પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગના સરહદી ગામ બિલીઆંબાની શાળામાં બાળકોનું કરાવ્યું નામાંકન
ત્રણ દિવસમાં 32.33 લાખ ભૂલકાઓને અપાશે પ્રવેશ: રાજયના મંત્રીઓ-પદાધિકારીઓ, IPS, IPC સહિત 367 અધિકારીઓ પ્રવેશોત્સવમાં સહભાગી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
રાજકોટ જિલ્લા સહિત રાજયભરમાં આજથી 21માં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રવેશોત્સવ દરમિયાન રાજયમાં 32.33 લાખ બાળકોના નામાંકન થશે.
જેમાં આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ સરહદી ગામ બિલીઆંબામાં બાળકોના નામાંકન કરાવેલ હતા. પ્રવેશોત્સવમાં વિધાનસભાના અધિક્ષક સહિત રાજયના મંત્રીઓ, પદાધિકારીઓ, આઈએએસ, આઈપીએસ તેમજ વર્ગ-1ના 367 અધિકારીઓ જોડાયા છે. પ્રવેશોત્સવ દરમિયાન રાજકોટ જિલ્લામાં બાલવાટીકાઓમાં 12959 અને ધો.1માં 3591 જેટલા વિદ્યાર્થીઓના નામાંકન થશે.
- Advertisement -
આ શાળા પ્રવેશોેત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું નામાંકન કરાવેલ હતું.
મુખ્યમંત્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં 24 બાળકોને ધોરણ-1માં, 21 બાળકોને બાલવાટિકામાં અને 7 ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો.
મુખ્યમંત્રી આવતીકાલે તા. 27 જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. 28 જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે. રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજIAS, IPS, IFS સહિત વર્ગ-1 ના કુલ મળીને 367 ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થયા છે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકઓ પણ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે, તેમાં બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ વડોદરામાં, જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ખાતે, કૌશિકભાઈ વેકરિયા અમરેલીમાં, રમણભાઈ સોલંકી આણંદ ખાતે અને વિજયભાઈ પટેલ ડાંગમાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11.73 લાખ, ધોરણ-1માં પ્રવેશપાત્ર 3.62 લાખ, ધોરણ-8 થી 9માં પ્રવેશપાત્ર 10.35 લાખ અને ધોરણ-10 થી 11માં પ્રવેશપાત્ર 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.