ગિફ્ટ સિટીમાં ‘ૠઈંઋઝ ઊભજ્ઞક્ષજ્ઞળશભ ઋજ્ઞિીળ 2026’ યોજાયો
આર્થિક સમાચાર ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ : રોકાણકારો અને બજારના સમાચાર પર રહેશે ફોકસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં ‘ૠઈંઋઝ ઊભજ્ઞક્ષજ્ઞળશભ ઋજ્ઞિીળ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ કેપિટલ નેટવર્ક દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની નવી બિઝનેસ અને શેરબજાર કેન્દ્રિત ચેનલ ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’નું લોન્ચિંગ કર્યું હતું. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ‘ન્યૂઝ કેપિટલ ગુજરાત’ ચેનલને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતા હવે ન્યૂઝ કેપિટલ ગ્રુપ દ્વારા માર્કેટ આધારિત નવી ચેનલ શરૂ કરવામાં આવી છે. લોન્ચિંગ સાથે જ આ ચેનલ ટેલિવિઝન પર ઓનએર પણ થઈ ચૂકી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા તેમજ મંત્રી કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, મનીષાબેન વકીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનની શરૂઆત હળવા અંદાજમાં કરતાં કહ્યું હતું કે હાલ શેરબજાર ડાઉન છે, પરંતુ જીવનમાં દરેક પળ આપણા હાથમાં નથી હોતી. તેમણે જણાવ્યું કે જે આપણા નિયંત્રણમાં નથી તેમાં દુ:ખી થવાની જરૂર નથી. આપણે સૌ સાથે મળીને પડકારોનો સામનો કરી શકીએ છીએ. ગમે તેવી પરિસ્થિતિ આવે, ડર્યા વગર આગળ વધવું જોઈએ. પહેલા પણ પડકારોમાંથી બહાર આવ્યા છીએ અને આગળ પણ આવી જ રીતે બહાર નીકળશું, એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીના સંબોધન બાદ વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશન યોજાઈ હતી.પ્રથમ સત્રમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોહન સારાભાઈ, શેખર પટેલ અને ગોકુલ જય શ્રીકૃષ્ણ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યની સફળતા માટે પારદર્શક શાસન ખૂબ જરૂરી છે. ગુજરાત સંપૂર્ણ પારદર્શકતાથી ચાલતું રાજ્ય છે અને ઉદ્યોગો પોલિસીના આધારે આવે છે, જ્યાં દરેક માટે સમાન વ્યવહાર રાખવામાં આવે છે. ‘કોન્કરર ઓફ કેપિટલ માર્કેટ’ વિષય પર યોજાયેલી ચર્ચામાં જૈનમ બ્રોકિંગ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન મિલન પરીખ, કુંવરજી ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન નયન કુંવરજી અને સ્ટેટ ફાઇનાન્સ કમિશનના પ્રમુખ યમલ વ્યાસે ભાગ લીધો હતો. આ પ્રસંગે યમલ વ્યાસે શેરબજારના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અંગે વિગતવાર વાત કરી હતી. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને યોજાયેલી ત્રીજી બેઠકમાં વીરલ સીટવાલા, ડો. ભરત પટેલ અને મંત્રી પ્રફુલ પાનસેરિયા જોડાયા હતા. પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ડાયાબીટીસ, બ્લડપ્રેશર તેમજ થેલેસેમિયા જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને સરકાર દ્વારા જરૂરી દવાઓ અને ઈન્જેક્શન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મહિલાઓના વિકાસને ધ્યાનમાં રાખીને ‘ધ હ્યુમન બ્લ્યુપ્રિન્ટ’ વિષય પર યોજાયેલી ચર્ચામાં મંત્રી મનીષાબેન વકીલ અને આશાબેન વઘાસિયાએ ભાગ લીધો હતો. બપોર બાદ યોજાયેલા સત્રમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ‘સ્ટેબલ ગવર્નન્સ’ વિષય પર સંવાદ કરતા ભૂતકાળના પાણી સંકટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે સૌરાષ્ટ્રમાં પાણી ટ્રેન મારફતે પહોંચાડવું પડતું હતું, જ્યારે આજના યુવાનોને કદાચ તેની કલ્પના પણ ન હોય. ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી મુદ્દે યોજાયેલી ચર્ચામાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી પ્રવીણ માળી અને કૌશિક વેકરિયાએ વિચારવિમર્શ કર્યો હતો. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે આ સદીનો મોટો પડકાર વિકાસ સાથે ક્લાયમેટ ચેન્જને રોકવાનો છે અને ભારતને તેમાં સકારાત્મક બદલાવ લાવવાનો મહત્ત્વનો ભાગ ભજવવો પડશે. ‘ધ કો-ઓપરેટિવ કેટાલિસ્ટ’ વિષય પર કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, દિનેશ કુંભાણી અને જ્યોતીન્દ્ર મહેતાએ ચર્ચા કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો થયા છે અને ખેડૂતોને વધુ વળતર મળે તે દિશામાં સરકાર કાર્યરત છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ‘ધ મિલ્ડ મિલિયન્સ’ વિષય પર સંવાદ કર્યો હતો. તેમણે આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્ર સામે ઉભા થનારા પડકારોની ચર્ચા કરતાં જણાવ્યું કે ફોડર, ફીડ અને વધતી ગરમીને કારણે પશુઓમાં હિટ ટોલરન્સીની સમસ્યા આગામી સમયમાં મોટી પડકારરૂપ બનવાની શક્યતા છે. આ રીતે ૠઈંઋઝ ઊભજ્ઞક્ષજ્ઞળશભ ઋજ્ઞિીળ 2026માં રાજ્યના આર્થિક વિકાસ, ઉદ્યોગ, ગ્રીન એનર્જી, ફાર્માસ્યુટિકલ અને ગ્રામિણ અર્થતંત્ર સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ હતી.



