ટીપુ સુલતાન પરના વિવાદને લઈને ભાજપ વિરોધમાં ઉતર્યું, જાણો શું છે સમગ્ર મામલો ?
આ દિવસોમાં ટીપુ સુલતાનને લઈને મુંબઈમાં તાજેતરમાં વિવાદ વણસ્યો છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ ભાજપે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખ 17 મી સદીના શાસક ટીપુ સુલતાનના નામ પર મુસ્લિમ બહુમતી ધરાવતા માલવાણી વિસ્તારમાં રમતના મેદાનનું નામ રાખવાની યોજના બનાવી રહ્યા છે. આ મુદ્દે ભાજપના કાર્યકરોએ તેની સામે પ્રદર્શન દ્વારા પણ વિરોધ નોંધાવ્યો છે.
તાજેતરમાં આ મેદાનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે આ નવા મેદાનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના આ કાર્યક્રમના પોસ્ટરમાં મેદાનનું નામ ટીપુ સુલતાન બાગ બતાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર પર આ નામ આવતા જ ભાજપના સ્થાનિક નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ભાજપ અને બજરંગ દળના કાર્યકરો કેમ્પસની બહાર એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભીડને વિખેરી નાંખી અને કેટલાય દેખાવકારોની અટકાયત પણ કરી હતી.
- Advertisement -
સંજય રાઉતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર :
આ મામલે શિવસેનાના બે વરિષ્ઠ નેતાઓનું નિવેદન પણ સામે આવ્યું છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે પણ ટીપુ સુલતાનના વખાણ કર્યા હતા. તેઓ કહે છે કે ટીપુ સુલતાન એ એક ઐતિહાસિક યોદ્ધા હતા, સ્વતંત્રતા સેનાની હતા. શું ભાજપ રાષ્ટ્રપતિ પાસે રાજીનામું માંગશે? ભાજપે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. ભાજપ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ટીપુ સુલતાનના મુદ્દે ડ્રામા કરી રહી છે.
મુંબઈમાં રાજકારણ ફરીથી ગરમાયું :
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે, બીએમસીએ પાર્કનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાના કોઈ પ્રસ્તાવને મંજૂરી આપી નથી. આ BMC ની સત્તા છે અને BMC સમક્ષ નામકરણનો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના નેતા અને મંત્રી અસલમ શેખે કહ્યું કે, આ મેદાન ઘણા વર્ષોથી ટીપુ સુલતાન ગ્રાઉન્ડ તરીકે જાણીતું હતું અને મેદાનનું નામ બદલવા માટે કોઈ સત્તાવાર પગલાં લેવાયા નથી. હાલમાં આ મેદાનના નામને લઈને મુંબઈમાં રાજકારણ ગરમાયું છે.