આમઆદમી પાર્ટીએ કરી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા અને દિલ્હી, પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે લોકો અત્યારે મોંધવારીથી ત્રસ્ત છે એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો સાથે મજબૂતીથી અડીખમ ઉભી રહેશે.
ગુજરાતમાં ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે. વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચૂકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે. આ અસહ્ય છે એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રિ-પેઈડ કાર્ડનો મરણતોલ ઘા! જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણીવાર તો ઉધાર-ઉછીના કરીને 2-2 બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે એ પ્રિપેઈડ કેવી રીતે રિચાર્જ કરશે? જો પૈસા નહીં હોય તો પુરું થઈ ગયેલું કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો, ઘરડા મા-બાપ કે પરિવારના બીમાર સભ્યોને સાચવશે? તેવું અંતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરતાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું.