બુકિંગ મામલે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે જયારે ઉત્તરપ્રદેશ બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
ઉતરાખંડમાં 10 મેથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને કેદારનાથ હેલિકોપ્ટર સેવાના બુકીંગને લઈને જબરદસ્ત ઉત્સવ જોવા મળ્યો છે. કેદારનાથ હવાઈ સેવા માટે 20 જૂન સુધીનું બુકીંગ ફુલ થઈ ગયું છે.
શનિવારે અમુક કલાકોમાં જ 10 મે થી 20 જૂન સુધીની બધી જ ટિકીટો બુક થઈ ચૂકી છે. આ બુકીંગ આઈઆરસીટીસીની વેબસાઈટના માધ્યમથી શરૂ થયું છે. શનિવારે જ બુકીંગ સર્વિસ ખોલવામાં આવી હતી. હવે ચોમાસાની સીઝનને બાદ કરતા ઉતરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ ઓથોરિટીએ સપ્ટેમ્બર-ઓકટોબરની હેલી સેવાઓના બુકીંગ માટે પણ વિન્ડો ખોલી દીધી છે જેથી ચારધામ માટે આવનારા લોકોને સુવિધા મળી શકે.
જો રાજયવાર બુકીંગના આંકડા જોઈએ તો તેમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. અહીથી આવતા શ્રદ્ધાળુઓએ 1904 બુકીંગ કરાવ્યા છે. એ પછી ઉતરપ્રદેશના 878, ગુજરાતના 837, દિલ્હીના 793, તેલંગાણાના 679, મધ્યપ્રદેશના 437, આંધ્રપ્રદેશના 405, પશ્ચિમ બંગાળના 391, રાજસ્થાનના 328, હરિયાણાના 251, અરુણાચલ પ્રદેશના 238, ઉપરાંત દાદરાનગર હવેલી અને દીવ દમણના ચાર અને મણીપુરના એક અને આંતરરાષ્ટ્રીય સ્તરે 8 બુકીંગ કેટલાક કલાકમાં થઈ ગયા હતા.