટેક્ટેડ નહી હોય. તે કારણથી ત્રીજી લહેરમાં તેમના સંક્રમિત હોવાની સંભાવનઓ વધી જાય છે.