ત્રીજી લહેરમાં મોત વધ્યાં નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે
કોંગ્રેસ દ્વારા લોકોને કોરોનાની સહાય મળે તે માટે કલેકટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે
ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર જ નહીં; તબાહીની પણ સુનામી આવી ચૂકી છે. સતત ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24,485 કોરોનાના કેસ નોંધાયા છે. અત્યારે જાણે કે, કોરોનાનો દાવાનળ ફાટ્યો હોય એમ 25000 જેટલા રાજ્યમાં અને 10000 જેટલા કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓનાં મોત થયાં છે. ત્યારે કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, કોરોનાની ગંભીર મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. કેન્દ્ર સરકાર પણ ગંભીર નથી. ત્રીજી લહેરમાં મોત વધ્યાં જ નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો કોરોનાની ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે.
ત્રીજી લહેરની ચેઈન તોડવી જરૂરી છે :
કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું કે, ‘ હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે. શનિ-રવિ અને 26 જાન્યુઆરી છે તો પાંચ દિવસ રજા જાહેર કરીને કડક નિયંત્રણ લાવવામાં આવે,’ એવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.
- Advertisement -
સરકારે શરૂઆતથી જ કોરોનાને ગંભીરતાથી નહોતો લીધો :
કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, ‘બીજી લહેરમાં કોરોનાની લહેર ઘાતક બની અને લાખો લોકો મર્યા છે. સરકાર હજુ પણ 10000 લોકોનો આંકડો લઈને બેઠી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ અને નેતાઓએ 3 લાખનો આંકડો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જયારે સવાલો પૂછ્યા હતા ત્યારે 58000 અરજી થઈ હતી. અત્યારે પણ 15000 અરજી પેન્ડિંગ છે અને 11000 અરજી પ્રોસેસમાં છે, 5 હજાર નામંજૂર થઈ છે. અમે નામંજૂર થયેલી અરજીઓ પર સવાલ ઊભો કરીએ છીએ.’
ગુજરાત મોડલ વિશ્વમાં નિષ્ફળ ગયું છે :
કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે સરકારને સરકારને આડે હાથ લેતા કહ્યું કે, ‘તમે હોસ્પિટલ, કબ્રસ્તાન, સ્મશાનમાંથી આંકડા લઈ શકો છો. માત્ર અઠવાડિયાંમાં આંકડા મળી જાય છે. રાજકીય તાયફા કરવા ગ્રામ સભા બોલાવો અને એજન્ડા આપી દો. તો એક જ દિવસમાં સવારે 11થી 5 માં મૃતકોના આંકડા મળી શકે છે. ગુજરાત મોડલ વિશ્વમાં નિષ્ફળ ગયું છે. કોરોનામાં પ્રજાએ 28 મેટ્રિક ટન સોનું વેચ્યું છે. લોકોએ તેમના કીમતી મકાન, જગ્યાઓ ગીરવી મૂક્યા છે. સામૂહિક અને વ્યક્તિગત આત્મહત્યા પાછળ પણ આ કોરોના પણ જવાબદાર છે.’
તમે આ સહાય આપીને કઈ લોકો પર ઉપકાર નથી કરતા :
કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે આગળ જણાવ્યું કે, ‘સાચા આંકડા લાવતા નથી અને કોર્ટમાં માફી માગો છો એ નહિ ચાલે. તમે આ સહાય આપો છો એ ઉપકાર નથી કરતાં. Who સંસ્થા પણ કહે છે દેશમાં 35થી 40 લાખ મૃત્યુ થયાં છે પણ સરકાર માનતી નથી. કેટલાક લોકો ટેસ્ટ અને હોસ્પિટલમાં દાખલ થયા વગર કોરોનામાં મર્યા તેમને કઈ રીતે શોધાશે અને સહાય આપશે? સરકાર શા માટે તારીખ પે તારીખ લંબાવે છે?? જ્યારે સુપ્રીમકોર્ટ લપડાક આપે ત્યારે સરકાર સહાય આપે છે અને કામ કરે છે. અમે કોરોનાનીગાઈડલાઇન્સ અનુસરીને કોરોનાની સહાય માટે કલેકટર, મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપીશું.’
- Advertisement -
મેચો રમાડવામાં આવી અને કોરોના વધ્યો :
કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું કે, ‘સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડાઓ છુપાવી રહી છે. આ બાબત દેશ અને રાજ્યના લોકો સામે ખુલ્લી પડી છે. સરકારે જ્યારે જે જે તબક્કે નિર્ણાયક નિર્ણયો લેવાના હતા એમાં સરેઆમ નિષ્ફળ નીવડી છે. કોરોનાની શરૂઆતમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કાર્યક્રમ યોજ્યો અને મેચો રમાડવામાં આવી અને જેનાથી કોરોના વધ્યો હતો. સરકાર લોકો અને દેશની સરકાર ચિંતા કર્યા વગર આગળ વધે છે. અમે 26 ડિસેમ્બરે કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત બંધ કરો, પણ 10 દિવસ પછી તેમની આંખ ખુલી અને આ તાયફો બંધ કર્યો. સરકારે WHO ની ચેતવણી પણ ન સાંભળી. આજે સમગ્ર દેશમાં 4.30 લાખ કોરોનાના કેસો છે. ગુજરાતમાં કોરોનાના ક્યારેય આટલા કેસો આવ્યા નથી. ગઇકાલે 25000 ની નજીક આંકડો પહોંચી ગયો છે. હજુ પણ આ આંકડો સતત વધી રહ્યો છે.’